ગઢડા પ્રથમ – ૫૯ : અસાધારણ સ્‍નેહનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:21am

ગઢડા પ્રથમ – ૫૯ : અસાધારણ સ્‍નેહનું

સંવત્ ૧૮૭૬ ના ફાગણ સુદિ ૧૪ ચતુર્દશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે હીરકોરનું ધોળું ધોતીયું બાંઘ્‍યું હતું ને લલાટને વિષે ચંદનની અર્ચા વિરાજમાન હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, પ્રશ્ર્ન ઉત્તર કરો, પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “મહારાજ ! ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે ‘એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે, આ મને મળ્‍યા છે તે નિશ્વે જ ભગવાન છે’ તથા આસ્‍તિકપણું હોય તથા ભગવાનનાં જે ઐશ્વર્ય તેને જાણે જે ‘આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્વેતદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંતકોટી બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે અને પુરૂષ, કાળ, કર્મ, માયા, ત્રણ ગુણ, ચોવીશ તત્ત્વ, બ્રહ્માદિક દેવ એ કોઇને આ બ્રહ્માંડના કરતા જાણે નહિ, એક ભગવાન પુરૂષોત્તમને જ કર્તા જાણે અને સર્વના અંતર્યામી જાણે.’ એવી રીતની સમઝણે સહિત જે પ્રત્‍યક્ષ ભગવાનના સ્‍વરૂપને વિષે નિશ્વય તેજ પરમેશ્વરને વિષે અસાધારણ સ્‍નેહનું કારણ છે.

પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછ્યું જે, “એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે, તો એને ભગવાનને વિષે અસાધારણ હેત છે પણ એ જાણતો નથી, ‘જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ ૪કોઇના જણાવ્‍યા વિના જણાણું નહિ’ અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઇ ચાલ્‍યો, ત્‍યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા ન હતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્‍યારે જાણ્‍યું.’ તેવી રીતે એ ભક્તને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ તો છે, ૫પણ જણાતી નથી.”

પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “એ પ્રીતિના બળને જણાયાનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે સત્‍સંગ અને સત્‍શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ છે તે જણાઇ આવે છે. પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “દેશ, કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે કોઇ બીજો છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, દેશ તો પૃથ્‍વી કહેવાય તે સર્વ ઠેકાણે સરખો છે અને કાળ પણ સરખો છે, પણ અતિશે જે મોટા સમર્થ પુરૂષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય, તે સર્વે સારાં થઇ જાય છે અને અતિશે ભૂંડા પાપી પુરૂષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ અને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઇ જાય છે. માટે શુભ અને અશુભ એવા જે દેશ, કાળ અને ક્રિયા તેના હેતુ તો પુરૂષ છે તે પુરૂષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્‍વીમાં દેશ, કાળ ને ક્રિયા તે પોતાના સ્‍વભાવ પ્રમાણે પ્રવર્તાવે, ને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ અશુભ જે દેશ, કાળ ને ક્રિયા તેના હેતુ તો શુભ અને અશુભ એ બે પ્રકારના પુરૂષ છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૫૯||