ગઢડા પ્રથમ – ૬૦ : એકાંતિક ધર્મ પાળ્‍યાનું – વાસના ટાળ્‍યાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 9:52pm

ગઢડા પ્રથમ – ૬૦ : એકાંતિક ધર્મ પાળ્‍યાનું – વાસના ટાળ્‍યાનું

સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ ૧ પ્રતિપદાને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી ને તે પાઘને વિષે ધોળા પુષ્પના તોરા વિરાજમાન હતા ને કંઠમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિકિત છે જે, શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જેટલી પોતાને તૃષ્ણા હોય, તેનો વિચાર કરવો જે મારે જેટલી ભગવાનને વિષે વાસના છે તેટલી જગતને વિષે છે કે ઓછી વધુ છે ? તેની પરીક્ષા કરવી, ને જેટલી ભગવાનની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્‍દ્રિય લોભાતી હોય તેટલી જ જગતની વાત સાંભળવામાં લોભાતી હોય, તો એમ જાણવું જે ‘ભગવાનમાં અને જગતમાં બરોબર વાસના છે.’ એવી જ રીતે સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો, અને જ્યારે એવી રીતે તપાસ કરતો કરતો જગતની વાસનાને ધટાડતો જાય, ને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચવિષયને વિષે સમ બુદ્ધિ થઇ જાય છે. ને સમબુદ્ધિ થયા પછી નિંદા અને સ્‍તુતિ સરખાં લાગે. અને સારો સ્‍પર્શ ને ભૂંડો સ્‍પર્શ સરખો લાગે. તેમજ સારૂં રૂપ અને ભૂંડુ રૂપ તથા બાળ, યુવાન ને વૃદ્ધ એવી જે સ્‍ત્રીઓ તથા કચરો અને કંચન એ સર્વે સરખું ભાસે, તેમજ સારા અને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા ભાસે. એવી રીતે સ્‍વાભાવિકપણે વર્તાય, ત્‍યારે જાણીએ જે વાસના જીતાણી. અને વાસનાએ રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે અને વાસના જરાક રહી જાય તો, સમાધિવાળો હોય અને નાડીપ્રાણ તણાતાં હોય તોય પણ વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે, માટે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત છે.

પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “વાસના ટાળ્‍યાનો શો ઉપાય છે?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એક તો આત્‍મનિષ્‍ઠાની દૃઢતા જોઇએ અને બીજું પંચવિષયનું તુચ્‍છપણું જાણ્‍યું જોઇએ અને ત્રીજું ભગવાનનું અતિશે માહાત્‍મ્‍ય જાણ્‍યું જોઇએ જે, ‘ભગવાન વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ સર્વે ધામના પતિ છે, માટે એવા ભગવાનને પામીને તુચ્‍છવિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું ?’ એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે જે ‘ભગવાનને ભજતાં થકાં જો કોઇક ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહિ જવાય ને ઇન્‍દ્રલોક તથા બ્રહ્મલોકને વિષે ભગવાન મુકશે, તોય પણ આલોકના કરતાં તો ત્‍યાં કોટી ધણાં વધુ સુખ છે’ એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્‍છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે, ત્‍યાર પછી એને એમ જણાય છે જે, “મારે કોઇ કાળે વાસના હતી જ નહિ અને એતો મને વચમાં કાંઇ ભ્રમ જેવું થયું હતું, પણ હું તો સદા વાસનાએ રહિત છું” એવું ભાસે છે અને આવી રીતનો જે એકાંતિક ધર્મ તેતો જે એવો નિર્વાસનિક પુરૂષ હોય અને જેને ભગવાનને વિષે સ્‍થ્‍િાતિ થઇ હોય, તેને વચને કરીનેજ પમાય પણ ગ્રંથમાં લખી રાખ્‍યો હોય તેણે કરીને નથી પમાતો અને કોઇક સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો કહેતાં પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્‍થ્‍િાતિ થઇ હોય તે થકી એકાંતિકનો ધર્મ પમાય છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૬૦||