ગઢડા પ્રથમ – ૩૦ : ઘાટના ડંસ બેઠાનું

Submitted by swaminarayanworld on Wed, 19/01/2011 - 9:31pm

ગઢડા પ્રથમ – ૩૦ : ઘાટના ડંસ બેઠાનું

     સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ ૧ પડવાને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની હારે ઉત્તરાદે બાર ઓરડો છે તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને વિષે ધોળા પુષ્પના ગુચ્‍છ ખોશ્‍યા હતા ને પાઘને વિષે ધોળા પુષ્પના તોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી અને મુનિમંડળ કીર્તન ગાતા હતા.

     પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “હવે તો પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે શ્રીજીમહારાજ પ્રત્‍યે દીનાનાથ ભટ્ટે પુછયું જે, “હે મહારાજ ! કોઇ સમેતો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિષે ડંસ બેસે નહિ અને કોઇક સમે તો અલ્‍પ ઘાટ થાય તેનો પણ મનને વિષે ડંસ બેસે છે તેનું કારણ શું છે ? અને ભગવાનના ભકતને એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શો છે ? ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનું  કારણ તો ગુણ છે, તે જ્યારે તમોગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્‍યારે સુષુપ્‍તિ સરખી અવસ્‍થા રહેતી હોય માટે તેમાં ઘાટનો ડંસ બેસે નહિ અને જ્યારે સત્ત્વગુણ વર્તતો હોય ત્‍યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમે જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે, માટે તે ઘાટનો પણ ડંસ બેસે નહિ અને જ્યારે રજોગુણ વર્તે ત્‍યારે જે ઘાટ થાય તેનો મનને વિષે ડંસ બેસે, માટે ડંસ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે. અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમે ઘાટ થાય તે સમે તે ઘાટ સામું જુવે તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે અને ઘડી ઘડી પળપળમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઇના ઓળખ્‍યામાં આવે નહિ અને તમારા જેવો કોઇક બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં બે ત્રણ ચાર સ્‍થૂલ ઘાટ થાય તે તેના ઓળખ્‍યામાં આવે. અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામે દષ્‍ટિ રાખે અને સત્‍સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો આ સત્‍સંગનો પ્રતાપ એવો છે જે, જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઇ જાય છે  અને નિરૂત્‍થાન થઇને અખંડ પરમેશ્વરના સ્‍વરૂપનું ચિંતવન થાય છે. અને સત્‍સંગ વિના તો બીજાં કોટિ સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિક ગુણની નિવૃત્તિ થાય નહિ અને જો નિષ્કપટપણે કરીને સત્‍સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે, માટે સત્‍સંગનો પ્રતાપ તો અતિશે મોટો છે અને બીજાં સાધન છે તે કોઇ સત્‍સંગતુલ્‍ય થાય નહિ, કાંજે, કોઇ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્‍સંગમાં થાય છે, તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મવચને નિષ્કપટપણે સત્‍સંગ કરવો તો સત્‍સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઇ જાય છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૩૦||