સારસિદ્ધિ કડવું - ૪૭

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 8:53pm

આળ પંપાળમાં આવરદા ન ખોવીજી, એ પણ વાત વિચારીને જોવીજી

હીરો હાથ આવ્યે ધુડ્યને ન ધોવીજી, દિનમાં સૂઈ રહી રાત ન ડોવીજી ।।૧।।

ઢાળ -

દિનમાંહી હીંડે મારગ મળે, રાતમાંય ઘણું રડવડિયે ।।

તેમ પ્રગટ મૂકીને પરોક્ષ ભજતાં, કહો પાર એમાં કાંઈ પડિયે ।। ર ।।

જેમ કોઈ ફૂલવાડીનાં ફૂલ મેલી, આકાશ ફૂલની આશા કરે ।।

પાર વિના પરિશ્રમ પડે, સાર થોડું જ મળે સરે ।। ૩ ।।

તેમ પ્રગટ પ્રભુને પરહરી, પરોક્ષમાં કરે પ્રતીત ।।

તે તો પીયુષનો ચરુ પરહરી, કરી છાશ પીવા ચાહે ચિત્ત ।। ૪ ।।

ટાણે ટેવ રાખી નહિ, કરે કટાંણે કોઈ ઉદ્યમ ।।

તેમાં ન પડે પાંસરું, પડે તેમાં તે પૂરણ શ્રમ ।। પ ।।

માટે સમો સાચવવો, પ્રગટશું કરવી પ્રીત ।।

તો પૂરણ તક પાકે ખરી, વળી થાય જગતમાંહી જીત ।। ૬ ।।

એટલું કર્યું તો સર્વે કર્યું, કેડે કરવું ન રહ્યું કાંઈ ।।

મનુષ્ય દેહનો લાભ મળ્યો, આવી આ ભવમાંઈ ।। ૭ ।।

સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત એહ જ, રે’વું પ્રગટ પ્રભુ પરાયણ ।।

મન વચન કર્મે કરી, ભજવા સ્વામિનારાયણ ।। ૮ ।।

એહ ઠીક ઠેરાવી વાત અંતરે, પછી રે’વું નિર્ભય નચિંત ।।

એટલું સમજે સર્વે સમજયા, સમજાણી સનાતન રીત ।। ૯ ।।

મળ્યો મારગ મહાસુખનો, જેમાં દુઃખ નહિ લવલેશ નિષ્કુળાનંદ ।।

નકી એ વારતા, માનવો મોટાનો ઉપદેશ ।। ૧૦ ।। કડવું ।।૪૭।।