સારસિદ્ધિ કડવું - ૩૪

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:34pm

સંત અસંતની રીત જૂજવીજી, ભેળાં ન ભળે જેમ રાત ને રવિજી

એમ કહે છે સહુ અનુભવીજી, વિધે વિધે વાત તેની કહું વર્ણવીજી ।।૧।।

ઢાળ - 

વર્ણવી તેની વાત કહું, હરિદાસ અદાસ દોઈની ।।

રાગી ત્યાગીની રીત ભેળી, ભળે નહિ કોઈ કોઈની ।। ર ।।

એક સુખ ઇચ્છે શરીરનાં, એક ન ઇચ્છે સુખ શરીરનું ।।

એક ઇચ્છે નિરસ અન્નને, એક ખાવા ઇચ્છે ખીરનું ।। ૩ ।।

એક ઇચ્છે પુરાણું પટ પે’રવા, એક ઇચ્છે અંબર નવીન ।।

એક ઇચ્છે અંતરે રે’વા ઊજળા, એક રહે મને મલીન ।। ૪ ।।

એક ઇચ્છે લેવા સુખ લોકનાં, એક લોકસુખ તે લેખે નહિ ।।

એક ઇચ્છે માયિક મોટપને, એક માયિક મોટપને દેખે નહિ ।। પ ।।

એક ઇચ્છે જગ જાણિત થાવા, એક ઇચ્છે થાવા અછતું ઘણું ।।

એક ઇચ્છે માન વધારવા, એક ઇચ્છે નિરમાનીપણું ।। ૬ ।।

એક ઇચ્છે છે પદાર્થ પામવા, એક કરવા ઇચ્છે છે ત્યાગ ।।

એક ઇચ્છે છે અલપ સુખને, એકને અલપ સુખ છે આગ ।। ૭ ।।

એક ઇચ્છે રે’વા અરણ્યમાં, એક ઇચ્છે વસ્તીમાંહિ વાસ ।।

એક ઇચ્છે વિષયસુખ માણવા, એક એ સુખથી છે ઉદાસ ।। ૮ ।।

એમ ભકત અભકતના ભાવને, જુદા જાણજો જરૂર ।।

એકને ન ભળવું ભીડમાં, એકને રે’વું હરિશંુ હજુર ।। ૯ ।।

એમ દાસ અદાસ દોયને, ભેળું રે’વામાં ભારે રોળ છે ।।

નિષ્કુળાનંદ નથી કે’વાતું, પણ તપાસે દુઃખ અતોળ છે ।। ૧૦ ।। કડવું ।।૩૪।।