સ્નેહગીતા કડવું - ૩૫

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:15pm

ઊદ્ધવજી એવું હતું એને મનજી, જે કલપાવી કલપાવી તજાવશું તનજી ।
તો ઠોરઠોર નહોતી કરવી જતનજી, જયારે એને આપવોતો અમને આવો દિનજી ।।૧।।

ઢાળ –

દિનદેવોતો જોદુઃખનો, વળી વણ મોતે હતાં મારવાં ।
તો અનેક વિઘ્નમાંહિથી અમને, આગે નોતાં ઊગારવાં ।।૨।।

ભયાનક વ્યોમાસુર ભયથી, વળી રાખિયાં રૂડી રીતશું ।
શકટાસુર તૃણાવર્ત તેથી, પહેલાં ઊગારિયાં એને પ્રિતશું ।।૩।।

કેશી વૃષભ અઘાસુરથી, અમને અલબેલે ઊગારિયાં ।
વત્સાસુર બગાસુર બીજાથી, વળી વ્રજનાં વિઘ્ન નિવારિયાં ।।૪।।

વિષ નિરવિષ ઘર વરુણથી, કરી વ્રજવાસીની એણે સાર ।  
અમારે કારણે ઊદ્ધવ એણે,દાવાનળ પીધો દોય વાર ।।૫।।

વળી ઈન્દ્ર કોપ્યો વ્રજવાસી ઊપરે, મહાપ્રલયનો મેઘ મેલિયો ।
વીજ ઝભકે નીર ખળકે, વળી અંધકાર અતિશે થયો ।।૬।।

ઘોર ગર્જના સુણી થયાં ઘાંઘાં, જાણ્યું આજ કલ્પાંત આવિયો ।  
ત્યારે ધરી ગોવર્ધન કર ઊપરે, વ્રજસાથ એણે બચાવિયો ।।૭।।

ઊદ્ધવ એણે અમને, અનેક વિઘ્નથી ઊગારિયાં ।  
આવું હતું જો મનમાં એને, તો મોર્યે કેમ ન મારિયાં ।।૮।।

નથી ખમાતું ઊદ્ધવ અમે, પીડી પીડી જે લેશે પ્રાણ ।  
અંતરની શું કહીએ ઊદ્ધવ, તમે નથી અમારા અજાણ ।।૯।।

કૃષ્ણે કર્યું એવું કોઈ ન કરે, ઊદ્ધવજી કહું અમને ।  
નિષ્કુલાનંદના નાથના સખા, છો ત્યારે કહ્યું તમને ।।૧૦।। કડવું ।।૩૫।।