સ્નેહગીતા કડવું - ૩૧

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:06pm

ઊદ્ધવજી તમે એશું બોલીયુંજી, અમને એ કહ્યું તમે અણતોળિયુંજી ।
ભાઈ અમને ભામિનીને શીદ પાડોછો ભૂલીયુંજી, છતે કંથે છાર કો’ને કેણે ચોળીયુંજી ।।૧।।

ઢાળ –

છાર ન ચોળ્યું છતે ધણીએ, એતો વિધવા કેરો વેપાર છે ।
કંથ વિયોગી અંતર રોગી, તેને ભુંસવી ભલી છાર છે ।।૨।।

વળી નર કોઈ નિરભાગી, સુત વિત્તદારાનોદુઃખિયો ।
તેહ જોગ લઈને જાય જંગલે, થાવાનો કોઈ સ્થળે સુખિયો ।।૩।।

વળી ભવવૈભવ જેને હોય વા’લા, તેતો એક બ્રહ્મ કહી ઊચ્ચરે ।
ભાત્ય ઊભયભ્રષ્ટ થઈને, પછી મનમાન્યા વિષય કરે ।।૪।।

વળી ધણી વિના જે ધ્યાન ધરે, તેતો કોઈકનું ઘર ઘાલવા ।  
જેમ આંખ્ય મિંચી બેસે બલાઈ, તેતો ઝડપી ઉંદરને ઝાલવા ।।૫।।

ડગમગ દિલ ચળ ચિત્તવાળા, જેને પ્રતીતિ નહિ પ્રગટતણી ।
તેતો વણ કહ્યે વેપાર એહવો, ભાઈ ધાઈને કરશે તેનો ધણી ।।૬।।

ઊદ્ધવજી તમે કહ્યું જે અમને, તેમાં સાર નદીઠો કાંઈ શોધતાં ।  
અમને કહ્યું એવું જે જ્ઞાન, તમને કેટલું થયું પરમોદતાં ।।૭।।

બહુ સાધને સાધ્યું હશે, ઊદ્ધવજી એવું જ્ઞાન ।  
આટલા દિવસ આવા વેષનું, કેમ અળગું ન કર્યું અજ્ઞાન ।।૮।।

બીજાને તો જોગ ધરાવો, ભાઈ તમે તે ભોગી કેમ રહ્યા ।  
અમે કંગાલની ઊપરે, છેક ન થઈએ નિર્દયા ।।૯।।

એવા સંદેશા સાટે ઊદ્ધવ, કેમ ના’ણ્યો કૂપ વિષનો ભરી।
નિષ્કુલાનંદના નાથનું મોકલ્યું, ખાત અમે ખાંતે કરી ।।૧૦।। કડવું ।।૩૧।।