ઉત્સવની પ્‍યારી કેશવની, આજ એકાદશી ઉચ્છવની; (૪)?

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 6:59pm

રાગ - પૂરવ

પદ-૧

ઊચ્છવની પ્યારી કેશવની, આજ એકાદશી ઊચ્છવની;

કોટિક ગૌ કેરાં દાન કરે પણ, નાવે  તોલે એના લવની-આજ૦ ૧

મંગળરૂપ સદા સુખ કારી, વા’લી નિધિ જન વૈષ્ણવની-આજ૦ ૨

વચન પ્રમાણે કરે વ્રત  તેને, ત્રાસ મટે મૃત્યુ ભવની-આજ૦ ૩

બ્રહ્માનંદ કહે વ્રત કરવું, એમ આજ્ઞા સ્વામી ઊદ્ધવની-આજ૦ ૪

 

પદ - ૨

હરખ અતિ ભેટ્યા કૃષ્ણપતિ, આજ એકાદશી હરખ અતિ;

મનમોહન મારે મંદિરે આવ્યા, અધિક થઈ હું  તો પુણ્યવતી-આ૦ ૧

પીતાંબર આભૂષણ પે’રી, ચાલંતા વા’લો હંસગતિ-આજ૦ ૨

પુરુષોત્તમ પુરણ વર પામી, રહી નહિ ખામી હવે એક રતિ-આજ૦ ૩

બ્રહ્માનંદ કહે હરિવર વ્રતાં, ચૌદ ભુવનમાં હું થઈ રે છતી-આજ૦ ૪

 

પદ - ૩

માવ મળ્યા  તન  તાપ ટળ્યા, આજ એકાદશી માવ મળ્યા;

પૂર્વ જન્મની  પ્રીત જાણીને, આવીને અમપર અઢળ ઢળ્યા-આજ૦

મુનિવર ધ્યાન ધરી ધરી થાકયા, કોઈથી વા’લો નવ જાય કળ્યા-આજ૦

મારુ મંદિરિયું પોતાનું રે જાણી, ભૂધર સુખ દુઃખ માંહી ભળ્યા-આજ૦

બ્રહ્માનંદ કહે હરિવર પામી, આનંદ કેરા ઓઘ વળ્યા-આજ૦

 

પદ - ૪

સુફળ ફળી હું  તો હરિને મળી, આજ એકાદશી સુફળ ફળી;

ચોપ કરી નટનાગર સારું, સેજ સજી કાજુ કુસુમ કળી-આજ૦

રસ બસ હોઈ રહી રસિયા સંગ, જયું મીસરી પયમાંહી ભળી-આજ૦

નિત્ય નિત્ય પ્રેમ રહું ઊર ધરતી, હરિચરણે મન વૃત્તિ હળી-આજ૦

બ્રહ્માનંદ કહે હરિવર વરિયા, જન્મ મરણ કેરી શંકા ટળી-આજ૦

Facebook Comments