સારંગપુર ૯ : યુગના ધર્મ પ્રવર્ત્યાનું – સ્થાનનું

Submitted by Parth Patel on Tue, 08/02/2011 - 11:52pm

સારંગપુર ૯ : યુગના ધર્મ પ્રવર્ત્યાનું – સ્થાનનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૩ તેરશને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલ્‍યા તે ગામ શ્રીકુંડળ પધાર્યા અને તે કુંડળ મઘ્‍યે અમરાપટગરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલીયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને મસ્‍તક ઉપર ધોળી પાઘ બાંધી હતી તથા ધોળી પછેડી ઓઢી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”હે મહારાજ ! જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે તે જ્યારે શુદ્ધ સત્‍વગુણ વર્તતો હોય ત્‍યારે તેના હૃદયમાં સત્‍યયુગની પ્રવૃતિ હોય અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે તેના હૃદયમાં ત્રેતાયુગની પ્રવૃતિ હોય અને જ્યારે રજોગુણ ને તમોગુણ ભેળા વર્તતા હોય ત્‍યારે તેના હૈયામાં દ્વાપરયુગની પ્રવૃતિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્‍યારે તેના હૈયામાં કળિયુગની પ્રવૃતિ હોય, એમ ગુણે કરીને યુગની પ્રવૃતિ છે.

પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે,”ગુણની પ્રવૃતિ થયાનો શો હેતુ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે, તે જેવાં પૂર્વ કર્મ હોય તેવા ગુણની પ્રવૃત્તિ થાય છે, માટે જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઇને ભગવાનનું ઘ્‍યાન કરવા જાય તો થાય નહિ માટે એવાને તો આત્‍મનિષ્‍ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે, ‘હું તો આત્‍મા છું તે મારે વિષે માયાકૃત ઉપાધિ હોય નહિ ને હું તો ગુણાતીત છું’ અને ભગવાનનો મહિમા એમ વિચારવો જે, ‘અજામેલ મહાપાપી હતો ને દીકરાના યોગે નારાયણ એવું નામ લીધું તે સર્વે પાપથી છુટીને પરમપદને પામ્‍યો તો મને તો તે ભગવાન પ્રત્‍યક્ષ મળ્‍યા છે અને રાતદિવસ તે ભગવાનનું નામ લઉ છું. માટે હું તો કૃતાર્થ થયો છું’ એવી રીતે વિચારીને આનંદમાં રહેવું પણ જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય તેને ઘ્‍યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહિ અને જેવું બની આવે તેવું ભજનસ્‍મરણ કરવું ને દેહે કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોતપોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂર્ણકામ માનવું.

પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે ”જેને તામસી કર્મ ધણાં હોય તેના હૈયામાં કળિયુગ વર્તે તે કોઇ ઉપાયે ટળે કે ન ટળે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિષે અતિશે શ્રદ્ધા હોય અને અતિ દૃઢ વિશ્વાસ હોય તો ગમે તેવાં તામસી કર્મ હોય પણ તેનો નાશ થઇ જાય અને કળિયુગના ધર્મ મટીને સત્‍યયુગના ધર્મ હોય તે વર્તે, માટે અતિ સાચે ભાવે કરીને સત્‍સંગ કરે તો તેને કોઇ જાતનો દોષ હૈયામાં રહે નહિ અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઇ જાય.

પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પુછયું જે, ”સ્‍થાન તે કેને કહીએ ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ચારવર્ણ અને ચાર આશ્રમ તેને જે પોતપોતાનો ધર્મ તેને સ્‍થાન જાણવું. અને તમે ત્‍યાગી છો તે તમારાથી જો ત્‍યાગનો પક્ષ મુકીને ગૃહસ્‍થને માર્ગે ચલાય તો તે સ્‍થાનક થકી ભ્રષ્‍ટ થવાણું એમ જાણવું માટે ગમે તેવો આપત્‍કાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચળવું નહિ. અને જેમ ગૃહસ્‍થ વસ્ત્રતથા અલંકારે કરીને અમારી પૂજા કરવાને ઇચ્‍છે  તેમ તમારે ઇચ્‍છવું નહિ. તમારે તો પત્ર, પુષ્પ,ફળ અને જળે કરીને પૂજા કરવી ને એવી પૂજાએ કરીનેજ આનંદ માનવો પણ પોતાના ધર્મમાંથી ચલાયમાન થઇને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહિ, માટે સર્વેને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે તેને દૃઢ કરીને સર્વે રાખજો. ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૯|| ||૮૭||