સારંગપુર ૪ : આત્મા-અનાત્મના વિવેકનું

Submitted by Parth Patel on Sun, 06/02/2011 - 11:01am

સારંગપુર ૪ : આત્મા-અનાત્મના વિવેકનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૮ અષ્‍ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને મસ્‍તકે શ્વેત પાઘ બાંધી હતીને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ આત્‍મા અનાત્‍માની ચોખી જે વિકિત તે કેમ સમજવી ? જે સમજવે કરીને આત્‍મા અનાત્‍મા એક સમજાય જ નહિ.” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એક શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા પાંચ શ્લોકે કરીને અથવા સો શ્લોકે કરીને અથવા હજાર શ્લોકે કરીને જે ચોખું સમજાય તે ઠીક છે, જે સમજાણા કેડે આત્‍મા અનાત્‍માના એકપણાનો લોચોજ રહે નહિ અને ચોખું સમજાઇ જાય તે સમજણ સુખદાઇ થાય છે, અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી. માટે એમ ચોખું સમઝે જે, ”હું જે આત્‍મા તે મારા જેવો ગુણ દેહને વિષે એકેય આવતો નથી અને જડ દુ-:ખ અને મિથ્‍યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્‍ય તે મારે વિષે એકેય આવતો નથી’ એવી વિકિત સમજીને તે અત્‍યંત નિર્વાસનિક થઇને ચૈતન્‍યરૂપ થકો પુરૂષોત્તમ ભગવાનનું ચિંતવન કરે એવો જે જડ ચૈતન્‍યનો વિવેક તેને દૃઢ વિવેક જાણવો. અને ઘડીક પોતાને આત્‍મારૂપ માને અને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એને ગોબરો જાણવો માટે એના અંતરમાં  સુખ ન આવે. જેમ સુંદર અમૃત સરખું અન્ન હોયને તેમાં થોડુંક ઝેર નાખ્‍યું હોય તો તે અન્ન સુખદાયી ન થાય સામું દુ:ખદાયી થાય છે, તેમ આઠે પહોર આત્‍માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એટલે એનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે માટે અત્‍યંત નિર્વાસનિક થવાય એવો ચોખો આત્‍મવિચાર કરવો.

અને કોઇકને એવો સંશય થાય જે, ‘અત્‍યંત નિર્વાસનિક નહિ થઇએ ને કાચા ને કાચા મરી જઇશું તો શા હાલ થશે ?” તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહિ અને એમ સમજવું જે, ‘મરશે તો દેહ મરશે હું તો આત્‍મા છું અને અજર અમર છું માટે હું મરું નહિ એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્‍યાગ કરીને અચળ મતિ કરવી. અને એમ વાસના ટાળતાં ટાળતાં જો કાંઇક થોડી ઘણી વાસના રહી ગઇ તો જેવા મોક્ષધર્મમાં નરક કહ્યા છે તેવા નરકની પ્રાપ્‍તિ થશે. તે નરકની વિગતી જે ભગવાનનો ભક્ત હોય તેને કાંઇ જગતની વાસના રહે તેને ઇન્‍દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્‍તિ થાય ને તે લોકને વિષે જઇને અપસરાઓ તથા વિમાન તથા મણિમય મહોલ એ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહિ અને ચોરાશીમાં પણ જાય નહિ. માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે તો દેવતા થવું પડશે, ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો ને મનુષ્ય થઇને વળી પાછી ભગવાનની ભકિત કરીને નિર્વાસનિક થઇને અંતે ભગવાનના ધામને પામશો, પણ વિમુખ જીવની પેઠે નરક ચોરાશીને નહિ ભોગવો. એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહિ ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્‍યાના ઉપાયમાં રહેવું અને ભગવાન ને ભગવાનના સંતના વચનમાં દૃઢ વિશ્વાસ રાખવો.  ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૪|| ૮૨ ||