સારસિદ્ધિ કડવું - ૪૫

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 8:48pm

હરિ હજૂર જે પામ્યા દાસ વાસજી, તેને કોઈ રહ્યો નહિ તન મને ત્રાસજી

પરિપૂરણ પામ્યા સુખ વિલાસજી, જે સુખનો ન થાય કોઈ દિન નાશજી ।।૧।।

ઢાળ - 

નાશ ન થાયે કોઈ દિને, એવું અવિનાશી એહ સુખ છે ।।

તેહ વિના તપાસી જોયું, જયાં જયાં જાય છે ત્યાં દુઃખ છે ।। ર ।।

અટળ સુખના આપનારા, નથી કોઈ સહજાનંદજી સમાન ।।

બીજે છે વાતોના વાયદા, એમ સમજવું બુદ્ધિમાન ।। ૩ ।।

સત્ય શાસ્ત્ર સંત સુધર્મને, શોધીને ગ્રે’વું સાર ।।

જેવા તેવાથી જડતું નથી, અખંડ સુખ અપાર ।। ૪ ।।

માયિક સુખ પણ મોંઘાં ઘણાં, ત્યારે અમાયિકનો કોણ આપનાર ।।

માટે સહજાનંદ સેવવા, ઉર કરી વળી વિચાર ।। પ ।।

જેહ સુખ જેહને ઘરે, તે તો તેનું દીધું દેવાય ।।

તેહ વિના તોળી તપાસિયું, લેશ પણ આપણે ન લેવાય ।। ૬ ।।

એહ સુખને આપવા, આવ્યા અવનિએ અલબેલ ।।

મહા મોંઘું હતું એને મળવું, પણ સહુને થયું છે એ સે’લ ।। ૭ ।।

પરમ પરમારથી પ્રગટ્યા, શ્રી સહજાનંદ સુખધામ ।।

આવી મળ્યા જન જેહને, તેહ થયા તે પૂરણકામ ।। ૮ ।।

ભાંગી ભૂખ ભૂખ્યાતણી, ઘણી ઘનશ્યામે કરી મે’ર ।।

એવો કોણ અભાગિયો, જે દુઃખી રે’શે આ વેર ।। ૯ ।।

આજ મો’રે આવી વારતા, કો’યે પર અવર પામ્યા નથી ।।

નિષ્કુળાનંદ જેણે નથી દીઠા, તે કેવી રીતે કે’શે કથી ।। ૧૦ ।। કડવું ।।૪૫।।