સારંગપુર ૬ : એક અવસ્થામાં બબે અવસ્થાનું – ચાર પ્રકારની વાણીનું

Submitted by Parth Patel on Tue, 08/02/2011 - 11:42pm

સારંગપુર ૬ : એક અવસ્થામાં બબે અવસ્થાનું – ચાર પ્રકારની વાણીનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી નિત્‍યાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”એક એક અવસ્‍થાને વિષે બીજી બે બે અવસ્‍થાઓ કેમ રહી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, આ જીવાત્‍મા જે તે ‘જેને વિષે રહીને વિષયભોગને ભોગવે છે’તેને અવસ્‍થા કહીએ, તે અવસ્‍થા જાગ્રત, સ્‍વપ્ન અને સુષુપ્‍તિ એ ત્રણ પ્રકારની છે, તેમાં જે જાગ્રત અવસ્‍થા છે તે વૈરાજ પુરૂષની જે સ્‍થ્‍િાતિ અવસ્‍થા તેનું કાર્ય છે ને સત્ત્વગુણાત્‍મક છે ને નેત્ર સ્‍થાનકને વિષે રહી છે એવી જે જાગ્રત અવસ્‍થા તેને વિષે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્‍મા તે જે તે સ્‍થૂળદેહના અભિમાન સહિત થકો દશ ઇન્‍દ્રિયો ને ચાર અંત:કરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્‍દાદિક પંચ વિષયના ભોગને ભોગવે છે, તેને સત્ત્વગુણપ્રધાન એવી જાગ્રત  અવસ્‍થા કહીએ. અને એ જાગ્રતને વિષે જો એ જીવાત્‍મા ભ્રાંતિએ  કરીને અયથાર્થપણે બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિષે સ્‍વપ્ન કહીએ અને એ જીવાત્‍મા જે તે જાગ્રતને વિષે શોક તથા શ્રમાદિકે કરીને વિવેકે રહિત થકો જો બાહ્ય વિષયભોગને ભોગવે છે, તો તેને જાગ્રતને વિષે સુષુપ્‍તિ કહીએ. અને જે સ્‍વપ્ન અવસ્‍થા છે તે હિરણ્‍યગર્ભની જે ઉત્‍પત્તિ અવસ્‍થા તેનું કાર્ય છે, ને રજોગુણાત્‍મક છે, ને કંઠ સ્‍થાનકને વિષે રહી છે એવી જે સ્‍વપ્ન અવસ્‍થા તેને વિષે તૈજસાભિમાની નામે જે જીવાત્‍મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્‍દ્રિયો અંત:કરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખદુ:ખરૂપ વાસનામય ભોગને ભોગવે છે, તેને રજોગુણપ્રધાન સ્‍વપ્ન અવસ્‍થા કહીએ. અને એ સ્‍વપ્નને વિષે એ જીવાત્‍મા જે તે જ્યારે જાગ્રતની પેઠે વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે ત્‍યારે તેને સ્‍વપ્નને વિષે જાગ્રત અવસ્‍થા કહીએ અને એ સ્‍વપ્નને વિષે જણાણા જે વાસનામય ભોગ તેમને એ જીવાત્‍મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્‍વપ્નને વિષે સુષુપ્‍તિ કહીએ.  અને જે સુષુપ્‍તિ અવસ્‍થા છે તે ઇશ્વરની જે પ્રલય અવસ્‍થા તેનું કાર્ય છે ને તમોગુણાત્‍મક છે ને હૃદય સ્‍થાનકને વિષે રહી છે, એવી જે સુષુપ્‍તિ અવસ્‍થા તે જ્યારે એ જીવાત્‍માને આવે છે ત્‍યારે ઇન્‍દ્રિયો અંત:કરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિષે લીન થઇ જાય છે અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્‍મા તેનું પ્રધાન પુરૂષરૂપ સગુણ બ્રહ્મના સુખલેશને વિષે અતિશે લીનપણું થઇ જાય છે તેને તમો ગુણપ્રધાન સુષુપ્‍તિ અવસ્‍થા કહીએ અને એ સુષુપ્‍તિને વિષે કર્મ સંસ્‍કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્‍પન્ન થવું તેને સુષુપ્‍તિને વિષે સ્‍વપ્ન કહીએ અને જાગ્રત ને સ્‍વપ્નને વિષે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્‍તિના સુખને વિષે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્‍તિને વિષે જાગ્રત કહીએ, એવી રીતે એક એક અવસ્‍થાને વિષે બીજી બે બે અવસ્‍થાઓ રહી છે અને એ જે અવસ્‍થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્‍માને જે વતે થાયછે અને વળી તે તે અવસ્‍થાને વિષે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્યપદ કહે છે, અંતર્યામી કહે છે, દૃષ્ટા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે.

પછી વળી નિત્‍યાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”પરા, પશ્‍યંતી, મઘ્‍યમા અને વૈખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશે સૂક્ષ્મ છે અને શ્રીમદ્ભાગવતના એકાદશ સ્‍કંધને વિષે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્‍યે કહી છે તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો જે, પ્રથમ ઉત્‍પત્તિકાળને વિષે પુરૂષોત્તમ ભગવાન જે તે વૈરાજપુરૂષના મસ્‍તકને વિષે રહ્યું છે જે સહસ્ત્રદળનું કમળ તેને વિષે પ્રવેશ કરીને અક્ષરબ્રહ્માત્‍મક એવો જે નાદ તેને કરતા હવા. પછી તે નાદ જે તે સુષુમ્‍ણા માર્ગે કરીને તે વિરાટ પુરૂષના નાભિકંદ પ્રત્‍યે વ્‍યાપીને મહાપ્રાણે સહિત થકો ત્‍યાંથી ઉચો વૃદ્ધિને પામતો હવો તેણે કરીને તે વિરાટપુરૂષનું જે નાભિપદ્મ તે અધોમુખ હતું તે ઊર્ધ્વમુખ થતું હવું, એવીરીતે તે વિરાટપુરૂષના નાભિકંદને વિષે જે નાદ થયો તેને પરાવાણી કહીએ અને તે પરાવાણી જે તે વેદની ઉત્‍પત્તિને અર્થે પોતે ભગવાને બીજરૂપે કરીને પ્રકાશી છે ને તેજના પ્રવાહરૂપ છે ને અર્ધમાત્રારૂપ છે, પછી પરાવાણી જે તે ત્‍યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્‍યંતી નામે થતી હવી ને ત્‍યાં થકી કંઠદેશને પામીને મઘ્‍યમા નામે થતી હવી ને ત્‍યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી હવી અને અકાર, ઉકાર ને મકાર એ ત્રણ વર્ણરૂપે થઇને પ્રણવરૂપે થતી હવી ને પછી બાવન અક્ષરરૂપે થઇને ચાર વેદરૂપે થતી હવી, એવી રીતે વિરાટ પુરૂષને વિષે પરા, પશ્‍યંતી, મઘ્‍યમા અને વૈખરી એ ચાર વાણી સમજવી.

હવે આ જીવના દેહને વિષે પણ ચાર વાણી કહીએ તે સાંભળો જે, એના એ પુરૂષોત્તમ ભગવાન તે જીવને વિષે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે ને એ જીવની જે ત્રણ અવસ્‍થા તેને વિષે સ્‍વતંત્ર થકા અનુસ્‍યૂત છે એવા જે ભગવાન તેજ જીવના કલ્‍યાણને અર્થે પૃથ્‍વીને વિષે અવતાર ધારણ કરે છે ત્‍યારે એ જીવ જે તે ભગવાનના સ્‍વરૂપનું જે પ્રતિપાદન કરે તથા તે ભગવાનનાં જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેનાં ચરિત્રનું વર્ણન કરે તથા આત્‍મા અનાત્‍માનો વિવેક કરી દેખાડે તથા જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક્ પૃથક્ કહી દેખાડે એવી જે વાણી તેને પરાવાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહીએ ને પદાર્થને ને વિષયને ભ્રાંતિએ સહિત અયથાર્થપણે કહી દેખાડે તેને મઘ્‍યમા વાણી કહીએ અને એ પદાર્થને ને વિષયને અંધ ધંધ સરખું કહી દેખાડે ને કાંઇ સમજ્યામાં ન આવે તેને પશ્‍યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્‍થાને વિષે એ ચાર વાણીનું રૂપ સમજ્યામાં આવે છે અને સ્‍વપ્ન ને સુષુપ્‍તિને વિષે તો કોઇક સમાધિવાળાને એ ચાર વાણીનાં રૂપ સમજ્યામાં આવે પણ બીજાને સમજ્યામાં આવતાં નથી. ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૬|| ૮૪ ||