ગઢડા પ્રથમ – ૫૭ : અસાધારણ મોક્ષનું કારણ

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:19am

ગઢડા પ્રથમ – ૫૭ : અસાધારણ મોક્ષનું કારણ

સંવત્ ૧૮૭૬ ના ફાગણ શુદિ ૨ દ્વિતીયાને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં સાધુની જાયગાને વિષે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને પ્રશ્ર્ન ઉત્તર કરતાં આવડે તે એક એક પ્રશ્ર્ન પુછો. પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ! મોક્ષનું અસાધારણ કારણ તે શું છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “ભગવાનના સ્‍વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માહાત્‍મ્‍ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે.”

પછી વળી મુકતાનંદ સ્‍વામીએ પૂછયું જે, “ભગવાનને વિષે જે સ્‍નેહ તેનું શું રૂપ છે?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ૧સ્‍નેહનું રૂપ તો એ છે જે સ્‍નેહમાં કોઇ જાતનો વિચાર ન જોઇએ અને જ્યારે જે ગુણ વિચારીને સ્‍નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્‍યારે તેનો સ્‍નેહ ત્રુટી જાય. માટે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું, પણ વિચાર કરીને વારે વારે સ્‍થાપન ઉત્‍થાપન કરવું નહિ. અને મૂઢપણે ભગવાનને વિષે હેત કરવું. અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહિ માટે હેત તો જેમ દેહના સંબંધી સંધાથે છે તેવું ભગવાનને વિષે હેત કરવું, અને એ હેતને મૂઢપણાનું હેત કહીએ. અને ભગવાનનું માહાત્‍મ્‍ય જાણીને જે હેત થાય છે, તે તો બીજી જ રીતનું છે એમ જાણવું.

પછી શિવાનંદ સ્‍વામીએ પુછયું જે, “સત્સંગમાં રહેવાનો ખપ છે, તો પણ કોઇક અયોગ્‍ય સ્‍વભાવ છે તે કેમ ટળતો નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જે સ્‍વભાવ સત્‍સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્‍યાં સુધી એને કયાં સત્‍સંગનો પૂરો ખપ છે ? અને તે સ્‍વભાવને પણ કયાં પૂરો શત્રુ જાણ્‍યો છે ? ત્‍યાં દષ્‍ટાંત છે જેમ, “કોઇક પુરૂષ આપણો મિત્ર હોય ને તે જ પુરૂષે આપણા ભાઇને મારી નાખ્‍યો હોય, તો પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય, કાં જે મિત્ર કરતાં ભાઇનો સંબંધ અધિક છે.” તેમ જો એને પોતાનો સ્‍વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્‍સંગથી વિમુખ કરે એવો છે તોય પણ, એની ઉપર વૈરભાવ આવતો નથી અને તે સ્‍વભાવ ઉપર રીસ ચઢતી નથી, તો એને સત્‍સંગમાં પૂરૂં હેત નથી અને જો જેવું ભાઇમાં હેત મનુષ્યને છે તેવું જો સત્‍સંગ ઉપર હેત હોય, તો ભૂંડા સ્‍વભાવને તત્‍કાળ ટાળી નાખે, શા માટે જે જીવ તો અતિ સમર્થ છે, કેમ જે મન અને ઇન્‍દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે માટે જે કરે તે થાય.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૫૭||