સારસિદ્ધિ કડવું - ૦૩

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 2:34pm

રાગ :- ધન્યાશ્રી

કોઈક ઈચ્છે રાજ સાજ રિધ્ધિજી, કોઈક ઈચ્છે સુરપુર પ્રસિધ્ધિજી ।

કોઈક ઈચ્છે મુકિત ચઉ વિધિજી, એમ સુખ સારું સૌએ દોટ દિધીજી ।।૧।।

રાગ :- ઢાળ

એમ દોટ સુખસારું દીધી, કીધી મોટા સુખની આશ ।

અલ્પ સુખથી મન ઉતારી, નિત્ય દેહ દમે છે દાસ ।।ર।।

સહે છે સંકટ શરીરમાં, ફળ મળવા સાંધિ છે ફાળ ।

જાણ્યું રિઝવી જગદીશને, પામું અભય વર તતકાળ ।।૩।।

તેહ સારું તાવે છે તનને, રે’છે મનમાં મોટી આશ ।

કૈયે રાજી કરું કૃષ્ણને, કૈયે પામું સુખ વિલાસ ।।૪।।

અહોનિશ એવો અંતરે, વરતે છે અખંડ વિચાર ।

તેણે સહે સમૂહ સંકટના, તોય પામતા નથી હૈયે હાર ।।પ।।

સવાસનિક નર એમ સુખ સારું, અતિ અતિ કરે છે ઉપાય ।

મોટપ્ય ઈચ્છે છે મનમાં, તેહ વિના તન ન તવાય ।।૬।।

અતિ આગ્રહે આદરી, કરે પ્રભુ ને પ્રસન્ન ।

પછી માગે સુખ શરીરનું, એવા પણ અજ્ઞાની જન ।।૭।।

નિર્વાસનિક વિના નરને, સમુ માગતાં સુઝે નહિ ।

જેમ વાંણાકરે વપુ વાંણાકરનું, માગ્યું કાશિયે કરવત લઈ ।।૮।।

એમ નાના વિષય નાવ્યા નજરે, મોટા વિષય મળવા મન કર્યું ।

હતો અસાધ્ય રોગ અંગમાં, વળી વિશેષે કમળ ફર્યું ।।૯।।

તેને પૂર્વ તે પશ્ચિમ થયું, હૈયું રહ્યું નહિ વળી હાથ ।

નિષ્કુલાનંદ એવા નર અમર, પામે નહિ મોટી મીરાંથ ।।૧૦।। કડવું ।।૩।।