સ્નેહગીતા કડવું - ૨૯

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:04pm

ઊદ્ધવ કહે વળી સુંદરી સુણો સહુજી, તમે છો હરિને બાઈ વ્હાલી બહુજી ।
નિશદિન નાથની સાથે બાઈ હું રહુંજી, કહ્યું મને શ્રીકૃષ્ણે તે તમને કહુંજી ।।૧।।

ઢાળ –
કહ્યું છે બાઈ કૃષ્ણજીએ, કરજો કર જોડી પ્રણામ ।
વળી વળી શું કહું કૃષ્ણ કહે, મારે સુંદરી સુખધામ ।।૨।।

રાત દિવસ રટણ રહેછે, વારંવાર વ્રજ સાથને ।  
તમારા પ્રેમની વાત પ્રમદા, નથી વિસરતી નાથને ।।૩।।

વળી ઊઠતાં બેસતાં એમ બોલે, શું કરતી હશે વ્રજ સુંદરી ।
સુતાંસુતાં જાગે જયારે, ત્યારે ગોપી ગોપી ઊઠે કરી ।।૪।।

એમ સંભાળે છે શ્યામળો, વળીવળી વ્રજજનને ।
પ્રાણથકી અધિક અબળા, જણાવોછો જીવનને ।।૫।।

ભવ બ્રહ્મા ભજેછે જેને, તેતો ભજેછે બાઈ તમને ।
તમારી તેની ખબર ખરી, કાંઈ પડતી નથી અમને ।।૬।।

કોણ જાણે જે કેમ હશે, વળી નથી કળાતી વારતા ।
રાત દિવસ હૃદયથી, હરિ તમને નથી વિસારતા ।।૭।।

ઊદ્ધવ કહે હું આશ્ચર્ય પામ્યો, શિયાં પુણ્ય તમારાં છે સજની ।
સુતાં બેઠાં જાગતાં, વ્હાલો વાત કરેછે વળી વ્રજની ।।૮।।

બાઈ પ્યારી છો તમે પ્રાણથી, કૃષ્ણે કહ્યું ને હું પણ કહું ।
હરિ તમારા હેતનો હું, પાર કઇ પેરે લહું ।।૯।।

પણ હેત કરી હરિ હૈયાનું, હારદ કહ્યું છે અમને ।
નિષ્કુલાનંદના નાથનું ગમતું, તે સાંભળોતો કહું તમને ।।૧૦।। કડવું ।।૨૯।।