ગઢડા અંત્ય ૩૬ : કલ્યાણના અસાધારણ સાધનનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:56am

ગઢડા અંત્ય ૩૬ : કલ્યાણના અસાધારણ સાધનનું

સંવત્ ૧૮૮૫ના વૈશાખ શુદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી ધોડીએ ચઢીને શ્રીલક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને તે વાડીને મઘ્‍યે જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ તથા હરિભક્ત પ્રત્‍યે પ્રશ્ર્ન કર્યો જે, “આ જીવને કલ્‍યાણનું અસાધારણ સાધન શું છે જે જેને વિષે એ પ્રવર્તે તો એનું નિશ્વય કલ્‍યાણ થાય, ને તેમાં બીજાં કોઈ વિઘ્‍ન પ્રતિબંધ કરે નહિ ? તે કહો તથા એવા કલ્‍યાણના સાધનમાં  મોટું વિઘ્‍ન શું છે ? જે જેણે કરીને તેમાંથી નિશ્વય પડી જાય, તે પણ કહો,” પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો પણ એ પ્રશ્ર્નનું સમાધાન ન થયું. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કલ્‍યાણનું અસાધારણ સાધન તો એ છે જે, પુરૂષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેનાજ સર્વે અવતાર છે, એમ સમજીને તે પ્રત્‍યક્ષ ભગવાનનો જેતે ભાવે કરીને આશ્રય કરવો, ને ધર્મ સહિત તે ભગવાનની ભકિત કરવી, ને તેવી ભકિતએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો, એ કલ્‍યાણનું અસાધારણ સાધન છે. અને એમાં બીજાં કોઈ વિઘ્‍ન પ્રતિબંધ કરતાં નથી અને એ સાધનને વિષે મોટું વિઘ્‍ન એ છે જે, શુષ્કવેદાંતિનો સંગ કરવો,’ અને જો એનો સંગ કરે તો શું વિઘ્‍ન થાય ? તો તેનો સંગ કરનારો જે પુરૂષ તેને તેનેવિષે હેત થાય. અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે; જેમ કોઈકે કાળમાં અન્ન આપીને જિવાડયો હોય તેની ઉપર હેત થાય. એવી રીતે જે જેણે ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય, તેમ તે શુષ્કવેદાંતિ તે એને એમ ગુણ દેખાડે જે, આત્‍મા છે તેને જન્‍મમરણ નથી ને તે  નિરાકાર છે, અને તે ગમે એટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે.’ એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે ત્‍યારે અને એ મોટું વિઘ્‍ન થયું કેમજે, ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો. માટે એ શુષ્કવેદાંતિનો સંગ કયારેય ન કરવો, અને એ શુષ્કવેદાંતિ તો મહા અજ્ઞાની છે ને ભગવાનના ભકિતમાર્ગમાં એવું મોટું કોઇ વિઘ્‍ન નથી.”

એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દાદાખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણે બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી જે, “અમે સર્વે શાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્‍વીમાં સર્વ ઠેકાણે ફર્યા ને તેને વિષે ઘણાક સિદ્ધ દીઠા છે.” એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી. ને પછી એમ બોલ્‍યા જે, “હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ઘ્‍યાન તે વિના જે આત્‍માને દેખવો ને બ્રહ્મને દેખવું તેતો થાયજ નહિ, ને ઉપાસનાએ કરીનેજ આત્‍મા દેખાય. બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાયજ નહિ. અને ઉપાસના વિના આત્‍મા બ્રહ્મને દેખવાને ઈચ્‍છવું, તે કેમ છે તો જેમ આકાશને જીભે કરીને સો વર્ષ સુધી ચાટીએ તો પણ કયારેય ખાટો, ખારો સ્વાદ આવેજ નહિ, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્‍મા બ્રહ્મ દેખાયજ નહિ, તે ગમે તેટલું યત્‍ન કરે તો પણ ન દેખાય, ૨અને નિબર્ીજ એવા જે સાંખ્‍ય ને યોગ તેણે કરીને  જે આત્‍માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે પણ અમે એવા કોઈ દીઠા નથી, ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી. માટે એ વાર્તા ખોટી છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૩૬|| ૨૭૦ ||