સારસિદ્ધિ કડવું - ૩૬ દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત. । પદ - ૯

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:40pm

કથી નથી કે’વાતું કડવું લગાડીજી, ચોખા ચોખું ચોકસ પાંતિયા પાડીજી

આવે અવસરે જે વરતે છે અનાડીજી, તેને કે’તાં ડરતાં રે’વાએ દાડીજી।।૧।।

ઢાળ - 

દાડી રે’વાયે ડરતાં, સાચું કે’તાં ઊપજે કલેશ ।।

જેને આઠે અંગે તો કુસંગ છે, છે સતસંગનો તો વળી લેશ ।। ર ।।

જેમ નર્તક નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે ।।

તેને જાણે છે જે યોષિતા, એ વાત બંધ કેમ બેસશે ।। ૩ ।।

વૈરાગ્યહીન ભકતહીન, અને ધર્મ તો ધરથી નથી ।।

તેને વાતો ત્યાગની, શીદ કહીને મરિયે મથી ।। ૪ ।।

ઝાઝું કે’તાં જોખો ઊપજે, તેને કે’વું તે કળે કળે ।।

સે’જે સે’જે કામ સારવું, પણ બહુ તો ન બોલવું બળે ।। પ ।।

જેમ સિંહ સમીપે બકરી, તે બીતી બીતી બોલી શકે ।।

તેમ અનાડી નરને આગળે, કેમ બોલાએ વણ તકે ।। ૬ ।।

જેમ કાળા સર્પના કંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે ।।

તેને ઉઘાડતાં દુઃખ ઊપજે, રખે ઉઘાડતા ભોળાપણે ।। ૭ ।।

જેમ સાવજનું સાધુપણું, મર્કટ મુખે લીધા લગે ।।

તેમ અસાધુ સાધુ થઈ, સાધુને સેવાએ ઠગે ।। ૮ ।।

એ પણ વાત ઓળખવી, અતિ રે’વું નહિ અજાણ ।।

જેમ વ્યાઘ્ર લોટે ઊંટ આગળે, પણ લઈ લેવા છે પ્રાણ ।। ૯ ।।

ખરી વાત એ ખોટી નથી, સાચી માનજો સર્વે સહી ।।

નિષ્કુળાનંદ કહે નથી કહ્યું, અંતરમાં ઈર્ષ્યા લઈ ।। ૧૦ ।।કડવું ।।૩૬।।

 

રાગ:-ધોળ

(સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત;)

દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત..સંત ।। ૧ ।।

જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ;

અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા કવાથ. . સંત ।। ર ।।

જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઇયળનું અંગ;

તેમ સંત વચન કટુ કહે, આપવા આપનો રંગ. . સંત ।। ૩ ।।

જાણો સંત સગાં છે સહુનાં, જીવ જરૂર જાણ;

નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિરવાણ. . સંત ।। ૪ ।।