સ્નેહગીતા કડવું - ૩૯

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:22pm

પ્રમદાનો પ્રેમ તે કેમ કરી જાય કહ્યોજી, સુંદરીનો સ્નેહદેખી દિગમૂઢ થયોજી ।
ધન્ય ધન્ય અહો ઊદ્ધવ એમ કરે રહ્યોજી, જોયું હેત જુવતીનું અપાર પાર નવ લહ્યોજી ।।૧।।

ઢાળ –

પાર ન લહ્યો પ્રેમ કેરો, જોઈ જોઈ જોયું ઊદ્ધવે ।
શ્રીકૃષ્ણ વિના પ્રાણ આના, કેમ કરીને રે’શે હવે ।।૨।।

કોઈક મુખ નિશ્વાસ મૂકે, કોઈ આંખડીએ આંસુ ભરે ।
કોઈક વદન કરી ઉંચું, ગાઢે સ્વરે રોદન કરે ।।૩।।

ઊદ્ધવ કહે બાઈ એમ મ કરો, તમે ધરો અંતર ધીર ।
તમને હરિ સુખ આપશે, લોહી નાખો નયણનાં નીર ।।૪।।

ત્યારે સુંદરી કહે અમે શું કરૂં, કેમ રહે નયણાંનાં નીર ઝાલિયાં ।  
તમે હતા જે કથા કે’તા, તેહ પણ વીરા તમે ચાલિયા ।।૫।।

સારૂં સધાવો સ્નેહી શ્યામના,દરશ સ્પરશ કરો હરિચરણને ।
અમારાં આશિષ વચન, કે’જો અશરણ શરણને ।।૬।।

પછી ઊદ્ધવ ગોપીને પાયે લાગી, માગી શીખ રથ ચલાવિયો ।  
રૂહો સ્નેહ સુંદરીનો, મનન કરતાં મથુરાં આવિયો ।।૭।।

ઊદ્ધવ આવિને ભેટ્યા ભૂધરને, નયણાં તૃપ્ત ન થાયે નિરખતાં ।  
ત્યારે કૃષ્ણ કહે ભલે આવ્યા ઊદ્ધવ, શું કરેછે વ્રજવનિતા ।।૮।।

સ્નેહ મુજશું સુંદરીને હતો, અતિ ઘણો અતોલજો ।  
કોઈ હવે સંભારેછે વ્રજમાં મને, તમે ઊદ્ધવજી સાચું બોલજો ।।૯।।

ઊદ્ધવ કહે સુણો શ્રીહરિ, ધન્ય ધન્ય વ્રજની વિરહિણી ।  
નિષ્કુલાનંદના નાથ કે’તાં, વીતે છે દિન ને રેહણી ।।૧૦।। કડવું ।।૩૯।।