સ્નેહગીતા કડવું - ૨૮ ઉદ્ધવજી હવે ઉચ્ચરો, કરો વા’લાની વાત; પદ-૭

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:02pm

પછી ઊગ્યો અર્ક ને જાતી રહી જામનીજી, ભવન ભવનથી ભેળી થઈ ભામનીજી ।
નંદ ઘરે નવલો રથ કેનો આવ્યો કામનીજી, અલબેલો આવ્યા જાણી ધામધામનીજી ।।૧।।

ઢાળ –

ધામધામથી ધાઈ ગોપી, વળી રથ જાણીને રાજનો ।
ટોળે મળી વળી વનિતા, મેલ્યો ધંધો ઘર કાજનો ।।૨।।

આવી જોયું ત્યાં ઊદ્ધવદીઠા, પછી ભેટી તેને ભાવશું ।
પછી પ્રેમે કરીને પ્રમદા, પુછે ઊદ્ધવને ઊત્સાવશું ।।૩।।

શિયો સંદેશો સુખનો, કૃષ્ણજીએ અમને કા’વિયો ।
તમને મુકયા તે ન આવ્યા, એવો શિયો અભાવ આવિયો ।।૪।।

સાચું કહેજો સમ અમારા, અમે પુછુંછું એ પ્રશ્નને ।  
અમ ઊપરે ઊદ્ધવ એણે, કહો કેમ ધાર્યું છે કૃષ્ણને ।।૫।।

અહોનિશ ઊદ્ધવ તમે, મોહનશું રહોછો મળી ।
કોઈ વારે કૃષ્ણજી કહેતા, વ્રજમાં જાશું વળી ।।૬।।

ઊદ્ધવ કહેજો અમને, હોય જથારથ જેવું સહિ ।  
શિયે વાંકે શ્યામળો, વળી વ્રજમાં આવ્યા નહિ ।।૭।।

સ્નેહ છે એને કોણ સાથે, કેની પ્રીત કરી પિયુ વાધિયા ।  
કેને વશ થઈ રહ્યા વહાલો, જે અમને તજી તેના થયા ।।૮।।

ઊદ્ધવ અમને અલબેલાની, કથા તે સર્વે કહો કથી ।  
કોણ કારણ ઊદ્ધવ અમને, મોહને ઊતાર્યાં મનથી ।।૯।।

ઊદ્ધવજી હવે ઊચ્ચરો, રખે વા’લે કહ્યું તે વિસારતા ।  
નિષ્કુલાનંદના નાથજીની, કરો વિધ વિધ વારતા ।।૧૦।। કડવું ।।૨૮।।


પદ-૭
રાગ : સોરઠા
‘જનુની જીવો રે ગોપીચંદની’ એ ઢાળ.
ઉદ્ધવજી હવે ઉચ્ચરો, કરો વા’લાની વાત;
જે રે કરો તે જીવાડજો, અમો છીએ અબળાની જાત...ઉદ્ધવ૦ ।। ૧ ।।
સહુ મળી અમે સુણવા, લેવા સુખ શરીર;
ઉદ્ધવ અમે છીએ અધીરિયાં, તેને આપજો ધીર..ઉદ્ધવ૦ ।। ૨ ।।
એક વાતે શાંતિ ઊપજે, એકે ઊઠે છે ઝાળ;
વિવેકે કહેજો તે વીરા વળી, થઈ દિલના દયાળ..ઉદ્ધવ૦ ।। ૩ ।।
વલવલું છું અમે વનિતા, તે તો કૃષ્ણને કાજ;
નિષ્કુળાનંદનો નાથજી, કયારે મળશે મહારાજ..ઉદ્ધવ૦ ।। ૪ ।।