સ્નેહગીતા કડવું - ૦૬

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:03pm

વળી વ્રજવનિતા પ્રેમે પરવશ થઇજી, રસિયાજી વિના રંચ નવ શકે રહીજી ।
કૃષ્ણ કયાં કૃષ્ણ કયાં જેને તેને પુછે જઈજી, એમ સ્નેહની સાંકળી શુદ્ધ ભૂલી ગઇજી ।।૧।।

ઢાળ –

શુદ્ધ ભૂલી ગઇ શરીરની, વળી ગોવિંદને ગોતે ઘણું ।
આવો રસિયા આવો રૂડા, નિરખું હું મુખ તુજતણું ।।૨।।

વાટે ઘાટે પુછે વનિતા, વળી કોઈ બતાવો કૃષ્ણને ।
નાથ વિના નથી રે’વાતું, ઘણું દિલદાઝેછે દૃષ્ણને ।।૩।।

ખોળતાં તે ખરી ખબર પામી, જાણ્યું વાલો સધાવ્યા વનમાં ।
કાંઈક મષ લઈ જાયે કેડે, એમ વિચાર્યું વળી મનમાં ।।૪।।

ગોરસ રસની ભરી ગોળી, વળી જાય મથુરાં મારગે ।  
એહ મષે ચાલિ વાંસે,દયાળુનેદેખવા દૃગે ।।૫।।

નાથજીને નિરખ્યા વિના, ઘણું દિવસ જાયેદોયલો ।
ભૂધરજીને ભેટે જયારે, ત્યારેજ સુખ દિન સોયલો ।।૬।।

હરિમુખ જોયે સુખ ઊપજે,વળી શાન્તિ વળે શરીરને ।  
અસ્થિર મન તે સ્થિર થાયે, જયારે જુવે હલધર વીરને ।।૭।।

એમ પ્રીત પાવકે પંડ્ય પ્રજળ્યું, વળી વિરહમાં વિલખ્યા કરે ।  
પ્રેમદોરિયે બાંધી પ્રમદા, વાલમને વાંસે ફરે ।।૮।।

શ્યામ વિના કાંઈ કામ ન સુઝે, વળી કળ ન પડે કોઈ ।  
પિયુ વિના પળ પ્રેમીને, વળી વીતે તે વસમી સોઇ ।।૯।।

સ્નેહી જનને સુખ કયાંથી, જેના પ્રાણ પરને સાથ છે ।  
નિષ્કુલાનંદ પ્રેમી જનનું, જીવિતવ્ય હરિને હાથ છે ।।૧૦।। કડવું ।।૬।।