૧૫૨. બુરાનપરુનાં દીવાન દાદોભાઇ, વણિક શોભારામ અને હરિરામને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:43pm

પૂર્વછાયો- ખાનદેશ બુરાનપુરમાં, વસે હરિજન જેહ ।

સહાય કરી જેની સ્વામીએ, કહું સાંભળજયો હવે તેહ ।।૧।।

વિપ્ર એક દિવાનદાદો, સતસંગી નહિ સોય ।

જાણ્યે અજાણ્યે જમાડીયા, સંત તે સ્વામીના દોય ।।૨।।

બીજાં પુણ્ય તો બહુ કર્યાં, જન્મ ધરીને જેહ ।

તેહ ભેળું પુણ્ય આટલું, થયું અજાણ્યે એહ ।।૩।।

એમ કરતાં અવધિ તેનો, આવ્યો તે દેહનો અંત ।

અવશ્ય તેડવા આવિયા, મહા કરૂર તે કૃતાંત ।।૪।।

ચોપાઇ- અંતકાળે આવ્યા જમ જયારે, દિધું દાદાને દુઃખ તે વારે ।

જેજે જન્મ ધરી કર્યાં પાપ, તેતે સંભારી કર્યો સંતાપ ।।૫।।

દિઠા દાદે જમદૂત જયારે, દેવી દેવને સંભાર્યા ત્યારે ।

સંત મહંત સન્યાસી સોય, તેહ વિના જે સેવ્યાતા કોય ।।૬।।

એહ સર્વેને જોયા સંભારી, કહ્યું કોઇ હરો પીડા મારી ।

એહ માંહિલું એકે ન આવ્યું, તે વારે દાદે શિશ ડોલાવ્યું ।।૭।।

કહે હવે કરૂં હું શીપેર, કેણે સાય ન કરી આ વેર ।

એમ કહીને થયો નિરાશ, ત્યાં તો સંત દિઠા દોય પાસ ।।૮।।

કહે સંત સુણો જમદૂત, કેમ આવિયા આંહિ કપુત ।

જાઓ વેલા વેલા પાછા વળી, કેમ ઉભા રહ્યા છોે સાંભળી ।।૯।।

ત્યારે બોલિયા જમના દૂત, ઠાલું શિદને કરો છો તુત ।

એહ જીવ કેદિ છે તમારો, સર્વે રીત્યે એ છે જો અમારો ।।૧૦।।

માટે જોર તમારે ન કરવું, જાઓ યાંથી આડું નવ ફરવું ।

એવો સંત ને જમનો વાદ, સુણે છે દાદો સર્વે સંવાદ ।।૧૧।।

ત્યારે સંત કહે જોશું અમે, લેઇ જાઓ જો લેવાય તમે ।

ત્યારે જમ કહે જોડી હાથ, તમે સુખે ચાલો અમ સાથ ।।૧૨।।

જાઇયે ધર્મરાયને જો પાસ, જયાં છે પાપ પુણ્યનો તપાસ ।

એનાં જોશે સુકૃત સંભાળી, હશે તમારા તો દેશે વાળી ।।૧૩।।

એમ કહી કાઢ્યો જીવ જયારે, થઇ સતી તેની નારી ત્યારે ।

તેનો જીવ આવી સંગે મળ્યો, નારી સહિત જમપુર પળ્યો ।।૧૪।।

ચાલ્યા સંત જમદૂત સાથ, ગયા જીયાં હતા જમનાથ ।

ધમેર્ સંતનું સન્માન કીધું, પછી એ જીવનું ખત લીધું ।।૧૫।।

નહિ પુણ્ય ને પાપ અનંત, પુણ્ય એટલું જમ્યા બે સંત ।

કરી તેહ પુણ્યનો તપાસ, કહે ધર્મ જાઓ હરિપાસ ।।૧૬।।

પછી મહારાજ પાસળે લાવ્યા, સંત દોય તેહ સંગે આવ્યા ।

ત્યારે મહારાજ કહે સુણો જન, એણે આપ્યું છે તમને અન્ન ।।૧૭।।

માટે હમણાં સુરપુર જાશે, પછી વૈકુંઠનો વાસ થાશે ।

એમ કહી આપ્યા દોય હાર, પહેરી ચાલ્યાં પુરૂષ ને નાર ।।૧૮।।

તે દિઠું સર્વે સમાધિવાને, વળી જે કહ્યું તે સુણ્યું કાને ।

જાગ્યા સમાધિમાંહિથી જયારે, આવી સર્વે કહી વાત ત્યારે ।।૧૯।।

કહે આજ થકી નવ વરષે, દાદો સતસંગમાં દેહ ધરશે ।

થાશે સતસંગી નારી ને નર, પછી જાશે તે બ્રહ્મ નગર ।।૨૦।।

એતો દિઠું છે અમારે નેણ, નથી જુઠું એમાં એકે વેણ ।

સહુ સાંભળી આશ્ચર્ય પામ્યાં, થયો પરચો કહી શિશ નામ્યાં ।।૨૧।।

વળી વણિક ભક્ત સુંદર, ભાઇ શામજી ને પીતાંબર ।

એહ બેઉ ભાઇ સતસંગી, તેનો ભાઇ વૈષ્ણવ કુસંગી ।।૨૨।।

નામ શોભારામ તે અનાડી, કરે સતસંગનો દ્રોહ દાડી ।

શામજી પીતાંબરને વારે, આવે સતસંગ માંહિ તો મારે ।।૨૩।।

એમ કરે અવળાઇ અતિ, કેનું કેણ ન માને કુમતિ ।

કરે નિંદા એ પડ્યો અભ્યાસ, પછી આવ્યા તે સંતને પાસ ।।૨૪।।

સંતે વાત કરી અતિ સારી, તેતો વાત હૈયામાં ન ધારી ।

પછી સંતને રૂપે શ્રીમુખ, કહ્યાં જમપુરીનાં જે દુઃખ ।।૨૫।।

સુણી તરત થઇ ત્યાં સમાધિ, જઇ દીઠી જમપુરી બાધી ।

ઠામો ઠામથી ઉઠિયા જમ, દેવા લાગ્યા છે માર વિષમ ।।૨૬।।

અતિ મારે બોલે મુખ એમ, પાપી સતસંગીને પીડે કેમ ।

તેનું ફળ સર્વે તને દેશું, તારો મારી મારી જીવ લેશું ।।૨૭।।

એમ દીધો દંડ ઘડી ચાર, પછી આવ્યો સમાધિથી બાર ।

આવી કહી સંત આગે વાત, આજ થઇતી જીવની ઘાત ।।૨૮।।

હવે જયાં લગી રહે મારા પ્રાણ, ન કરૂં સતસંગનાં કુવખાણ ।

ત્યારે સંત કહે સારૂં ભાઇ, હવે બેસતું સમાધિમાંઇ ।।૨૯।।

પછી બેઠો ધ્યાને શોભારામ, દિઠા હરિ ને હરિનાં ધામ ।

પામ્યા સુખ સમાધિમાં અતિ, જોઇ સ્વામીશ્રીજીની મૂરતિ ।।૩૦।।

રહ્યો પ્રભુ પાસે બહુ વાર, પછી આવ્યો સમાધિથી બાર ।

આવી કહીછે સર્વે વાત, કહે સ્વામી મેં નિરખ્યા સાક્ષાત ।।૩૧।।

આવું ન દીઠું ને ન સાંભળ્યું, અતિ મોટું સુખ મને મળ્યું ।

હું તો પામિયો આનંદ અંગ, કહે ધન્ય ધન્ય સતસંગ ।।૩૨।।

હું તો પામિયો પરચો આજ, મને મળ્યા પ્રકટ મહારાજ ।

વળી બુરાનપુરને માંઇ, રહે દ્વિજ નારાયણજી ત્યાંઇ ।।૩૩।।

તેતો આવ્યોતો ઉદ્યમ કાજ, ગુજરધરમાંહિ દ્વિજરાજ ।

તિયાં મળી ગયો સતસંગ, ધાર્યાં નિયમ સર્વે શુભ અંગ ।।૩૪।।

પછી ગયા થોડા ઘણા દન, આવી અવધિયે ત્યાગિયું તન ।

ત્યારે તેડવા આવ્યા મહારાજ, ગયો બ્રહ્મમોલે દ્વિજરાજ ।।૩૫।।

તેનો સુત હરિરામ એક, હતો ઘરે નાનકડો છેક ।

તેને પણ થયો સતસંગ, થઇ સમાધિ પલટ્યું અંગ ।।૩૬।।

ગયો દેહ તજી બ્રહ્મમોહોલ, તિયાં દિઠું છે સુખ અતોલ ।

દિઠા ત્યાંના સર્વે રહેનાર, દિઠો પોતાનો તાત તેવાર ।।૩૭।।

તાત સુત મળ્યા માંહોમાંઇ, એવું દિઠું છે સમાધિમાંઇ ।

જયારે આવ્યો સમાધિથી બાર, એહ વાત કરી છે તે વાર ।।૩૮।।

સતસંગીએ માન્યું તે સત્ય, કહે કુસંગી સર્વે અસત્ય ।

અમે ન માનીએ એવી વાણ, માનીયે જયારે મળે એંધાણ ।।૩૯।।

વારૂ સમાધિમાંહિ તું જઇ, પૂછિયે વાત તે આવ્ય લઇ ।

તારો તાત ને અમે બે ભાઇ, ગયાતા બીજા ગામડા માંઇ ।।૪૦।।

શિયે કામે ગયાતા ત્યાં શું થયું, કહેજે જઇ મને એ પૂછિયું ।

પછી હરિરામે સમાધિ કરી, ગયો બ્રહ્મમોહોલ માંહિ ફરી ।।૪૧।।

નારાયણજી જે એનો તાત, તેને આગળ્ય જઇ કહી વાત ।

મિત્ર તમારો વ્યંકટરામ, તેનો ભાઇ જ્ઞાનેશ્વર નામ ।।૪૨।।

તેણે પૂછ્યું છે પ્રશ્ન તે એમ, અમે ગ્યાતા બીજે ગામ કેમ ।

ત્યારે નારાયણ કહે તાત, તેની કહું તને સર્વે વાત ।।૪૩।।

ગામ નામે બદલપુર માંઇ, ગ્યાતા પોંક ખાવા સારૂં ત્યાંઇ ।

પોંકખાઇ પાછા અમે વળ્યા, ત્યારે વાટમાંહિ ભીલ મળ્યા ।।૪૪।।

તેણે વસ્ત્ર લીધાં સર્વે લુંટી, દેજયે એંધાણી એ જઇ મોટી ।

પછી સમાધિથી આવી બાર, કરી વાત એ સર્વે તેવાર ।।૪૫।।

જેજે વીતિ એ ત્રણને વાત, કહી એંધાણી દઇને સાક્ષાત ।

ત્યારે વ્યંકટરામે વિચાર્યું, સત્ય વાત એમ મન ધાર્યું ।।૪૬।।

જ્ઞાનેશ્વર રહ્યો ગમ ખાય, આ વાત કેમ ખોટી કહેવાય ।

સાચા સતસંગી સાચા સંત, સાચા સ્વામી પોતે ભગવંત ।।૪૭।।

એમ કહી સંત પાય નમ્યા, કરજયો મહારાજ અમપર ક્ષમા ।

તમારી સવેર્ સાચી છે વાત, અમે પામ્યા પરચો સાક્ષાત ।।૪૮।।

એમ બહુબહુ ચમતકાર, થાય બુરાનપુર મોઝાર ।

કહેતાં લખતાં ન આવે અંત, એમ પરચા થાય છે અત્યંત ।।૪૯।।

પળે પળે કરે હરિ સહાય, નિત્ય પ્રત્યે સતસંગમાંય ।

તેણે મગન રહે નરનાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને બાવનમું પ્રકરણમ્ ।।૧૫૨।।