૧૪૬. નાથ ભકત, લખો ભકત, ભગવાનદાસ, જગજીવન, અમતૃ બાઇ, બેચર ભકત વગેરે વડોદરાનાં ભકતોને આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:35pm

પૂર્વછાયો- વળી શહેર વડોદરે, નકી ભક્ત નાથજી નામ ।

તન ધન ભવન આદિ, આણ્યું હરિને કામ ।।૧।।

કામ ક્રોધ ને લોભ મોહ, આવે નહિ કેદિ અંગ ।

નકી નકોર નિઃસંશે નિશ્ચે, એવો જેને સતસંગ ।।૨।।

તેની તરૂણી તેહજ તેવી, અતિ પવિત્ર છે એહ ।

સમેટી પ્રીત્ય સંસારથી, કર્યો શ્રીહરિમાં સનેહ ।।૩।।

અવધિ પોત્યે આવિયો, તેહના તે દેહનો કાળ ।

આવ્યા તેડવા તેહને, દીનબંધુ દીનદયાળ ।।૪।।

ચોપાઇ- આવ્યા તેડવા તેને મહારાજ, સંગે બહુ લઇ મુનિરાજ ।

લાવ્યા સુંદર સારાં વિમાન, તેડી ચાલ્યા તેને ભગવાન ।।૫।।

દિઠું સત્સંગી કુસંગી સહુએ, જોઇ આશ્ચર્ય માનિયું બહુએ ।

કહે આવુંતો ન દિઠું કયાંઇ, ચાલી વિમાને બેસી આ બાઇ ।।૬।।

વળી વાત કહું એક સારી, તેના સુતની છે સુખકારી ।

તેને ધારણા થાય હમેશ, કરે પ્રભુપાસે તે પ્રવેશ ।।૭।।

લાવે પ્રસાદી નિત્ય નવલી, બોર સાકર ખારેક ભલી ।

વળી શ્રીમુખે જમેલ જેહ, લાવે સોપારી તર્તની તેહ ।।૮।।

એવી પ્રસાદી જે બહુ પેર, આપે મહારાજ કરીને મહેર ।

વળી એક દિવસ દયાળ, જમ્યા પ્રકટ આવીને થાળ ।।૯।।

વળી રાયજી નામે છે જન, રહે નાથ ભેળો ભાઇ તન ।

તેના દેહનો આવિયો કાળ, આવ્યા તેડવા દીનદયાળ ।।૧૦।।

ત્યારે નાથજીએ કરી સ્તુતિ, બોલ્યા ત્યારે પ્રભુ પ્રાણપતિ ।

નહિ તેડી જાયે એને અમે, છો એકલા નાથભક્ત તમે ।।૧૧।।

પછી સહુને દરશન દીધાં, એમ કાજ નાથજીનાં કીધાં ।

આપે પરચા એમ અત્યંત, કહેતાં લખતાં ન આવે અંત ।।૧૨।।

વળી એક ભક્તની છે વાત, સંભળાવું સહુને સાક્ષાત ।

એક કણબી કિશોરદાસ, તેનો સુત લખો નામ તાસ ।।૧૩।।

તેને સમાધિનું સુખ અતિ, નિત્ય કરે નાથપાસે ગતિ ।

તેનો તાત કહે પૂછ્ય હરિને, જમે થાળ જો મહેર કરીને ।।૧૪।।

પૂછ્યું લખે પાડી તેની હાજ, કર્યો થાળ પછી હરિકાજ ।

આવ્યા જમવા શ્યામ સુુજાણ, પ્રભુ પોત્યે પ્રકટ પ્રમાણ ।।૧૫।।

જમી અર્ધ લાડુ થાળમાંથી, પછી પધાર્યા પ્રભુજી ત્યાંથી ।

દીધાં બહુ જનને દરશન, નિરખી નાથને કહે ધન્ય ધન્ય ।।૧૬।।

વળી એક દિવસની વાત, કહે લખાને લખાની માત ।

તારી સમાધિ સાચીતો ગણું, થાય દ્રષ્ણ મને કૃષ્ણતણું ।।૧૭।।

ત્યારે લખે સમાધિમાં જઇ, એહ વાત મહારાજને કહી ।

ત્યારે મહારાજ કહે ઘણું સારૂં, એવું થાશે દર્શન અમારૂં ।।૧૮।।

પછી મોરમુગટ પીતાંબર, વાતા વાંસળી શ્યામ સુંદર ।

ધરી સોળ વર્ષનું સ્વરૂપ, અશ્વે બેઠા દિઠા છે અનુપ ।।૧૯।।

ત્યારે ડોશી કહે ધન્ય ધન્ય, થયું પ્રકટ પ્રભુનું દર્શન ।

આવી વાત દીઠી ન સાંભળી, અતિ અલૌકિક મને મળી ।।૨૦।।

એહ પચોર્ અલૌકિક થયો, વળી લખો સમાધિમાં ગયો ।

તિયાં વાલે કરી અતિવાલ, દીધો દેહ લુઇને રૂમાલ ।।૨૧।।

આપ્યો સમાધિમાં અવિનાશે, જાગ્યો ત્યારે રહ્યો પોતા પાસે ।

લાવ્યો અલૌકિક લોકમાંઇ, એથી પર્ચો મોટો નહિ કાંઇ ।।૨૨।।

વળી એક કુસંગીને કાજે, મેલ્યા દૂત લેવા જમરાજે ।

દેખી લખે વાત તેને કહિ, મારી પોળ્યમાં પેસવું નહિ ।।૨૩।।

ત્યારે જમ બોલ્યા ડારો દઇ, જા તું બેશ તારે ઘેર જઇ ।

ત્યારે લખો કે નહિ દેવું લેવા, બહુ જમ દીઠા મેં તું જેવા ।।૨૪।।

એમ કહીને વધાયુર્ં દેહ, માંડ્યા મારવા ભાગ્યા છે તેહ ।

ગીયો મારતો જમપુરીમાં, ભાગ્યા બીજા જે રહેતાતા તેમાં ।।૨૫।।

કરી ખાલી જયારે જમપુરી, જમે હરિ પાસે રાવ કરી ।

કહે નાથ જાઓ નહિ મારે, કહેજયો સહુને એને ન બીવારે ।।૨૬।।

એમ લખે રાખ્યો કુસંગીને, જમ ભાગી ગયા સહુ બીને ।

વળી એક પીતાંબર દાસ, લાવ્યો જામફળ લખાપાસ ।।૨૭।।

કહે જા તું સમાધિમાં લઇ, જમાડજયે ત્યાં નાથને જઇ ।

લીધું લખે દીધું હરિહાથે, જમી અર્ધ દિધું પાછું નાથે ।।૨૮।।

તે આપી પીતાંબરને પ્રસાદી, દિધા પરચા બહુ એહ આદિ ।

થયા લખાને પરચા લાખું, એક જીભે હું કેટલા ભાખું ।।૨૯।।

વળી ભક્ત ભગવાન દાસ, ચાલ્યો દર્શને દયાળુ પાસ ।

થયા સંગાતિ સુંદર શ્યામ, તેડી આવ્યા વરતાલ ગામ ।।૩૦।।

હતો આનંદ ઉત્સવ તિયાં, અતિ સુંદર દર્શન થિયાં ।

પછી ત્યાંથી જેતલપુર ગામે, કર્યો ઉત્સવ સુંદર શ્યામે ।।૩૧।।

તિયાં દીઠા છે દર્શન કરતાં, પ્રભુ મુખથકી ફુલ ઝરતાં ।

ઘડી ઉભે લગી એમ રહ્યું, નહિ પરોક્ષ એ પ્રત્યક્ષ થયું ।।૩૨।।

વળી કહી અંતરની વાત, જેમ હતી તેમ તે સાક્ષાત ।

એક દિવસ જમિયા થાળ, સહુ દેખતાં દીનદયાળ ।।૩૩।।

વળી આપી એકદિ પ્રસાદી, સારી સાકરની રાયજાદિ ।

એવી અલૌકિક વાત વળી, થઇ નોતિ દીઠી જે સાંભળી ।।૩૪।।

એક સત્સંગી જગજીવન, કરે સ્વામીશ્રીજીનું ભજન ।

તેને વાંક નાખ્યો વણ કીધો, ઝાલી બંધિખાનામાંહી દીધો ।।૩૫।।

કહે રૂપિયા લેશું હજાર, ત્યારે કાઢશું બેડીથી બહાર ।

એમ ડરાવે દુષ્ટ અપાર, આવ્યા તે સમે પ્રાણઆધાર ।।૩૬।।

કહે દંડનું દામ ન આલે, તને છોડાવશું અમે કાલે ।

પછી બીજે દાડે બેડી ભાંગી, કાઢ્યો દાસને વાર ન લાગી ।।૩૭।।

ત્યાર પછી મુવો એનો તાત, આવ્યા તેડવા પ્રભુ સાક્ષાત ।

તેતો દિઠા બીજે બહુ જને, નિર્ખિ નાથ મગન થયા મને ।।૩૮।।

વળી એકદિ જગજીવન, બેઠો કરવા હરિભજન ।

દિઠો તેજ તણો બિંબ ભારી, જોઇ ચકિત થયાં નરનારી ।।૩૯।।

એમ પામ્યો બહુ ચમત્કાર, કહેતાં લખતાં ન આવે પાર ।

વળી ભક્ત કાછિયો ખુશાલ, જેને વાલા સાથે ઘણી વાલ ।।૪૦।।

તેની સુતા તે અમૃતબાઇ, ગઇ હરિપાસે સમાધિમાંઇ ।

દિધા પેંડા ત્યાં હરિએ હાથે, આપ્યો હાર જે પહેર્યો તો નાથે ।।૪૧।।

વળી ઇક્ષુ જમેલ માદળિયાં, સુંદર પ્રસાદીનાં બોર મળિયાં ।

એહ આદિ પ્રસાદી અનુપ, તેતો રહે જાગ્યે તદ્રૂપ ।।૪૨।।

જમે પોત્યે ને આપે બીજાને, જાણી અલૌકિક મુદ માને ।

એક કાછિયો બેચર વળી, તેની વાત કહું લ્યો સાંભળી ।।૪૩।।

જાય સમાધિમાં પ્રભુ પાસ, હરિ રાજી થાય દેખી દાસ ।

પછી આપે પ્રસાદી દયાળ, જાણી બેચરને નાનો બાળ ।।૪૪।।

લિંબુ મિઠાં જામફળ જેહ, આપે પેંડા પ્રસાદીના તેહ ।

ખાય પેંડા વખાણે છે બહુ, દેખે સત્સંગી કુસંગી સહુ ।।૪૫।।

કહે કુસંગી પારખ્યું લહીએ, ત્યારે સ્વામીજીને સાચા કહીએ ।

એમ કહીને લીધો બોલાવી, બેસ બેચરિયા આંહિ આવી ।।૪૬।।

તારાં વસ્ત્ર ઉતારીને લહીએ, લાવ્ય પ્રસાદી તો સાચો કહીએ ।

પછી ઉતારી લીધાં અંબર, કહે સમાધિ હવે તું કર ।।૪૭।।

પછી બેચરે સમાધિ કરી, ગયો જીયાં બેઠા હતા હરિ ।

પછી સામું જોઇ હરિ હશા, જોઇ એની દિગંબર દશા ।।૪૮।।

આપ્યા ત્રણ્ય પેંડા તેહવારે, જાગી દેખાડ્યા સહુને ત્યારે ।

જોઇને સહુ આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં ।।૪૯।।

એમ પરચા અપરમપાર, આપે અલબેલોજી આ વાર ।

તેણે વર્તે છે અતિ આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળા નંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસોને છેંતાળિસમું પ્રકરણમ્ ।।૧૪૬।।