૧૪૨. ખુશાલ ભકત (ગોપાળાનંદસ્વામી)ને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:31pm

પૂર્વછાયો- અનુપ ઇડર દેશમાં, ધન્ય ધન્ય ટોડલા ગામ ।

ધન્ય ધન્ય દ્વિજની જાતિને, જયાં ઉપન્યા ભક્ત અકામ ।।૧।।

યોગી પૂર્વ જન્મના, જેને વાલા સંગે અતિ વાલ ।

પ્રભુ સંગાથે પ્રકટ્યા, ખરા ભક્ત નામ ખુશાલ ।।૨।।

શમ દમાદિ સાધને, પૂરા તપસી ત્યાગી તન ।

જાણે યોગ અષ્ટાંગને, પૂરણસિદ્ધ પાવન ।।૩।।

બાળપણામાં વાત બીજી, રૂચિ નહિ જેને રંચ ।

અતિ અભાવ અંગ વરતે, પેખીને વિષય પંચ ।।૪।।

ચોપાઇ- એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ્ય ।

બાળપણામાં રાચ્યાં ભજને, બીજાું કાંઇ ગમ્યું નહિ મને ।।૫।।

એમ કરતાં થયો સતસંગ, ચડ્યો અતિ ચિત્તે તેનો રંગ ।

આવી અંગમાં ખરી ખુમારી, ઉતરે નહિ કેની ઉતારી ।।૬।।

કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રકટ પ્રભુમાં પ્રીત્ય ।

એમ કરતાં કાંઇક દન, થયો પ્રકાશ પોતાને તન ।।૭।।

કોટિકોટિ સૂરજ સમાન, છાયો તેજે જમિ અસમાન ।

તેમાં કડાકા થયા છે ત્રણ, માન્યું લોકે આવ્યું આજ મરણ ।।૮।।

આતો પ્રલય થવાની પેર, એમ કહેવા લાગ્યા ઘેરઘેર ।

તેહ કડાકા ને તેજ તેહ, ષટ જોજને જણાયું એહ ।।૯।।

જોઇ આશ્ચર્ય પામિયાં લોક, વધ્યો આનંદ થયાં અશોક ।

તે પ્રતાપ શ્રીમહારાજ તણો, શું કહીએ મુખથી ઘણોઘણો ।।૧૦।।

વળી એક દિવસની વાત, કહું વર્ણવી વળી વિખ્યાત ।

કરતા ભજન મહારાજ તણું, તનભાન ભૂલ્યાછે આપણું ।।૧૧।।

થઇ નિરાવરણ નિજવૃત્તિ, દીઠા રાત્યમાં રાંદલપતિ ।

થયો તેનો અતિશે પ્રકાશ, હુવો અંતર તમનો નાશ ।।૧૨।।

તે પણ પ્રભુતણો પરતાપ, એમ ખુશાલે માન્યું છે આપ ।

પછી જેવું ચિંતવે જે વારે, થાય તેવાનું તેવુંજ ત્યારે ।।૧૩।।

તેતો જાણે લોક પરસિધ્ધ, કહે આતો મહા મોટા સિદ્ધ ।

એમ જને મન જયારે જાણ્યું, તેવા સમામાં વર્ષાતે તાણ્યું ।।૧૪।।

ત્યારે સર્વે આવી લાગ્યા પાય, કહે કરો વૃષ્ટિ દુઃખ જાય ।

મનુષ્ય પશુ પિડાય અત્યંત, આવ્યા અરજે અમે પિડાવંત ।।૧૫।।

માટે મોટા કરો તમે મહેર, કરો વર્ષાત તો જાયે ઘેર ।

એવી સાંભળી લોકની વાણી, સમર્યા ખુશાલે સારંગપાણી ।।૧૬।।

કરે સ્તવન મનના દયાળ, આવ્યો વર્ષાત ત્યાં તતકાળ ।

વુઠો ત્રણ દનલગી તેહ, કાળા ઉનાળા જેવામાં મેહ ।।૧૭।।

લોક આવી લાગ્યાં પછી પાય, કહે ધન્ય ધન્ય દ્વિજરાય ।

તમજેવો નહિ જગમાંય, તમારે સહજાનંદ સહાય ।।૧૮।।

માન્યો પરચો મનુષ્યે મળી, વળી વાત બીજી લ્યો સાંભળી ।

પોત્યે પંડ્યા થૈ માંડી નિશાળ, આવ્યાંતાં ભણવા નાનાં બાળ ।।૧૯।।

તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતણું ।

કરતાં બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયાં છે સમાધિવાન ।।૨૦।।

કરે અલૌકિક આવી વાત, સુણી સહુ થયા રળિયાત ।

પછી ખુશાલ કહે સુણો બાળ, મારે જાવું જયાં હોય દયાળ ।।૨૧।।

ત્યારે બાળકે જોડિયા હાથ, તમને તેડવા આવે છે નાથ ।

ધરી દ્વિજનું રૂપ મહારાજ, તેતો આવે છે તમારે કાજ ।।૨૨।।

પછી આવ્યા નાથ સાથે ચાલ્યા, વાટે અન્ન જળ વાલે આલ્યાં ।

આવ્યા જેતલપુર લગી સાથ, પછી અદ્રશ્ય થયા છે નાથ ।।૨૩।।

હતા જેતલપુરમાં સ્વામી, નિરખ્યા ખુશાલે અંતરજામી ।

કહી વાટની વાત ખુશાલે, હસિ સાંભળી સરવે વાલે ।।૨૪।।

કહે નાથ બ્રાહ્મણને ભાળી, ભાઇ તું છો મોટો ભાગ્યશાળી ।

થયો પરચો તને એ જાણ્ય, બીજી વાત મનમાં મ આણ્ય ।।૨૫।।

ત્યારે બ્રાહ્મણ કહે મહારાજ, હુંતો આવ્યો છું ભણવાકાજ ।

ત્યારે નાથ કહે ઘણું સારૂં, એમાં ગમતું ઘણું અમારૂં ।।૨૬।।

પછી ખુશાલ સંતમાં રહ્યા, એક સમે વડોદરે ગયા ।

તિયાં સતસંગી રહે બહુ, કરે સ્વામીનું ભજન સહુ ।।૨૭।।

એક દ્વિજ સદાશિવ નામે, નિત્ય ખુશાલને કરભામે ।

આવી નિત્ય જમો મારે ઘેર, મારે છે શ્રી મહારાજની મહેર ।।૨૮।।

જીયાં લગી રહો તમે આંઇ, બીજે જમવા ન જાવું ક્યાંઇ ।

પછી ખુશાલ જમવા ગયા, આવ્યા નાથ જમવાને તિયાં ।।૨૯।।

ત્યારે સદાશિવ લાવ્યો પાય, નિરખી નાથને તૃપ્ત ન થાય ।

પછી સુંદર કરાવ્યો થાળ, જમ્યા દયા કરીને દયાળ ।।૩૦।।

સદાશિવ વળી એની નાર, દેખે બીજા ન દેખે લગાર ।

પણ જમતાં જાણે સહુ જન, થાય અધુર્ં જે હોય ભોજન ।।૩૧।।

શાક પાક ધર્યું હોય થાળે, થાય ઓછું તે સર્વે ભાળે ।

જળનો જે હોય આબખોરો, પિવે નાથ તે થાય અધૂરો ।।૩૨।।

હોય મુખવાસ આગે મેલ્યો, આપે નાથ તે પાછો જમેલો ।

આપે જમેલ પછી સોપારી, જોઇ આશ્ચર્ય થાય નરનારી ।।૩૩।।

એમ માસ લગી અહોનિશ, જમ્યા હરિ ખુશાલ હમેશ ।

જયારે જયારે જમે જયાં ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ ।।૩૪।।

જમે જન હાથે નાથ નિત્યે, તેતો ખુશાલ ભક્તની પ્રીત્યે ।

એમ ખુશાલ વિપ્રને વળી, પૂર્યા પર્ચા બહુ નાથ મળી ।।૩૫।।

હતા આપે તે વૈરાગ્યવંત, સંસારથી ઉદાસી અત્યંત ।

પછી ધાર્યો છે ર્ધાિમક યોગ, તજી ભવતણા વઇભોગ ।।૩૬।।

ધર્યું નામ તે ગોપાળાનંદ, થયા યોગેશ્વર જગવંદ ।

ફરે દયાળુ સરવે દેશ, આપે મુમુક્ષુને ઉપદેશ ।।૩૭।।

કર્યા મહારાજે મોટેરા બહુ, માને મોટા મુનિવર સહુ ।

એક દિવસ લઇ મંડળી, આવ્યા વડોદરામાંહિ વળી ।।૩૮।।

તિયાં સત્સંગી આવ્યા સાંભળી, લાગ્યા પાય સહુ લળીલળી ।

મોટાં ભાગ્ય જાય નહિ કહીએ, આવ્યા તમે અષ્ટમી સમૈયે ।।૩૯।।

કરો ઉત્સવ આણી હુલાસ, બાંધો હિંડોળો કહે એમ દાસ ।

ત્યારે ગોપાળ સ્વામી કહે સારૂં, કરશે હરિ ગમતું તમારૂં ।।૪૦।।

ત્યાંતો આવ્યો અષ્ટમીનો દન, કર્યું વ્રત સહુ મળી જન ।

બાંધ્યો હિંડોળો હરિને કાજ, આવી ઝુલ્યા પ્રકટ મહારાજ ।।૪૧।।

સારી સુંદર મૂરતિ શોભે, જોઇજોઇ જન મન લોભે ।

નિરખી હરખિયા સહુ જન, કરે સહુ સાથ ધન્યધન્ય ।।૪૨।।

આજ અલૌકિક દર્શન દીધાં, તમે અમને કૃતાર્થ કીધાં ।

તિયાં સત્સંગી કુસંગી હતા, દિઠા પ્રકટ સહુએ ઝુલતા ।।૪૩।।

ઝુલ્યા હિડોળે ઘડી બે ચ્યાર, પછી ન દીઠા તે નિરધાર ।

સહુ રહ્યાં છે આશ્ચર્ય પામી, કહે ધન્ય સહજાનંદ સ્વામી ।।૪૪।।

આપ્યો પરચો પ્રભુજી આપે, સ્વામી ગોપાળાનંદને પ્રતાપે ।

વળી ગોપાળાનંદ સ્વામીને, પૂર્યો પરચો કહું કરભામિને ।।૪૫।।

એક સમે નાવે વરસાત, મરે મનુષ્ય થાય ઉતપાત ।

શોધ્યે શહેરમાં ન મળે અન્ન, પડ્યો કાળ કહે સહુ જન ।।૪૬।।

પછી સત્સંગી સર્વે મળી, આવ્યા જયાં હતી મુનિમંડળી ।

બેઠા ગોપાળ સ્વામીને પાસ, કહે નથી જીવવાની આશ ।।૪૭।।

મરે શહેરમાં મનુષ્ય બહુ, અન્ન વિના પીડાય છે સહુ ।

દેતાં દામ મળે નહિ અન્ન, કહો કેમ કરી જીવે જન ।।૪૮।।

માટે સ્તુતિ પ્રભુ પાસે કરીએ, થાય મેઘ તો અમે ઉગરીએ ।

કહે ગોપાળસ્વામી દયાળ, કરો ભજન સર્વે મરાળ ।।૪૯।।

બેઠા ભજને ઘડી બે ચ્યાર, આવ્યો મેઘ થયો જેજે કાર ।

વુઠો ત્રણ્ય દનલગી ઘન, કાળા ઉનાળામાં રાતદન ।।૫૦।।

સતસંગી કુસંગીએ જાણ્યું, થયો પરચો સહુએ પ્રમાણ્યું ।

લાગ્યા ગોપાળસ્વામીને પાય, ધન્ય ધન્ય તમે મુનિરાય ।।૫૧।।

બોલ્યા ગોપાળસ્વામી તે પ્રત્યે, જે થયું તે શ્રીજીની સામર્થ્યે ।

બીજા થકી તે કાંઇ ન થાય, ઠાલો ભૂલો ફોગટ ફુલાય ।।૫૨।।

એમ પરચા હું કેટલા કહું, થયા ગોપાળસ્વામીને બહુ ।

કહેતાં લખતાં ન આવે પાર, કહે નિષ્કુળાનંદ નિરધાર ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણીમધ્યે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પરચા પૂર્યા એ નામે એકસો ને બેતાળીસમું પ્રકરણમ્ ।।૧૪૨।।