૧૨૯. સંતદાસજીને શ્રીહરિએ પૂરેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:13pm

પૂર્વછાયો- વળી પરચા વર્ણવી, કહું અલૌકિક એહ ।

સાંભળજયો સહુ શ્રવણે, કરી અધિક સનેહ ।।૧।।

મોટા સંત મહારાજના, છે શિરોમણી સંતદાસ ।

ફરે એકલા ઉત્તરે, જેને નહિ જન મન ત્રાસ ।।૨।।

માની વચન મહારાજનું, ધાર્યું અંતરે અનૂપ ।

તે દિના તનભાન ભૂલી, થયા તેહ તદરૂપ ।।૩।।

તેની વારતા સાંભળો, લખું છું લવલેશ ।

જે દેહછતે સિધ્ધદશા પામી, ફરે છે ઉત્તર દેશ ।।૪।।

ચોપાઇ- ધન્ય ધન્ય સાધુ સંતદાસ, જેને નહિ આ તન અધ્યાસ ।

પિંડ છતાં પામી સિધ્ધગતિ, ફરે લોક પરલોકે સુમતિ ।।૫।।

તેને કૃપા કરી કહે કૃપાળુ, દેખી આવો દલુજી દયાળુ ।

તિયાં જાવું તું અવશ્ય અમારે, સરશે અર્થ તે ગયે તમારે ।।૬।।

કહેજયો આંહિની સરવે વાત, સુણી દલુ થાશે રળિયાત ।

બીજા મુક્ત તિયાં ષટ દશ, એક બાઇ સુંદર સુજશ ।।૭।।

તેને કહેજયો આશિર વચન, જાઓ વેગેશું વેલેરા જન ।

સુણી વચન ચાલ્યા સંતદાસ, દૂરદેશમાં દલુજી પાસ ।।૮।।

અતિ અગમ વિકટ વાટ, ઘણું નદીના ઓઘટ ઘાટ ।

નરતને તિયાં ન જવાય, વાટે મનુષ્ય મનુષ્યને ખાય ।।૯।।

તિયાં ચાલ્યા સંતદાસ જન, માની મહાપ્રભુનું વચન ।

કરી ઇચ્છા ને મિંચિ છે આંખ્યો, ઉડ્યું પંડ આવી જાણે પાંખો ।।૧૦।।

પળ એકમાંહિ તિયાં પહોતા, દિઠા દલુજીને મુક્તે સોતા ।

ઉઠી આવ્યા સામા સંતદાસ, હેતે મળીને બેસાર્યા પાસ ।।૧૧।।

કરી પૂજા મળી વળી જન, પછી ભાવે કરાવ્યાં ભોજન ।

બેઠા સંતદાસ પાસ દલુ, પૂછ્યું પ્રશ્ન ભાવે કરી ભલું ।।૧૨।।

કહો સંતદાસ સાચી વાત, સ્વામી સહજાનંદની વિખ્યાત ।

બોલ્યા સંતદાસ શું હું કહું, આજ વાવરે સામર્થી બહુ ।।૧૩।।

પાપી પામર જીવ જે જગે, તાર્યા કોટી તે દિઠા મેં દ્રગે ।

દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શૂદ્ર કોઇ, થાય સમાધિ સ્વામીને જોઇ ।।૧૪।।

હોય કોઇ નર વળી નાર, વરતે પિંડ બ્રહ્માંડને પાર ।

બહુ શાસ્ત્રે સાંભળી મેં વાત, પણ આજની વાત અખ્યાત ।।૧૫।।

ત્યારે દલુજી કહે સુણો સંત, આજ આવ્યા પોતે ભગવંત ।

બીજા થાય કોટી અવતાર, તેનું કારણ છે નિરધાર ।।૧૬।।

એવી કરી પરસ્પર વાત, સુણી સહુ થયા રળિયાત ।

એમ વાત કરતાં હુલાસે, રહ્યા છ માસ દલુજી પાસે ।।૧૭।।

પછી દલુજી કહે સુણો જન, જાઓ તિયાં કરો દરશન ।

જે છે તે ત્યાં જ છે તમે જાણો, એથી અધિક નહિ પ્રમાણો ।।૧૮।।

પછી સંતદાસે શિખ માગી, ચાલ્યા વેગે વળી બડભાગી ।

આવ્યા સ્વામી સહજાનંદ પાસે, કર્યાં દરશન સંતદાસે ।।૧૯।।

પછી કરી દલુજીની વાત, સાંભળી મહારાજે સાક્ષાત ।

દલુજી તે મુક્ત અવતાર, એક બાઇ પણ નિરધાર ।।૨૦।।

દિવ્યમૂર્તિ એ જાણજયો દોય, અન્ય જનને ભેટ્ય ન હોય ।

તેનાં દર્શન કર્યાં સંતદાસે, રહી પોત્યે ષટ માસ પાસે ।।૨૧।।

એતો પરચો કહ્યો મેં એક, એવા બીજા થયા છે અનેક ।

પછી રહ્યા તિયાં કાંઇ દન, વળતા એમ બોલ્યા ભગવન ।।૨૨।।

સંતદાસને કહ્યું સાનમાં, જાઓ તમે બદરિવનમાં ।

નરનારાયણ ઋષિરાય, જે રહ્યા છે બદ્રિવન માંય ।।૨૩।।

એકરૂપ અમારૂં છે એહ, બીજું પ્રકટ દેખોછો તેહ ।

બહુરૂપે બહુધામે રહું છું, ત્યાંના વાસીને સુખ દઉછું ।।૨૪।।

પણ બદ્રિકાશ્રમના વાસી, અતિત્યાગ વૈરાગ્યે તપસી ।

માટે એ છે વાલા મને અતિ, તેને જોઇ આવો મહામતિ ।।૨૫।।

પછી ચાલ્યા ત્યાંથી સંતદાસ, નરનારાયણ ઋષિ પાસ ।

એતો વાત છે આશ્ચર્યકારી, જોજયો સહુ અંતરે વિચારી ।।૨૬।।

આ દેહે જે જાવું ઉત્તર દેશ, હિમાદ્રિપર કરી પ્રવેશ ।

તેતો આ શરીરે ન જવાય, જાય તે તો ઇશ્વર કહેવાય ।।૨૭।।

એવી સાર્મિથ જે થકી આવે, તેતો સર્વનું કારણ કાવે ।

તેની આજ્ઞા લઇ સંતદાસે, ચાલ્યા ઉત્તરખંડે હુલાસે ।।૨૮।।

અતિ વસમા વિકટ ઘાટ, તનધારીને નહીં જાવા વાટ ।

એવી વાટે ચાલ્યા વીતરાગી, ગયા હિમાળાપાર સુભાગી ।।૨૯।।

પછી આવી ત્યાં પથરા નદી, તનધારી તરે નહિ કદી ।

ધાતુ કાષ્ઠાદિક વસ્તુ કાંઇ, થાય પથર પડે પાણીમાંઇ ।।૩૦।।

એવે ગુણે જુક્ત જાણી નીર, પગ ન બોળ્યો બેસીયા તીર ।

કરતા અંબુ ઉતરવા વિચાર, એવે સમે આવ્યા ઋષિ ચ્યાર ।।૩૧।।

કહે કિયાં જાવું મુનિજન, મુનિ કહે જાવું બદ્રિકાવન ।

કહે ઋષિ ચાલો અમસાથ, મિંચો આંખ્યો ઉતરીયે પાથ ।।૩૨।।

મિચ્યાં લોચન ન કરી વાર, આવ્યા દશ જોજન જળપાર ।

તિયાં દિઠું છે આશ્રમ સારૂં, બેઠા ઋષિ જયાં લાખ હજારૂં ।।૩૩।।

શુભ બદ્રિ અદ્રિ એક સાર, તિયાં ગુફા હજારે હજાર ।

મધ્યે ગુફા દીઠી એક ઘેરી, તેતો નરનારાયણ કેરી ।।૩૪।।

તિયાં પહોંત્યા પોત્યે સંતદાસ, ઉઠી આપે મળ્યા અવિનાશ ।

બહુ હેતે કર્યું સનમાન, ભલે આવ્યા કહે ભગવાન ।।૩૫।।

આપ્યાં ઋષિએ અમળ જળ, પછી જમાડ્યાં સુંદર ફળ ।

ત્યાર પછી પૂછ્યું ઋષિરાય, કહો મહાપ્રભુનો મહિમાય ।।૩૬।।

કહે નરનારાયણ નાથ, શું કરે છે હરિ ઋષિસાથ ।

કહે સંતદાસ શું હું કહું, આજ વાત અલેખે છે બહુ ।।૩૭।।

વાવરે છે સામર્થી જે શ્યામ, કહેતાં મન વાણી પામે વિરામ ।

તેતો જાણો છો સરવે નાથ, પૂછ્યું માટે કહું જોડી હાથ ।।૩૮।।

એમ પૂછતાં શુભ સમાચાર, કહ્યા સંતદાસે નિરધાર ।

એમ કહેતાં સાંભળતાં વળી, થઇ સંધ્યા સુંદર નિરમળી ।।૩૯।।

બેઠા શુભાસને બેઉ વીર, આવ્યા દર્શને મુનિ સુધીર ।

નયણાં ભરીને નિરખ્યા નાથ, પછી મળ્યા સંતદાસ સાથ ।।૪૦।।

સહુ બોલાવે હેત સમેત, હૈયે ભાવ દેખાડે છે હેત ।

કહે નારાયણ સુણો સંત, આતો ઋષિ છે ત્યાગી અત્યંત ।।૪૧।।

કોઇકને વીતે વર્ષ બાર, ત્યારે એક દિન કરે આહાર ।

કોઇક ને વીતે ષટ વર્ષ, ત્યારે લાગે છે ભૂખ ને તરસ ।।૪૨।।

કોઇક જમે વરસે એક, ષટ માસવાળા છે અનેક ।

કોઇ કરે છે મહિને આહાર, પક્ષવાળા હજારો હજાર ।।૪૩।।

સવેર્ જન સમાધિયે સુખી, કોઇ રીત્યે ઋષિ નથી દુઃખી ।

સવેર્ નાં છે તપમય તન, અંતરવૃત્તિયે કરે ભજન ।।૪૪।।

જયારે ઇચ્છે અન્ન જળ જેહ, આપી જાય સિધ્ધિ સદ્ય તેહ ।

એમ વાત કરી નરવીરે, સુણી સંતદાસજી સુધીરે ।।૪૫।।

એમ કરતાં વીત્યા કાંઇ દિન, કર્યું માનસરે જાવા મન ।

ત્યારે સંતને કહે નરવીર, ન્હાશો નીરે નહિ ખમે શરીર ।।૪૬।।

માટે વણ નાહ્યે વહેલા વળજયો, મુનિસહિત જોઇ મને મળજયો ।

પછી માનસરે ગયા જન, દિઠાં હંસ કમળનાં વન ।।૪૭।।

જોઇ પાછા વળ્યા ઋષિરાય, નાહ્યા સંતદાસજી તે માંય ।

વ્યાપી શીત ને ઠર્યું શરીર, લાવ્યા ઉપાડી જયાં નરવીર ।।૪૮।।

પછી બહુ તાપે તપાડ્યું તન, ત્યારે સચેત થયા મુનિજન ।

પછી લાગ્યા નારાયણ પાય, રહ્યા માસ પક્ષ મુનિ ત્યાંય ।।૪૯।।

પછી નરવીર કહે સંતદાસ, તમે જાઓ મહાપ્રભુ પાસ ।

જે છે તેતો સરવે છે તિયાં, શાને બેસી રહો સાધુ ઇયાં ।।૫૦।।

એમ કહી શિખ દીધી નાથ, મોકલ્યા ઋષિ ચ્યારને સાથ ।

તે ઉતારી ગયા નદી પાર, વળ્યા પાછા કરી નમસ્કાર ।।૫૧।।

ચાલ્યા મુનિ હૈયામાં હુલાસે, આવ્યા સુંદર દેશ કૈલાસે ।

તેનો હઠયોગી જે નરેશ, આવી આપ્યો તેને ઉપદેશ ।।૫૨।।

રાજા જાતો સમાધિમાં જયારે, રહેતો ષટમાસ સુધી ત્યારે ।

રાજ સાજ સુત ને કલત્ર, તિયાં સાંભરતું તું નિરંત્ર ।।૫૩।।

તેને સંતદાસે સુખી કિધો, અન્યભાવ ઉગવા ન દીધો ।

કરાવ્યાં પ્રકટનાં દર્શન, થઇ સુખી રાયે તજયું તન ।।૫૪।।

ફુટી તાળુ ને નિસર્યા પ્રાણ, ચાલ્યો સત્સંગ કરી સુજાણ ।

ત્યાંથી સંતદાસજી સધાવ્યા, એક વેરવાલે ગામ આવ્યા ।।૫૫।।

ઝાલ્યા તસ્કર કરીને તેણે, અતિપ્રહાર કરી બાંધ્યા એણે ।

હેરૂ જાણી દિયે દુઃખ બહુ, કરે મારવા મનસુબો સહુ ।।૫૬।।

તેનાં સગાંવાલાં જન જેહ, આવ્યા નાથ રૂપ ધરી તેહ ।

મળી વળી મુકાવિયો જન, ચાલ્યા દાસને દઇ દરશન ।।૫૭।।

ત્યાંથી સંતદાસજી સધાવ્યા, ઘણે દને ગુજરધર આવ્યા ।

જેતલપુર ડભાણ ગામ, દિન દશ કર્યો વિશરામ ।।૫૮।।

પછી ત્યાંથી આવ્યા પ્રભુ પાસ, મળ્યા નાથ સાથે સંતદાસ ।

સનમુખ બેસી સંતજને, કહ્યું જે જે પૂછ્યું ભગવને ।।૫૯।।

કરી સુંદર વારતા સાને, સમજી સુણી નહિ કેણે કાને ।

કહ્યું અલૌકિક જે આખ્યાન, સમજે સંત કહે શ્રીભગવાન ।।૬૦।।

પછી નાથ કહે ધન્ય ધન્ય, તમ જેવો બીજો નહિ જન ।

તમે પામિયાછો સિધ્ધ ગતિ, માટે સહુથી મોટા તમે અતિ ।।૬૧।।

હવે ફરો સતસંગમાંઇ, કરો વાત તમે દીઠી ત્યાંઇ ।

એવા સમર્થ સંત વિખ્યાત, પામ્યા જેથી તેની સઇ વાત ।।૬૨।।

વાત મોટી છે મહારાજતણી, કહી ન જાય મુખથી ઘણી ।

હરિ હરિજનનો મહિમાય, કહે યથારથ ન કહેવાય ।।૬૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ-મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે સંતદાસજીને પરચા પૂર્યા એ નામે એકસો ને ઓગણત્રિશમું પ્રકરણમ્ ।।૧૨૯।।