૧૨૮. પર્વતભાઇ તથા મૂળજીને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:12pm

પૂર્વછાયો- દેશદેશના દાસનાં, લખિયાં ગામ ને નામ ।

હવે લખવા પરચા, મારા હૈયામાં ઘણી હામ ।।૧।।

પ્રભુ તિયાં પ્રભુતાઇની, આશ્ચર્ય ન મળે કાંઇ ।

પૂરણકામ પુરૂષોત્તમ, સરવે સામર્થી જે માંઇ ।।૨।।

તેહ પ્રભુજી પ્રકટી, કર્યાં બહુ બહુ કાજ ।

લૌકિકમાં અલૌકિક લીળા, દેખાડી મહારાજ ।।૩।।

સમૈયા સદાવ્રત માંહિ, અખૂટ રહ્યાં જે અન્ન ।

મહારૂદ્ર અતિરૂદ્ર આપે, કર્યા વિષ્ણુજગન ।।૪।।

તેહમાંહિ તલભારની, વળી નાવી ખરચતાં ખોટ્ય ।

વિના નાણે જગ જાણે, વિપ્ર જમાડ્યા કોટ્ય ।।૫।।

ચોપાઇ- તેહ વિના જે પરચા અન્ય, કહું સાંભળજયો સહુ જન ।

પ્રથમ પર્વતભાઇની વાત, કહું વર્ણવી તેહ વિખ્યાત ।।૬।।

કણબી કુળમાં કારણરૂપ, અતિ ઉત્તમ ભક્ત અનુપ ।

સ્વામી રામાનંદજીને મળી, જેની દેહદશા તેહ ટળી ।।૭।।

પછી સ્વામી સહજાનંદ જેહ, પૂરણબ્રહ્મ પ્રકટ્યા તેહ ।

તે પ્રભુ પ્રકટની મૂરતિ, તેથી ન રહેતી વેગળી વૃત્તિ ।।૮।।

તોય ઉપજયો એમ વિચાર, કેવો હશે નૃસિંહ અવતાર ।

હતું અંતર એ વિચાર સમેત, ગયા કૃષિ કરવાને ખેત ।।૯।।

રાખી વૃત્તિ પ્રભુમાં એકતાર, સ્વામી સહજાનંદ મોઝાર ।

જોઇ મહારાજશ્રીની મૂરતિ, સુખસાગર સુંદર અતિ ।।૧૦।।

પછી જોયું તેને આસપાસ, દિઠો અતિ અતિ પરકાશ ।

તેમાં ચોવિશ જે અવતાર, દીઠા જુજવા રૂપ આકાર ।।૧૧।।

મત્સ્ય કચ્છ વારાહ નૃસિંઘ, વામન પરશુરામ અનઘ ।

રામ કૃષ્ણ બુધ્ધ ને કલંકી, પુરૂષઅવતાર અલૌકી ।।૧૨।।

સુયજ્ઞપુરૂષ જે અનુપ, કપિલ દત્તાત્રેયસ્વરૂપ ।

સનકાદિક ને બદ્રિપતિ, મહાધ્રુવ વરદેણ મૂરતિ ।।૧૩।।

પૃથુ રૂષભદેવ રાજન, હયગ્રીવ હરિ ધારી તન ।

હંસમૂરતિ ધનવંતરી, આવ્યા વ્યાસ નારદ તન ધરી ।।૧૪।।

એવાં ચોવિશે હરિનાં રૂપ, એકએકથી અતિ અનૂપ ।

દિઠાં પર્વત ભાઇએ પોતે, આવ્યો અતિ આનંદ તે જોતે ।।૧૫।।

હૈયે હરખ મુખ બોલે વાણી, દિધાં દરશન નાથ દયા આણી ।

પછી પ્રેમેશું લાગ્યા છે પાય, અતિ આનંદ ઉર ન માય ।।૧૬।।

જોયાં ચોવિશે રૂપ ચિંતવી, તેણે અતિ સુખ શાંતિ હવી ।

પછી પ્રકટ પ્રભુનું જે રૂપ, તેમાં સમાણાં સવેર્ સ્વરૂપ ।।૧૭।।

તે રૂપ રહ્યું હૃદામોઝાર, દેખે અંતર ભિતર બહાર ।

અર્ધ ઘડી તે અળગું ન રહે, તેથી સુખ જે ઇચ્છે તે લહે ।।૧૮।।

જેમ ચિંતામણિ હોય કને, જેહ ચાય થાય તેહ તને ।

લોક પ્રલોક અગમ ન રે, જે જે આપે ઇચ્છે તેહ કરે ।।૧૯।।

તેમ ચિંતામણિ હરિનું રૂપ, જેના અંતરમાં રહ્યું અનુપ ।

તેહ જન જે ચિંતવે તે થાય, લોક પરલોક ઇચ્છે ત્યાં જાય ।।૨૦।।

વૈકુંઠ ગોલોક શ્વેતદ્વિપ, તેહને દેખે જેમ સમીપ ।

અક્ષરધામ આદિ લોક જેહ, દેખે સાંભળે કહે વળી તેહ ।।૨૧।।

એમ પરવતભાઇની દ્રષ્ટે, નિરાવર્ણ આવર્ણ નહિ અષ્ટે ।

એતો વાત અલૌકિક અતિ, લોક પરલોકે જેની ગતિ ।।૨૨।।

એહ રીત્યે પરચા અગણિત, થાય પર્વતભાઇને નિત ।

એ તો પરચો કહ્યો મેં એક, એવા બીજા થયા છે અનેક ।।૨૩।।

વળી વાત બીજી એક કહું, છે તો અપાર પાર કેમ લહું ।

ભક્ત એક અનુપમ જાણો, નામ મુળજી જાતિ લુવાણો ।।૨૪।।

હતો જનમાંતરે જીવ સારો, સત્યધર્મ લાગતો તે સારો ।

પછી જન્મ ધર્યો એણે જયારે, મળ્યો કુસંગ ન રહ્યો એવો ત્યારે ।।૨૫।।

કહું જન્મ ધરી જે જે કર્યું, થઇ ચોર પરધન હર્યું ।

મોટા ચોરમાંહિ તે મોવડી, હરે વસ્તુ જે નજરે પડી ।।૨૬।।

એવા બીજા અવગુણ બહુ, જાણે જન જગતમાં સહુ ।

ફરે હરવા વસ્તુ હમેશ, તેને અર્થે જાય દેશોદેશ ।।૨૭।।

એક દિન આવ્યો પ્રભુ પાસ, જીયાં હતા હરિ હરિદાસ ।

ભાવાભાવે થયાં દરશન, થઇ ધારણા ભૂલીયો તન ।।૨૮।।

વળી અંતરવરતિ પાછી, થઇ સહજમાં સમાધિ સાચી ।

દિઠાં બહુ લોક બહુ ધામ, માન્યો પોતાને પૂરણકામ ।।૨૯।।

પામ્યો સમાધિ સાર્મિથ અતિ, ઇચ્છા આવે તિયાં કરે ગતિ ।

જુવે સુરપુર ને કૈલાશ, સત્ય વૈકુંઠ ગોલોકે વાસ ।।૩૦।।

શ્વેતદ્વિપ ને અક્ષરધામ, દેખે બ્રહ્મનગર નિષ્કામ ।

આવે જાય તિયાં અહોનિશ, દેખે હરિનાં ધામ હમેશ ।।૩૧।।

તેની આવી કરે વાત વળી, પામે આશ્ચર્ય સહુ સાંભળી ।

માને પ્રતાપ મહારાજ તણો, શું કહીએ મુખથી ઘણો ઘણો ।।૩૨।।

તપ તીર્થ વ્રત કોટી કરે, દેહ દમિ ભમી ભમી મરે ।

તોય ન પામે સ્વપને સુખ, માટે મોટ્યપ શું કહીએ મુખ ।।૩૩।।

પણ કહેવાનું છે એ કારણ, જયારે મુળજીને થાય ધારણ ।

ત્યારે તન મન ભાન ટળે, જયારે બ્રહ્મમહોલમાં પળે ।।૩૪।।

ત્યારે વાટમાંઇ મળે વામ, રોકી રાખે બે ઘડી એ ઠામ ।

તે વાત કરી મહારાજ પાસ, સર્વે સુણી બોલ્યા અવિનાશ ।।૩૫।।

હવે જા જયારે ધારણામાંઇ, પળ એક ન રોકાવું ક્યાંઇ ।

મળે રૂદ્ર તો વાટ મુકાવી, કહેજયે થાય તેવું આંહિ આવી ।।૩૬।।

એવું સાંભળી મુળજી ચાલ્યો, જાતાં વાટે રૂદ્રે મળી ઝાલ્યો ।

કહે જા છ ઉતાવળો કિયાં, ઘડી બે લગી રોકીશ ઇયાં ।।૩૭।।

ત્યાર પછી તને જાવા દૈશ, જો તું અતિ ઉતાવળો હૈશ ।

ત્યારે મુળજી કહે મહારાજ, તમે રોકશો માં મને આજ ।।૩૮।।

આજ જાવું છે વહેલેરૂં વળી, તારો ખાળ્યો નહિ રહું ખળી ।

ત્યારે વામ કહે બોલ્ય વિચારી, જા તું જોરે તો નાખું હું મારી ।।૩૯।।

ત્યારે મુળજી કહે સુણ્ય મારી, આજ જટા હું ચૂંથીશ તારી ।

વદતાં વાદ આવ્યા બેઉબાથે, કરે યુધ્ધ જન જટિસાથે ।।૪૦।।

બેઉ જોધ બરોબર બળી, કોય કેને નાપે લેશ લળી ।

પછી મુળે મનમાં વિચાર્યું, બળ પ્રકટ પ્રભુનું સંભાળ્યું ।।૪૧।।

ત્યારે આવી સામર્થી અતિ અંગ, કર્યું કર્પિદનું અંગભંગ ।

પડ્યા કામારી કડાકો થયો, છુટી જટા છટા સુરશિયો ।।૪૨।।

આસ પાસ જુગલ જોજને, દીઠું સાંભળીયું સહુ જને ।

જીતી જન આવ્યો પ્રભુ પાસ, કહ્યું થયું જેહ તેહ દાસ ।।૪૩।।

સવેર્ સાંભળી આશ્ચર્ય પામ્યાં, વળતાં શ્રીજીચરણે શિશ નામ્યાં ।

કહે ધન્ય ધન્ય મહારાજ, થયો અલૌકીક પરચો આજ ।।૪૪।।

સુણી સત્સંગી થયા રળિયાત, કુસંગીને કહી નહીં વાત ।

એમ પરચા નિરંતર ઘણા, કહીએ કેટલા મુળજીતણા ।।૪૫।।

પ્રકટ પ્રભુથી પરચા થાય, તેતો લખતાં કેમ લખાય ।

કહેતાં સુણતાં આવે આનંદ, માટે કહું છું સુણો જનવૃંદ ।।૪૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે પર્વતભાઇ તથા મુળજીને પરચા પુર્યા એ નામે એકસો ને અઠ્ઠાવિશમું પ્રકરણમ્ ।।૧૨૮।।