૧૦૭. લોભના દોષો અને તેને જીતવાના ઉપાયો. ( નિર્લોભી વર્તમાન )

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:47pm

ચોપાઇ-

હવે કહું વ્રત નિરલોભી, જેણે કરી રહ્યા સંત શોભી ।

જેમ નારીનો નહિ પ્રસંગ, તેમ તજયો છે દ્રવ્યનો સંગ ।।૧।।

એવા સંતનો મળે સમાજ, માંહોમાંહિ બોલે મુનિરાજ ।

જેને મળ્યા પુરૂષોત્તમ રાય, તે તો પૂરણકામ કહેવાય ।।૨।।

તેને ન્યૂન ન મનાય મન, લાધ્યું અખૂટ જેને મહાધન ।

ધુતા ન ધુતે ચોર ન લુંટે, ખાતાં ખરચતાં નવ ખૂટે ।।૩।।

એવું મળ્યું મહાધન જેને, તે કેમ ધાશે આ ધાતુ ધનને ।

જેમાં અનેક રહ્યા અનર્થ, સંચે ત્યાગી તો વણસે અર્થ ।।૪।।

ચોરી હિંસા અનૃત અપાર, કામ ક્રોધ ને દંભ ભંડાર ।

મદ ભેદ ને વૈર વ્યસન, સ્મય સ્પર્ધાદિ છે જીયાં ધન ।।૫।।

મદ્ય પાન સ્ત્રિયા સંગ થાય, દ્યૂતવિદ્યા ને વિશ્વાસ જાય ।

રહ્યાં એટલાં દ્રવ્યમાં મળી, જેમ જળમાં જળજંતુ વળી ।।૬।।

દ્રવ્ય કરાવે પાપ અધર્મ, દ્રવ્ય કરાવે વૈર વિકર્મ ।

દ્રવ્ય કરાવે કપટ છળ, દ્રવ્ય કરાવે કોટિ કકળ ।।૭।।

દ્રવ્ય કરાવે દગા દુષ્ટતાઇ, દ્રવ્ય કરાવે કામ કસાઇ ।

દ્રવ્ય કરાવે ઉચ્ચ ને નીચ, દ્રવ્ય કરાવે પાષંડ પેચ ।।૮।।

દ્રવ્ય કરાવે જાતિ વિટાળ, દ્રવ્ય ચડાવે સાચા ને આળ ।

દ્રવ્ય કરાવે હાલ બેહાલ, દ્રવ્ય કરાવે કૃપણ કંગાલ ।।૯।।

દ્રવ્ય કરાવે ચોરી ચાકરી, દ્રવ્ય કરાવે ટેલ્ય આકરી ।

દ્રવ્ય કરાવે જીવની ઘાત, દ્રવ્ય કરાવે પિંડનો પાત ।।૧૦।।

દ્રવ્ય ન્યાય અન્યાય કરાવે, દ્રવ્ય જુઠી તે સાંખ્ય ભરાવે ।

દ્રવ્ય લેવરાવે લાંચ ભાડ્ય, દ્રવ્ય કરાવે રાંકશું રાડ્ય ।।૧૧।।

દ્રવ્ય સતીનું સત્ય મુકાવે, દ્રવ્ય જતિનું જત ચુકાવે ।

દ્રવ્ય મુનિનું મૌન બગાડે, દ્રવ્ય તપિને તપથી પાડે ।।૧૨।।

દ્રવ્ય અર્થે પૃથ્વીએ ફરે છે, દ્રવ્ય અર્થે લડીને મરે છે ।

દ્રવ્ય અથેર્વેચે નિજ તન, તજે જીવિતવ્ય ન તજે ધન ।।૧૩।।

દ્રવ્ય અથેર્વળી વાંણે ચડે, દ્રવ્ય અર્થે પહાડે ચડી પડે ।

દ્રવ્ય અથેર્ઘાત ઘણી ઘડે, થાય અનર્થ બહુ દ્રવ્ય વડે ।।૧૪।।

દ્રવ્ય ધર્મમાંહિથી ચળાવે, દ્રવ્ય નીચના ધર્મ પળાવે ।

જે જે જાય છે નરકમાં જન, તેનું મૂળ કારણ છે ધન ।।૧૫।।

કામ ક્રોધ ને મોહ કહેવાય, હર્ષ શોક લોભ થકી થાય ।

માન ઇરષા મમતા તાણ્ય, લોભ સર્વેનું કારણ જાણ્ય ।।૧૬।।

પામે છે જીવ જુજવા ક્ષોભ, તેતો જેને જેવડો છે લોભ ।

લોભ સંતશું હેત ત્રોડાવે, લોભ દુષ્ટશું પ્રીત જોડાવે ।।૧૭।।

લોભ કરાવે ન કર્યાનાં કામ, લોભ કરાવે જીવત હરામ ।

જેજે અવળું જગતમાં થાય, તેતો સર્વે દ્રવ્યથી કહેવાય ।।૧૮।।

દ્રવ્યે પુત્ર તે પિતાને મારે, દ્રવ્યે શિષ્ય ગુરુને સંહારે ।

થાય દ્રવ્યે મહાપંચ પાપ, થાય દ્રવ્યે કૃતઘ્ની આપ ।।૧૯।।

એવું અઘ જગે નહિ કોય, જે કોઇ દ્રવ્ય મળતાં ન હોય ।

દ્રવ્ય મુકાવે જ્ઞાનીનું જ્ઞાન, દ્રવ્ય મુકાવે ધ્યાનીનું ધ્યાન ।।૨૦।।

દ્રવ્ય મુકાવે માનીનું માન, દ્રવ્ય કરાવે નિર્લજજ નિદાન ।

કહિ કહિ કેટલા કહેવાય, જે કોઇ દ્રવ્યથી અનર્થ થાય ।।૨૧।।

એવા લોભમાંહિ જે લેવાણા, તેતો તૃષ્ણાને પૂરે તણાણા ।

તેને ઉગરવા સઇ આશ, એવું જાણી દૂર રહેવું દાસ ।।૨૨।।

લોભે સુર ને અસુર લડે, દૈત્ય ભૂત દુઃખી લોભવડે ।

યક્ષ રાક્ષસ સહુ લોભે હેરાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૩।।

લોભે કરાવ્યો કુટુંબે કળો, પડ્યો પાંડવ કૌરવમાં સળો ।

માંહોમાંહિ લડી ખોયા પ્રાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૪।।

લોભે લડે ભૂમિએ ભૂપતિ, લોભે બળે પતિ સંગે સતિ ।

લોભ કરાવે પ્રાણની હાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૫।।

ડાહ્યા શિયાણા પંડિત પીર, લોભે કર્યા સહુને અધીર ।

કવિ કોવિદ કર્યા વેચાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૬।।

સ્વર્ગ મૃત્યુ ને પાતાળમાંય, લોભે લઇ લીધાં જન ત્યાંય ।

એવી પ્રસારી છે મોટી પાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૭।।

લોભે આપી છે અવળી મત્ય, મનાવ્યું છે અસત્યમાં સત્ય ।

તેની નરને નહિ ઓળખાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૮।।

લોભે નાખી ગળે જમ ફાંસી, લોભે લેરાવી લખચોરાશી ।

લોભ ફેરવે છે ચારે ખાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૨૯।।

જન્મમરણનું કારણ જેહ, સહુ જન જાણો લોભ તેહ ।

તેની મેલી દેવી જોઇયે તાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૦।।

જેને લોભે કબજામાં લીધા, તેને દીન દાલદરી કીધા ।

સહ્યાં શરીરે દુઃખ મેરાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૧।।

એવું સમજી સંત અસાર, તજયું દ્રવ્ય ને સર્વ પ્રકાર ।

મેલી તન મને તેની તાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૨।।

મણિ હીરા મોતી પરવાળાં, રત્ન આદ્યે જે નંગ રૂપાળાં ।

એતો જમની જાળ્ય જોરાણ, તેને ઇચ્છે તે નર અજાણ ।।૩૩।।

અન્ન જળ ને વસ્ત્ર છે જેહ, તેણે કરી રહે છે આ દેહ ।

તેના આપનારા અવિનાશ, એમ સમઝે છે હરિના દાસ ।।૩૪।।

અન્ન ખાવું તે ક્ષુધાને ખોવા, જળ પિવું તે પ્રાણને ટોવા ।

રહેવું અન્ય વસ્તુથી નિરાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૫।।

શીત ઉષ્ણ નિવારવા તન, રાખે અંગે વસ્ત્ર હરિજન ।

જેવું મળે તેવું રાખે પાસ, એમ સમજે છે હરિના દાસ ।।૩૬।।

તેહ વિના છે સર્વેનો ત્યાગ, વિષયસુખ સાથે છે વૈરાગ્ય ।

ક્યારે ઇચ્છે નહિ જાણી કાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૭।।

સોના રૂપામાં સુખ ન માને, જેને મહાપ્રભુ આવિયા પાને ।

કીટ બ્રહ્માલગી દેખે નાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૮।।

એક સમજાણું હરિમાં સુખ, બીજું સર્વે જણાણું છે દુઃખ ।

જેવો જમકિંકર કાળપાશ, એમ સમજે છે હરિના દાસ ।।૩૯।।

જેને મળ્યું છે મહાધન મોટું, બીજું સર્વે સમજાણું છે ખોટું ।

પાપ જાણીને ન કરે પ્યાસ, એમ સમજે છે હરિના દાસ ।।૪૦।।

અહિ વિંછિ ને વિષ અંગાર, કાક વિષ્ટામાંહિ શિયું સાર ।

એવું જાણી તજે સુખ આશ, એમ સમજે છે હરિના દાસ ।।૪૧।।

એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં ।

રહે છે અંતર સહુથી ઉદાસ, એમ સમજે છે હરિના દાસ ।।૪૨।।

એમ નર થયા નિરલોભ, કોઇ સુખે નહિ મનક્ષોભ ।

જેણે માન્યો બ્રહ્મમોલે વાસ, એમ સમજે છે હરિના દાસ ।।૪૩।।

એહ રીત્યે લોભને જીતાય, બીજો છે ઉપરનો ઉપાય ।

થાય અંતરે અભાવ જયારે, લોભ તજાય સમૂળો ત્યારે ।।૪૪।।

એમ લોભ લાલચને જીતી, કરી પુરૂષોત્તમ સાથે પ્રીતિ ।

તેને કામ ને લોભ ન વ્યાપે, સ્વામી સહજાનંદ પરતાપે ।।૪૫।।

પૂર્વછાયો-

નિષ્કામી નિરલોભી થઇ, ભજે છે ભગવંત ।

તેવાજ ત્યાગી સ્વાદના, જેહ નિરસ્વાદી સંત ।।૪૬।।

સર્વે રસ જાણી શ્યામમાં, અન્ય રસ જાણે અનિત્ય ।

નિરસ્વાદી એવા સંતની, કહું સાંભળજયો સહુ રીત ।।૪૭।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નિર્લોભી વ્રતમાન કહ્યું એ નામે એકસોને સાતમું પ્રકરણમ્ ।।૧૦૭।।