૧૦૫. તે તે અવતારોના જેવું અને એટલું અને એટલું જ એ તો ઠીક પરંતુ પૂર્વના કોઇપણ અવતારમાં જે કાર્યો નથ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:44pm

ચોપાઇ-

ત્યારે બોલિયા સરવે સંત, તમે સાંભળો શ્રી ભગવંત ।

વેદ વાળ્યા મત્સ્ય તન ધારી, શંખાસુરને માર્યો મુરારી ।।૧।।

શંખાસુર હતો મહાબળી, પેચ પ્રાક્રમે પૂરણ વળી ।

તેને કામ ક્રોધે મળી માર્યો, લોભ મોહ આગળ્યે એ હાર્યો ।।૨।।

એવા કામ લોભ ને જે ક્રોધ, મહા જબર છે જગજોધ ।

તેને જીતી કર્યો જેજેકાર, એથી કોણ મોટો અવતાર ।।૩।।

ધરી કમઠરૂપ સુજાણ, મથ્યો મંદ્રાચળ તે મેરાણ ।

દેવ દાનવે નેતરૂં તાણી, બળે વલોયું સમુદ્રપાણી ।।૪।।

એવા સુર અસુર બળિયા, તેને પણ કામ ક્રોધે ગળિયા ।

એવા કામ ક્રોધ લોભ ભારી, સુરાસુર મુક્યા જેણે મારી ।।૫।।

તેનો નાશ કર્યોનિરધાર, તેથી કોણ મોટો અવતાર ।

ધરી વરાહરૂપ મહારાજ, હણ્યો હિરણ્યાક્ષ પૃથવી કાજ ।।૬।।

હિરણ્યાક્ષ મહા બળવંત, બહુ પ્રાક્રમી યુધ્ધે અત્યંત ।

લઇ ગદા ગયો સ્વર્ગલોક, દેખી દેવ પામ્યા બહુ શોક ।।૭।।

લાગ્યો ભય ભાગ્યા સહુ સુર, દઇ ડારો ને વળ્યો અસુર ।

પછી કઇ કાળ સિંધુમાં ફર્યો, લેરી સાથે ગદા યુધ્ધ કર્યો ।।૮।।

ત્યાંથી ગયો વરૂણને પાસ, માંહિ દુષ્ટ ને ઉપર દાસ ।

જોડી હાથ જાચ્યો યુદ્ધ જાણો, તે વરૂણથી નવ અપાણો ।।૯।।

એવો મહાબળિયો જોરાણ, તે પણ કામ ક્રોધનો વેચાણ ।

એવા કામ ક્રોધ લોભ લોંઠા, જેણે સહુને કર્યા પારોંઠા ।।૧૦।।

એવા કામાદિ કર્યો સંહાર, એથી કોણ મોટો અવતાર ।

ધરી નૃહરિરૂપ અનૂપ, માર્યો હિરણ્યકશિપુ ભૂપ ।।૧૧।।

હિરણ્યકશિપુ મહા બળવાન, કરી તપ થયો ભગવાન ।

મહાતપે તેજે પરતાપી, લીધું રાજય ઇંદ્રનું ઉત્થાપી ।।૧૨।।

આપ તપ બળે કરી ભૂપ, થયો દશ દિગપાલરૂપ ।

ઓગણપચાસ વાયુ અનૂપ, થયો તે બાર સૂર્ય સ્વરૂપ ।।૧૩।।

અષ્ટ વસુ વળી લોકપાળ, થયો સવેર્રૂપે તે ભૂપાળ ।

લોકપાળ ગુણ પોતે ગ્રહિ, યજ્ઞભાગ લિયે આપે જહિ ।।૧૪।।

એવો હતો પ્રાક્રમી જે અતિ, તેને મોહ લોભે લીધો જીતી ।

કામ ક્રોધ મન ઇન્દ્રિસાથ, એને આગળ વરત્યો અનાથ ।।૧૫।।

એવા કામ ક્રોધ લોભ મોહ, મન ઇન્દ્રિય આદિ જે સંમોહ ।

તેને વશ કર્યા છે આ વાર, એથી કોણ મોટો અવતાર ।।૧૬।।

વામનરૂપ ધરીને દયાળ, કરી ઇંદ્રતણી પ્રતિપાળ ।

ઇંદ્ર સુરતણો અધિપતિ, જેને ઘેર શચી જેવી સતી ।।૧૭।।

તેને પણ કર્યો કામે કંગાલ, ઋષિઘેર જઇ થયો બેહાલ ।

એવા કામાદિક જે કરૂર, જેથી બચ્યા નહિ સુરાસુર ।।૧૮।।

એવા પાપીનો કીધો પ્રહાર, એથી કોણ મોટો અવતાર ।

ધરી પરશુરામ અવતાર, માર્યા ક્ષત્રિય એકવીશ વાર ।।૧૯।।

કર્યું તાત હેત એહ કાજ, હતા તાત તને તપિરાજ ।

હૈહયે કર્યું એવું કામ, બીજા જીવનું શું પુછો નામ ।।૨૦।।

એવો ક્રોધ વા કામ કે લોભ, એણે સહુનાં મન કર્યાં ક્ષોભ ।

તેનો શોધીને કર્યો સંહાર, એથી કોણ મોટો અવતાર ।।૨૧।।

શ્રીરામજી અવતાર ધારી, માર્યો રાવણ મહા અહંકારી ।

રાવણ તપે પામી વરદાન, થયો બહુ અજીત બળવાન ।।૨૨।।

જીત્યો સ્વર્ગ મૃત્યુ ને પાતાળ, થયો મહા અભિમાની ભૂપાળ ।

જીત્યા બ્રહ્મા ઇંદ્ર સુર સર્વ, રહ્યો નહિ કોઇનો તે ગર્વ ।।૨૩।।

જીત્યો ઘન પવન જમરાય, જીત્યા નવગ્રહ ને જરાય ।

એવો મહાબળી અહંકારી, તેને લીધો કામ ક્રોધે મારી ।।૨૪।।

તે કામ ક્રોધનો આણ્યો અંત, તેને કોણ ન કહે ભગવંત ।

કર્યાં કૃષ્ણે ચરિત્ર અપાર, બહુ દુષ્ટનો કર્યો સંહાર ।।૨૫।।

દુષ્ટ હતા બહુ બળવંત, પ્રાક્રમી ને માયાવી અત્યંત ।

આપ જોરે જીતી સહુજન, થયા પૃથ્વીએ પોતે રાજન ।।૨૬।।

જરાસંધ શિશુપાળ આદિ, અનમ્ર અહંકારી અનાદિ ।

જેની નમતિ નહિ પરછાય, મહા અભિમાની મનમાંય ।।૨૭।।

તેને કામ ક્રોધે લોભે મળી, નાખ્યા મોહ મમતાએ દળી ।

એવા કામ ક્રોધાદિક કોટા, જેને આગે હાર્યા છોટા મોટા ।।૨૮।।

એવા દુષ્ટ જે થકી હણાય, તેતો સર્વથી મોટા ગણાય ।

કામ ક્રોધ લોભ જે ચંડાળ, એથી ભુંડું થાય તતકાળ ।।૨૯।।

સ્વર્ગલોકથકી પાછા પાડે, વિધિલોકથી મૂળ ઉખાડે ।

પાડે વૈકુંઠલોકથી વળી, પાડે અન્ય લોક થકી મળી ।।૩૦।।

જે જે પ્રાપતિ માંહિથી પડ્યા, તેહ સર્વને એ શત્રુ નડ્યા ।

માટે એને દિયે જે વિદારી, તેતો અવતારના અવતારી ।।૩૧।।

સૂક્ષ્મદૃષ્ટિવાળાને એ સુજે, સ્થૂળદૃષ્ટિવાળા તે ન બુજે ।

માટે આજ છે વાત અલેખે, જાડી બુધ્ધિવાળા તે ન દેખે ।।૩૨।।

આગે થયા જેજે અવતાર, કર્યો દૈવી જીવનો ઉધ્ધાર ।

દૈવી આસુરી સંપત્તિવાળા, આજ સહુને કર્યા સુખાળા ।।૩૩।।

સાત્ત્વિક રાજસી તામસી જન, આજ સહુને કર્યા પાવન ।

જે કોઇ ધ્યાન ધારણા સમાધ્ય, પામ્યા તમથી જીવ અગાધ્ય ।।૩૪।।

નાડી પ્રાણનો કરી નિરોધ, કર્યો બહુ પ્રકારનો બોધ ।

અંતર ફેરવી આશ્રિત કીધા, બહુ જીવને શરણે લીધા ।।૩૫।।

અજજંઘથી થયા અદેવ, હતા જગે ગુરુ શિષ્ય એવ ।

યક્ષ રક્ષ જે અજે ઉપાવ્યા, પાછા તેહ મળી ખાવા આવ્યા ।।૩૬।।

બલિબગાસે નારી ત્રણ બની, પુંશ્ચલી ને સ્વૈરિણી કામિની ।

એવા ગુરુ શિષ્ય ને સંસારી, વળી ત્રણ પ્રકારની નારી ।।૩૭।।

એવા જીવ ઉધ્ધારિયા કઇ, માટે કહું હું મોટપ્ય સહિ ।

આજ પ્રકટાવ્યો છે પ્રતાપ, એવો આગળ્યે ન કર્યો આપ ।।૩૮।।

આજ જનને આપ્યાં જે સુખ, તેતો કહ્યું જાય કેમ મુખ ।

સર્વ થકી પાર છો મહારાજ, તે અમને મળ્યા તમે આજ ।।૩૯।।

દર્શ સ્પર્શ તમારૂં તે ક્યાંથી, થોડે ભાગ્યે કરી થાતું નથી ।

જાણ્યે અજાણ્યે જોડે જે હાથ, તે જન કેદિ ન થાય અનાથ ।।૪૦।।

અજાણ્યે કરે અમૃતપાન, તોય અમર કરે નિદાન ।

પારસ સ્પરશે લોહ અજાણે, થાય કંચન જગત જાણે ।।૪૧।।

રવિ મળે રહે નહિ રાત, જળપાને પિયાસનો પાત ।

જેમ અજાણે અગ્નિને સંગે, શીત વ્યાપે નહિ વળી અંગે ।।૪૨।।

તેમ સ્પરશતાં પૂરણ બ્રહ્મ, જાય કોટિ જનમનાં કર્મ ।

થાય અભય જન તે અંગે, પ્રકટ પુરૂષોત્તમ પ્રસંગે ।।૪૩।।

શશિમાંયથી વરસે આગ્ય, રવિ કરે કિરણનો ત્યાગ ।

વિદ્યુતમાંહિથી વહની વટે, ચંદનમાંથી શિતળતા ઘટે ।।૪૪।।

શૂન્ય તજે તે શબ્દ પ્રસંગ, વાયુ તજે સ્પરશ અંગ ।

તજે તેજ રૂપ રસ તોય, તજે ગંધ પૃથવીને જોય ।।૪૫।।

એમ થાય કોઇ કાળે વળી, એવી વારતા નથી સાંભળી ।

પણ કદાચિત એમ હોય, હરિ મળ્યે અભદ્ર ન તોય ।।૪૬।।

વસુધાનું વેજું કોઇ કરે, તેની ચોટ ઠાલી કેમ ઠરે ।

તેમ પુરૂષોત્તમ સ્પરશે, તેનું અકાજ કહો કેમ હશે ।।૪૭।।

કોઇ રીત્યે પુરૂષોત્તમ ભજે, તેનું અકાજ ન હોય રજે ।

કામભાવે ભજી વ્રજનાર, માત તાત તજી પરિવાર ।।૪૮।।

સનેહે વસુદેવ દેવકી, દુષ્ટ ભાવે કરી ભજી બકી ।

ભયે ભજીયો કંસ ભૂપાળ, વૈરદ્વેષે ભજયો શિશુપાળ ।।૪૯।।

સખાભાવે ભજયા અરજુને, ભક્તિભાવે ભજયા નારદજને ।

દાસભાવે હનુ ને ખગેશ, સ્નેહભાવે યુધિષ્ઠિર નરેશ ।।૫૦।।

એતો સર્વે પામ્યા સુખ અંગે, રહી પ્રકટને પરસંગે ।

પુરૂષોત્તમ પ્રકટ હોય જયારે, ક્રિયા સાધન ન લેવું ત્યારે ।।૫૧।।

આપે દરશ સ્પરશ દઇ, કરે ભવપાર જીવ કઇ ।

માટે આજ પુરૂષોત્તમ તમે, નિશ્ચય કરીને જાણ્યા છે અમે ।।૫૨।।

વળી કોટિ કોટિ રવિ શશિ, તેના તેજ સમૂહનો રાશિ ।

વળી પ્રકૃતિ પુરૂષથી ઇનામ, એવું અક્ષરબ્રહ્મ જે ધામ ।।૫૩।।

તેમાં બ્રહ્મરૂપ જે સકળ, કોટિ કોટિ મુક્તનાં મંડળ ।

તેને મધ્યે રહ્યા એવા તમે, તે તમને જાણ્યા પ્રભુ અમે ।।૫૪।।

વળી અક્ષરધામ ગોલોક, એહાદિ બીજાં ધામ અશોક ।

તેનું ઐશ્વર્ય જે જે કહેવાય, તે તો સર્વે રહ્યું તમ માંય ।।૫૫।।

વળી પ્રકૃતિ પુરૂષાદિ ધામ, અતિ ઐશ્વર્ય જે અભિરામ ।

તે તમારા ધ્યાન કરનાર, સર્વે દેખે છે તેહ મોઝાર ।।૫૬।।

વળી સહુ અવતાર સ્વરૂપ, એનાં ઐશ્વર્ય જે જે અનૂપ ।

તે તમમાં દેખે ધ્યાનવાન, માટે સહુના કારણ ભગવાન ।।૫૭।।

છો અવતારી જે અવતાર કહીએ, તેનાં ચરિત્ર તે તમારાં લહીએ ।

એહ વાતમાં નથી સંદેહ, વળી કહીએ જણાય છે જેહ ।।૫૮।।

જેહ જન તમારા આશ્રિત,વૈરાગ્ય જ્ઞાન સ્વધર્મ સહિત ।

મહાત્મ્ય યુક્ત ભક્તિ અનન્ય, કરે તમારે પ્રતાપે જન ।।૫૯।।

એવો પ્રતાપ અતિ અપાર, તમે પ્રકટાવ્યો છે આ વાર ।

તે તો સહુ જાણે નરનાર, નથી છાની એ વાત લગાર ।।૬૦।।

એવા તમે જેને મળ્યા મહારાજ, તેને કરવું ન રહ્યું કોઇ કાજ ।

તોય રખાવો છો રૂડી રીત, કહું તેહ પરમ પુનિત ।।૬૧।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે મુનિજને રામકૃષ્ણાદિ અવતાર કરતાં શ્રીજી મહારાજનું અધિક સામર્થ્ય કહ્યું એ નામે એકસોને પાંચમું પ્રકરણમ્ ।।૧૦૫।।