૩૧. પ્રભુએ ગોપાળયોગીને બ્રહ્મ સ્થિતિ તથા દિવ્યગતિ આપી, સિરપુરમાં સિદ્ધોનો દભં છોડાવી કામાક્ષી

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 6:56pm

પૂર્વછાયો-

વળી કહું એક વારતા, સુણો સહુ થઇ સાવધાન ।

કૃપાનિધિ કૃષ્ણદેવનાં, કહું ચરિત્ર અમૃત સમાન ।।૧।।

નાથ પ્રતાપે નિજ આતમા, દેખે અખંડરૂપે અનુપ ।

તેની બ્રહ્મ સાથે કરી એકતા, પછી થયા બ્રહ્મસ્વરૂપ ।।૨।।

એવા યોગને શિખિયા, ગોપાળયોગી જેહ ।

સ્નેહે કરી શ્રીહરિએ, તેને શિખવિયું છે તેહ ।।૩।।

તેણે કરી તર્ત થયા, યોગી તે બ્રહ્મસ્વરૂપ ।

અતિ પ્રકાશક આતમા, તેહ જાણ્યું પોતાનું રૂપ ।।૪।।

ચોપાઇ-

પછી યોગીને જણાણું એમ, આને મનુષ્ય કહેવાય કેમ ।

થયું જ્ઞાન યથારથ જયારે, બોલ્યા ગોપાળયોગી તે વારે ।।૫।।

નરનારાયણ ઋષિરાય, થઇ બ્રહ્મચારી આવ્યા આંય ।

બહુ જીવનાં કરવા કાજ, આપે પ્રગટ થયા મહારાજ ।।૬।।

એમ નિશ્ચે કર્યો નિરધાર, નારાયણ તે આ બ્રહ્મચાર ।

એવા જાણી પછી ધર્યું ધ્યાન, ચોટી વૃત્તિ મૂર્તિમાં એકતાન ।।૭।।

તેણે વિસરિયો નિજ દેહ, થયો મૂર્તિમાં અતિ સનેહ ।

જાણ્યું આપ મળ્યું સુખ મોટું, બીજું સરવે લાગ્યું છે ખોટું ।।૮।।

એવા મોટા યોગી જે ગોપાળ, તેતો ભુલ્યા દેહ થોડે કાળ ।

અતિ વિસ્મૃતિ થઇ જયારે, મુક્યો માયિક દેહને ત્યારે ।।૯।।

પછી શ્રીકૃષ્ણ દેવ પ્રતાપે, ગયા ગોલોકમાં યોગી આપે ।

પછી બ્રહ્મચારી નીલકંઠે, કરી ક્રિયા તેની રૂડી પેઠે ।।૧૦।।

પછી મુકી પોતે એહ સ્થાન, ચાલ્યા પૂરવમાં ભગવાન ।

રહી અખંડ બ્રહ્મસ્વરૂપ, ચાલ્યા આપે આપ બ્રહ્મરૂપ ।।૧૧।।

નાસાગ્ર દષ્ટિ કરીને સ્થિર, ચાલ્યા જેમ કમાનનો તીર ।

કૃષ્ણમાંહિ છે દષ્ટિ અખંડ, નથી દેખતા પિંડ બ્રહ્માંડ ।।૧૨।।

દિશ વિના નથી બીજો રાહ, ગયા ત્યાં થકી આદિવારાહ ।

તિયાં ત્રણ દિવસ પોતે રહ્યા, ત્યાંના વાસીને દર્શન થયાં ।।૧૩।।

નિરખી આનંદ પામિયાં અતિ, જાણું આવ્યા શું આ બૃહસ્પતિ ।

એમ જનને આનંદ આલી, પછી ત્યાં થકી નિસર્યા ચાલી ।।૧૪।।

ગયા બંગદેશમાં દયાળ, આવ્યું સીરપુર શહેર વિશાળ ।

સિદ્ધવલ્લભ તેનો છે રાયે, ગયા પોતે ત્યાં અણઇચ્છાયે ।।૧૫।।

તે નરેશે પ્રાર્થના કરી, રાખ્યા ચોમાસું ત્યાં ભાવ ભરી ।

દીઠા અતિ ત્યાગી એકાએક, રાખ્યો પાસળે એક સેવક ।।૧૬।।

તેનું નામ છે ગોપાળદાસ, કરે ટેલ્ય રહે નિત્ય પાસ ।

તિયાં બીજા ભેખધારી બહુ, રાખ્યા ચોમાસું કરવા સહુ ।।૧૭।।

તે તમોગુણી મંત્રઅધ્યાસી, સર્વે ક્ષુદ્રદેવના ઉપાસી ।

તેના જુજવા જુજવા વેશ, કોઇ મુંડેલ કેનેક કેશ ।।૧૮।।

કોઇ નાગા કોઇને કૌપીન, કોઇ ન રાખે વસ્ત્ર નવીન ।

તેમાં સોએક તપસ્વી સઇ, તેતો બેસે તડકામાં જઇ ।।૧૯।।

કોઇ વર્ણી ને કોઇ સન્યાસી, કોઇ હંસ ને કોઇ ઉદાસી ।

કોઇ કહે મુખે કાળી કાળી, કોઇ કહેતું બેચરાવાળી ।।૨૦।।

કોઇ ભૈરવ ભૈરવ રહ્યા ભણી, કોઇ ભજે ભવાની જોગણી ।

કોઇ મુનિ ને કોઇક બોલે, કોઇ અહોનિશ આંખ્ય ન ખોલે ।।૨૧।।

કૈક ખાખી કૈક હુડધંગા, એમ મળ્યા બહુ અડબંગા ।

થયા સિદ્ધ ભુંશી બહુ સેલી, ભંગી જંગી ભેળા થયા ફેલી ।।૨૨।।

તેને રાજા જાણી મોટાસિદ્ધ, આપે રસોઇયો રૂડી વિદ્ધ ।

આસન સારૂં આપી ગાદલાં, કરે સનમાન રાજા ભલાં ।।૨૩।।

ત્યારે યોગી બોલે બળે બહુ, કરે વાત સિદ્ધાઇની સહુ ।

એમ કરતાં આવ્યો વરષાત, વાયો વાયુ થયો ઉતપાત ।।૨૪।।

ખવે વિજળી વારમવાર,વરષે મેઘ તે મુશળધાર ।

ગરજે ઘોર ને કડાકા કરે, ઉપરે જળ અખંડ ઝરે ।।૨૫।।

એવી અખંડ મંડાણી એલી, ચાલ્યાં પૃથવીએ પુર રેલી ।

તેમાં પોઢી રહ્યા પોતે નાથ, તન પર ચડી રેતી હાથ ।।૨૬।।

પછી સેવક આવી સવારે, કાઢ્યા કાદવ માંહિથી બારે ।

વર્ષે મેઘ મચી બહુ ઝડી, આંખ્ય ઉઘડે નહિ એક ઘડી ।।૨૭।।

એમ ચારે માસ વુઠો ઘન, પહોંચે સિદ્ધાઇ કેટલા દન ।

અતિ વર્ષાતે અસોયા થયા, પછી રાત્યે રાત્યે ભાગી ગયા ।।૨૮।।

ધીરે ધીરે સિદ્ધ ગયા નાશી, કરવા લાગ્યા લોક તેની હાંસી ।

કહે મોટા સિદ્ધ ગયા ચાલી, આ જો પડ્યાં છે આસન ખાલી ।।૨૯।।

એક બેઠા રહ્યા બ્રહ્મચારી, તેને જોઇ નમ્યાં નરનારી ।

કહે સિદ્ધ તો આ એક ખરા, બીજા દંભી ભાગી ગયા પરા ।।૩૦।।

રાજા નમ્યો જાણી હરિ મોટા, બીજા સવેર્ ને જાણ્યા છે ખોટા ।

વાધ્યું પ્રભુજીનું બહુ માન, બીજાનું ન કરે સનમાન ।।૩૧।।

તેણે કરી બળ્યા બીજા બહુ, આવ્યા મળી મારવાને સહુ ।

નાખી અડદ મંતરી મુઠું, પડ્યું જે જે કર્યું તે તે જુઠું ।।૩૨।।

પછી સેવક હતો જે પાસ, કરતો સેવા જે ગોપાળદાસ ।

તેને માથે નાખી એણે મુઠ્ય, પડ્યો ભૂમિએ ન ફેરે પુંઠ્ય ।।૩૩।।

આવ્યું મોઢે ફીણ તેને જોઇ, નહિ જીવે કહે સહુ કોઇ ।

પછી રાજાએ સિદ્ધ બોલાવી, કહ્યું આને લેવો જ ઉઠાવી ।।૩૪।।

ત્યારે સિદ્ધને છે મરડ ભારી, કહ્યું જીવાડશે બ્રહ્મચારી ।

ત્યારે રાયે આવી જોડ્યા હાથ, કહ્યું આને જીવાડીયે નાથ ।।૩૫।।

પછી હરિ તેને પાસે જઇ, ઉઠાડ્યો શ્રીકૃષ્ણ મંત્ર કઇ ।

ઉઠ્યો તર્ત લાગી નહિ વાર, પામ્યાં વિસ્મય સહુ નરનાર ।।૩૬।।

કહે આતો છે પોતે શ્રીકૃષ્ણ, મોટાં ભાગ્ય થયાં એનાં દ્રષ્ણ ।

વળી એમ કહે નરનારી, કૃષ્ણ નહિ તો કૃષ્ણ ભક્ત ભારી ।।૩૭।।

પછી મુઠ્ય નાખીતિ જે સિદ્ધે, પડી તેને માથે ભલી વિધ્યે ।

પડ્યો પડાક પૃથિવી માંઇ, મુખમાં ગઇ ધુડ્ય ભરાઇ ।।૩૮।।

આવ્યું મોઢે ફીણ ફાટ્યું ડાચું, થયું જીવ્યાની કોરનું કાચું ।

પછી તેણે તેના સિદ્ધ લાવી, કર્યા ઉપાય બહુ બોલાવી ।।૩૯।।

તેણે ફેર પડ્યો નહિ રતિ, ત્યારે કરી હરિને વિનતિ ।

પછી નાથ તેને પાસ આવી, કહી મંત્ર ને લીધો જીવાવી ।।૪૦।।

ત્યારે સિદ્ધ રાજા સહુ મળી, કરી સ્તુતિ હરિજીની વળી ।

જાણ્યા રાજાએ મોટા છે સરે, થયો પરિવાર સહિત આશરે ।।૪૧।।

જેજે હતો એ સિદ્ધનો વર્તા, મુઠ્ય નાખી બાળી પેટ ભર્તા ।

તેતો નીલકંઠે ભાંગ્યો ભય, થયા મનુષ્ય સહુ નિરભય ।।૪૨।।

લાવી વસ્ત્ર ધન આગે ધરે, હરિ ત્યાગી છે તેને શું કરે ।

એટલાકમાં વિપ્ર તૈલંગ, આવ્યો નારી સુત લઇ સંગ ।।૪૩।।

ભણ્યો વેદ શાસ્ત્ર ને પુરાણ, પ્રસિદ્ધ વિપ્ર પૃથ્વી પ્રમાણ ।

આવ્યો સિદ્ધવલ્લભરાય પાસ, મને દાન લેવાની છે આશ ।।૪૪।।

પછી તે રાજા છે ધર્મવાન, આપ્યું ભણ્યો જાણી ભારે દાન ।

આપ્યો હસ્તિ ને કાળ પુરૂષ, લેતાં વિપ્ર થયો કાળો મષ ।।૪૫।।

ગૌર મટીને થયો છે શ્યામ, ત્યારે નિંદા કરવા લાગ્યું ગામ ।

પછી હરિ પાસે વિપ્ર આવી, અતિ દિનતાએ વાણી કાવી ।।૪૬।।

હે મહારાજ ! હું તો હતો દુઃખી, દાન લઇ થવા ગયો સુખી ।

ત્યાં તો સામું દુઃખ થયું ઘણું, હવે શું માહાત્મ્ય જીવ્યાતણું ।।૪૭।।

માટે ત્યાગીશ હું હવે તન, થાય તો તમે કરો જતન ।

પછી દુઃખી વિપ્ર હરિ જાણી, દયાળે દયા એ પર આણી ।।૪૮।।

કહ્યો શ્રીકૃષ્ણનો મંત્ર કાને, મટી શ્યામ થયો ગૌર વાને ।

પછી બ્રાહ્મણ લાગ્યો પાય, કહ્યું રહ્યો હું મન્યખા માંય ।।૪૯।।

પછી ગાતો પ્રભુજીના ગુણ, ગયો દેશ પોતાને બ્રાહ્મણ ।

એવા પ્રભુજી બહુ પ્રતાપી, કર્યાં સુખી બહુ દુઃખ કાપી ।।૫૦।।

ત્યાગ વૈરાગ્ય ઉરમાં અતિ, સહુપર વર્તે મહામતિ ।

એમ કરતાં ગયું ચોમાસું, આવ્યો ર્કાિતક ઉતર્યો આસુ ।।૫૧।।

પછી હરિ ને બીજા જે સિદ્ધ, તેને પૂજયા નૃપે બહુ વિદ્ધ ।

પછી ચાલ્યા છે ત્યાં થકી સહુ, હરિસંગે બીજા સિધ્ધ બહુ ।।૫૨।।

આવ્યા કામાક્ષિદેવીની ઝાડીએ, ઉતર્યા સિદ્ધ સહુ વાડીએ ।

પછી રસોઇ કરવા કાજ, કર્યો ભેળો સરવે સમાજ ।।૫૩।।

તેને સમીપે છે એક ગામ, વશે દ્વિજ ત્યાં પિબેક નામ ।

સિદ્ધમંડળ આવ્યું સાંભળી, ઉઠ્યો તર્ત તિયાં થકી બળી ।।૫૪।।

કહે સિદ્ધાઇ એની ચુંથી નાખું, કરી ગુલામ ને ઘેર રાખું ।

જોજયો માતાજીએ કરી મેર, આવ્યાં વણગોત્યાં પશુ ઘેર ।।૫૫।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીહરિ ચરિત્ર નામે એકત્રીશમું પ્રકરણમ્ ।।૩૧।।