૧૫. ધર્મથકી ભકિતને ઉદરે ટુંકકાળમાં પ્રગટ થવાનું પ્રભુનું વરદાન, વનમાં ધર્મ-ભકિતને અશ્વત્થામાનો

Submitted by swaminarayanworld on Sun, 03/07/2011 - 9:38pm

પૂર્વછાયો-

એવી રીતે સર્વે મળી, કરી સ્તુતિ ધર્મ ઋષિરાય ।

સુણી શ્રીહરિ શ્રવણે, બોલ્યા રાજી થઇ મનમાંય ।।૧।।

કૃષ્ણ કહે ધર્મઋષિને, થયો પ્રસન્ન તમ પર આજ ।

મનવાંછિત જે માગશો, તે સારિશ સર્વે કાજ ।।૨।।

ત્યારે ધર્મ કહે ધન્ય ધન્ય તમે, સદા પ્રસન્ન છો મને શ્યામ ।

મારે છે જે માગવું, તે કહું છું હું કરભામ ।।૩।।

આ ઋષિ હું ધર્મભક્તિ, તેને તમારા જાણી નાથ ।

દૈત્યે દુઃખ દીધાં ઘણાં, તેણે દુઃખી છીએ સહુ સાથ ।।૪।।

ચોપાઇ-

ત્યારે શ્રીકૃષ્ણ કહે સુણો ધર્મ રે, એ તો સર્વે જાણું છું હું મર્મ રે ।

અસુરને દ્રોહ મુજ સાથે રે, તે માટે વૈર તમારે માથે રે ।।૫।।

સાધુ દેવને પીડે છે પાપી રે, મદ્ય માંસ બલિદાન આપી રે ।

મારા જાણીને દિયે છે દુઃખ રે, મહાઅસુર છે જે વિમુખ રે ।।૬।।

તેને મારીશ હું થોડે દન રે, તજી ભય રહો નિર્ભય મન રે ।

મુજ વિના કોઇથી ન મરે રે, જો કોટિ ઉપાય કોઇ કરે રે ।।૭।।

ધર્મ તમે ભક્તિ ને આ ઋષિ રે, સહુ રહો આનંદમાં ખુશી રે ।

હરિનામે હું થઇશ બાળ રે, દુઃખ સહુનું ટાળીશ તતકાળ રે ।।૮।।

દુર્વાસાનો સહુને છે શાપ રે, તેમાં હું પણ આવ્યો છું આપ રે ।

માટે ધર્મ ઘેર ધરી તન રે, સુખી કરીશ સર્વે જન રે ।।૯।।

થઇ ગયો છે ધર્મનો નાશ રે, તેને પાછો કરીશ પ્રકાશ રે ।

એકાંતિક ધર્મ રૂડી રીતે રે, સ્થાપન કરીશ હું તેહ પ્રીતે રે ।।૧૦।।

માટે નિઃશંક રહો નરનારી રે, સત્ય વાત માની તમે મારી રે ।

તમે પાઠ કર્યા જે જે સ્તોત્ર રે, વળી જપિયા છે જેજે મંત્ર રે ।।૧૧।।

તેનો પાઠ જાપ જે જે કરશે રે, આવ્યા કષ્ટમાંથી તે ઉગરશે રે ।

દેહ છતાં નહિ થાય દુઃખ રે, અંત સમે તે પામશે સુખ રે ।।૧૨।।

શ્વેતદ્વિપાદિ ધામ છે જેહ રે, તિયાં આનંદ કરશે તેહ રે ।

એમ કૃપાનિધિ જે શ્રીકૃષ્ણ રે, થયા ભક્તિધર્મ પર પ્રસન્ન રે ।।૧૩।।

આપી એવો વર ભગવાન રે, પછી થયા છે અંતરધાન રે ।

ત્યારે ધર્મભક્તિ ઋષિરાય રે, અતિ હર્ષ પામ્યાં મનમાંય રે ।।૧૪।।

થયું વિષ્ણુયાગ વ્રત પુરૂં રે, મળ્યા કૃષ્ણ ન રહ્યું અધુરૂં રે ।

કરી પારણાં બેઠા એકાંત રે, કહે ગુપ્ત રાખવી આ વાત રે ।।૧૫।।

જયારે શ્રીકૃષ્ણ પ્રગટ થાશે રે, ત્યારે જેમ હશે તેમ જણાશે રે ।

એમ કરી મનમાં વિચાર રે, મળ્યા પરસ્પર કરી પ્યાર રે ।।૧૬।।

પછી પોતપોતાને આશ્રમ રે, ગયા ઋષિને ભક્તિ ધર્મ રે ।

ધર્મ પૂર્ણ મનોરથ પામ્યા રે, થયું સુખ દુઃખ સર્વે વામ્યા રે ।।૧૭।।

પછી ઘર પર ચાલ્યાં દોય રે, આવ્યાં નૈમિષારણ્યમાં સોય રે ।

સઘન વન ત્યાં વેલીની ઘાટ રે, તેણે કરી ઢંકાણી છે વાટ રે ।।।૧૮।।

ભુલ્યાં માર્ગ આથમ્યો દન રે, દૈત્યભયથી બિનાં છે મન રે ।

એવા સમામાં વનમોઝાર રે, મળી કુટુંબે સોતી એક નાર રે ।।૧૯।।

અતિ રાજી રમે વનમાંય રે, કેની બીક નથી મનમાંય રે ।

બહુ પુષ્ટ કુટુંબ છે એનું રે, નથી ગણતાં બળ બીજા કેનું રે ।।૨૦।।

તેને ધર્મ કહે સુણ્ય નારી રે, કોણ છો તું કહે વાત તારી રે ।

કુટુંબ તારૂં છે સર્વે કુશળ રે, આવું કોણથી પામ્યાં છો બળ રે ।।૨૧।।

ત્યારે બોલી વનિતા તે વાર રે, તારે પુછ્યાનો એવો શો પ્યાર રે ।

ચાલ્યાં જાઓને પાધરી વાટ રે, પુછી તમે શું કરશો ખાટ રે ।।૨૨।।

મારો તાત કુસંગ કહેવાય રે, અઘવતી નામે મારી માય રે ।

મારૂં નામ છે અવિદ્યા અતિ રે, પ્રભુ વિમુખ છે મારો પતિ રે ।।૨૩।।

મારી પુત્રી મિથ્યા પરમાણો રે, આપી અધર્મને તમે જાણો રે ।

તેની પ્રજા છે અપરમપાર રે, શું જાણ્ય તું વાતનો વિચાર રે ।।૨૪।।

કામ ક્રોધ લોભ વળી મોહ રે, દંભાદિક દીકરા સમૂહ રે ।

આશા તૃષ્ણા ઇર્ષ્યા અદયા રે, કુટિલ કુમતિ કુબુધિયા રે ।।૨૫।।

દુરુક્તિ તે એની છે દિકરી રે, એવે કુટુંબે રહ્યું ઘર ભરી રે ।

નિંદા દ્રોહ નવરાં ન રહે રે, હર્ષ શોક વાત નિત્ય કહે રે ।।૨૬।।

શત્રુ મિત્ર શોધી જગમાંય રે, રાગ દ્વેષ રાખે નિત્ય ત્યાંય રે ।

ખળ છળ ક્ષમા નહિ લેશ રે, અનર્થ હિંસા કરે ઉપદેશ રે ।।૨૭।।

ભય વિગ્રહ વિપત્તિ ઘણી રે, એવી પ્રજા જાય નહિ ગણી રે ।

ઠઠા હાંસી મશ્કરી અતિ રે, કહીએ અવળાઇ કુમતિ રે ।।૨૮।।

અહંકાર અભિમાન આદિ રે, મમતામાં મરે સહુ વાદિ રે ।

એવું અપાર મારૂં કુટુંબ રે, તેની તમને ન પડે ગમ રે ।।૨૯।।

જાણે સર્વે લોકમાંઇ મને રે, સાંભળ વિપ્ર વાત કહું તને રે ।

જગમાં કોઇ ન શકે જીતિ રે, એવી જાણું છું હું રાજનીતિ રે ।।૩૦।।

ચાર સંપ્રદાય બાવન દ્વારા રે, વર્ણાશ્રમી સેવક છે મારા રે ।

આજ ચરાચરમાં હું વસું રે, ખેસવી હું કોઇની ન ખસું રે ।।૩૧।।

ભેખ પંડિત પિયર મારૂં રે, તિયાં રહેતાં લાગે મને પ્યારૂં રે ।

યોગી યતિ સંન્યાસી તપસી રે, તિયાં રહી છું અખંડ વસી રે ।।૩૨।।

અધો ઉર્ધ્વ મધ્યે જીવ બહુ રે, છોટા મોટા મેં પકડ્યા સહુ રે ।

જાવા ન દઉં મોક્ષ મારગે રે, તું કેવરાવીશ ક્યાં લગે રે ।।૩૩।।

એવું સાંભળી બોલીયા ધર્મ રે, સુણ્ય પાપણી નારી બેશર્મ રે ।

તેં તો તારી મોટ્યપને ગણી રે, ન જાણી મોટ્યપ કૃષ્ણ તણી રે ।।૩૪।।

રાધાપતિના તેજ પ્રતાપે રે, થાશે તારૂં કુટુંબ નાશ આપે રે ।

તારી પ્રજા તે પાછી પડશે રે, કામ ક્રોધ કોઇ ન નડશે રે ।।૩૫।।

અધર્મનું ઉખાડશે મૂળ રે, કરશે કૃષ્ણ નાશ તારૂં કુળ રે ।

પાપ પેખી નહિ શકે મહારાજ રે, પ્રભુ પ્રગટશે તારે કાજ રે ।।૩૬।।

એમ કહીને ચાલ્યાં ધર્મ ભક્તિરે, ત્યાંથી કરી છે આઘેરી ગતિ રે ।

રાત્ય મળી છે અંધારી ઘોર રે, કરે કરિ કેસરી બકોર રે ।।૩૭।।

વાઘ વારાહ વાનર બહુ રે, લડે માંહોમાંહે એમ સહુ રે ।

મહિષા નાર નોળ વળી નાગ રે, એવાં હિંસકનો નહિ તાગ રે ।।૩૮।।

લાગ્યા દવ બળે બહુ વન રે, પાડે કાળી રાડ્યું પશુ જન રે ।

ઉડે ઉપર ગીધ ને ગરજયું રે, જેથી દુઃખ થાય અણસરજયું રે ।।૩૯।।

બોલે ઘુવડ ફિયાવડાં ઘણાં રે, શબ્દ ભયંકર તેહ તણાં રે ।

એવા વનમાં ભૂલ્યાં છે વાટ રે, ન મળ્યું ગામ ઠામ કોઇ ઘાટ રે ।।૪૦।।

લાગ્યા કાંટા ને કાંકરા ઘણા રે, પડ્યું દુઃખ રહી નહિ મણા રે ।

લાગી ભુખ ને ન મળ્યું પાણી રે, સુકો કંઠ ને ન બોલાય વાણી રે ।।૪૧।।

એવા સમામાં મળ્યો તપસી રે, જેને જોઇ જાય ચિત્ત ખસી રે ।

ભુરી જટા કપાળમાં ટાલ રે, ચડી ભ્રકુટિ લોચન લાલ રે ।।૪૨।।

અતિ કાળો કુરૂપ વિકરાળ રે, રૂદ્ર જેવો હૃદાનો દયાળ રે ।

ભૂંડા બ્રહ્મચારી જેવો વેશ રે, દયા મેર નહિ જેને લેશ રે ।।૪૩।।

અઘોરી સિદ્ધ સરીખો લાગે રે, આવી ઉભો અચાનક આગે રે ।

તેને ધર્મે જોડ્યા જુગ પાણ રે, ત્યારે બોલિયો તપસી વાણ રે ।।૪૪।।

તમે કોણ છો પુરૂષ ને વામ રે, કિયાં રહો છો શું તારૂં નામ રે ।

ત્યારે બોલિયા ધર્મ આદરમાં રે, જાતિ દ્વિજ નામ દેવશર્મા રે ।।૪૫।।

પૂર્વ દેશમાંહિ અમે રહીએ રે, અતિ દીન દાલદરી છીએ રે ।

પીડ્યાં અમને દૈત્ય અપાર રે, નાશી આવ્યાં શ્રીવ્રજ મોઝાર રે ।।૪૬।।

તિયાં વિષ્ણુયાગ વ્રત કીધું રે, ત્યારે શ્રીકૃષ્ણે દર્શન દીધું રે ।

પછી અમે અમારાં જે કષ્ટ રે, કહ્યાં તે સુણ્યાં શ્રીકૃષ્ણે સ્પષ્ટ રે ।।૪૭।।

કહે કૃષ્ણ હું કરીશ સાર રે, લેઇ તમારે ઘેર અવતાર રે ।

કરીશ હું અસુરસંહાર રે, તમે જાણો નિશ્ચય નિર્ધાર રે ।।૪૮।।

એમ વર દઇ શ્રીકૃષ્ણ ગિયા રે, પછી અમે દો આંહિ આવિયાં રે ।

તિયાં તમે મળ્યા મહારાજ રે, તેણે રાજી થયાં અમે આજ રે ।।૪૯।।

એવું સાંભળીને કોપ્યો અતિ રે, સર્વે કૃષ્ણની જાણું હું ગતિ રે ।

એણે પાંડવ પક્ષ વધાર્યો રે, મને વહાલો દુર્યોધન માર્યો રે ।।૫૦।।

માટે હું પણ છઉં અશ્વત્થામા રે, દઉં છું શાપ સુણો નર વામા રે ।

જેહ પુત્ર થાય તમારો રે, કહું શસ્ત્ર તે કેદિમાં ધારો રે ।।૫૧।।

શસ્ત્ર વિના શત્રુ ન મરશે રે, મારા શાપે શસ્ત્ર ન ધરશે રે ।

એમ કરતાં શસ્ત્ર લેશે હાથ રે, તે જીતશે નહિ વૈરી સાથ રે ।।૫૨।।

એમ કહી થયો અંતર્ધાન રે, થયાં ભક્તિધર્મ ચિંતાવાન રે ।

કરતાં ચિંતા મોટી મનમાંઇ રે, રહ્યાં રાત્ય ભક્તિ ધર્મ ત્યાંઇ રે ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ધર્મને અશ્વત્થામાએ શાપ દીધો એ નામે પંદરમું પ્રકરણમ્ ।।૧૫।।