ગઢડા અંત્ય ૧૩ : દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:36am

ગઢડા અંત્ય ૧૩ : દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું

સંવત્ ૧૮૮૪ના અષાઢ વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે તોરા વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને આગળ મુનિમંડળ દુકડ સરોદા લઈને કીર્તન ગાવતા હતા.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ.” એમ કહીને શ્રીજી મહારાજે મુનિમંડળ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, “જીવનો દેહ છે તે તો પૂર્વકર્મને આધિન છે તેનો એક નિર્ધાર રહેતો નથી. તે કયારેક સાજો રહે ને કયારેક કર્માધિનપણે કરીને માંદો થઈ જાય, ને કયારેક સ્‍વતન્‍ત્ર વર્તતો હોય ને કયારેક પરાધિનપણે થઈ જાય અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય. અને કયારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય, ત્‍યારે જે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહેજ નહિ. અથવા ઈંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે કયાંઈક પરવશ રાખ્‍યા અથવા પોતાનાં મન ને ઈન્‍દ્રિયો તે ઈંગ્રેજ જેવાં જ છે તેણે જ પરવશ રાખ્‍યા, ત્‍યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્‍સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહિ. અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે જે ‘ધર્મ, જ્ઞાન,વૈરાગ્‍ય અને ભકિત એ ચાર સંપૂર્ણ હોય ત્‍યારે એકાંતિક ભક્ત કહેવાય, ને એકાંતિકની જે મુકિત છે તેને પામે.’ અને કાળ, કર્મને યોગે કરીને દેહની વ્‍યવસ્‍થા તો એકની એક રહે એમ જણાતું નથી; માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે?” એ પ્રશ્ર્ન છે. પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્‍યાનંદ-સ્વામી, મુકતાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, શુકમુનિ ઈત્‍યાદિક મોટા મોટા સાધુ હતા તેમણે જેવું જેને જણાયું તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્ર્નનું સમાધાન ન થયું.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેમ અમારે ભગવાનને વિષે નિષ્‍ઠા રહે છે તેમ અમે કહીએ જે, અમારે તો ગમે તેવું સુખદુ:ખ આવે તથા સંપત્ વિપત્ આવે તેમાં એમ રહે છે જે, એક તો ભગવાનની અતિશે મોટપ જાણીએ છીએ તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્ય-લક્ષ્મી તેને જોઈને લેશમાત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. અને એમ સમજીએ છીએ જે, આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી ને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોટાડયું છે,’ અને ભગવાન સંધાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે જે તે પ્રીતિને કાળ, કર્મ, માયામાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તોય પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે એવી રીતનો દ્રઢાવ છે તે ગમે તેવું સુખદુ:ખ આવે છે તોય નથી ટળતો. અને સ્વાભાવિક મનમાં એવી રૂચિ રહે છે જે,’શહેર હોય કે મેડી હોય કે રાજદરબાર હોય ત્‍યાં તો ગમે જ નહિ. અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય, એકાંત ઠેકાણું હોય, ત્‍યાં અતિશય ગમે છે’ ને એમ જાણીએ છીએ જે, ‘એકાંતમાં બેસીને ભગવાનનું ઘ્‍યાન કરીએ તો સારૂં,’ એવી સદાય રૂચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદસ્વામીનું દર્શન નહોતું થયું ત્‍યારે મુકતાનંદસ્વામી સંધાથે અમે એમ ઠરાવ કરી રાખ્‍યો હતો જે, મને રામાનંદસ્વામીનું દર્શન કરાવો તો આપણે બે જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ઘ્‍યાન કર્યા કરશું અને કોઈ દિવસ વસ્‍તીમાં તો આવીશું જ નહિ,’ એમ મનનો ઠરાવ હતો. તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાન ને ભગવાનના ભક્ત તેમાં તો એવું દ્રઢ હેત છે તેને કાળ, કર્મ ને માયા તેમાંથી કોઈ ટાળવાને સમર્થ નથી. અને પોતાનું મન ટાળ્‍યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહિ, એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્‍સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટકયા છીએ, તે કોઈ રીતે મુકીને જવાતું નથી. અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાખ્‍યાના કોટી ઉપાય કરે તોય ન જ રહેવાય અને ગમે તેવી અમારી શુશ્રુષા કરે તોય અભક્ત સંધાથે અમારે બને જ નહિ. એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્ત સંધાથે અમે અમારા જીવને અતિશે પ્રીતિએ કરીને જોડી રાખ્‍યો છે; અને તે ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વહાલું રાખ્‍યું નથી, માટે શા સારૂં ભગવાનમાં પ્રીતિ નહિ રહે? અને ભગવાનનાં કથા-કીર્તનાદિક કરતા હોઈએ ત્‍યારે તો એવી મસ્‍તાઈ આવે છે જે, ‘જાણીએ દીવાના થઈ જવાશે,’ અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે, અને ઉપરથી તો લોકને મળતો વ્‍યવહાર રાખીએ છીએ.

અને તે ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તાવનારા છે, તે ગમે તો દેહને હાથીએ બેસારો ને ગમે તો બંધીખાનામાં નંખાવો અને ગમે તો આ દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે, ‘હે મહારાજ ! આ મારૂં દુ:ખ છે તેને ટાળો,’ શા માટે જે, આપણે પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે, તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમજ આપણને ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી અને આપણે જ્યારે તન, મન, ધન, ભગવાનને અર્પણ કર્યું ત્‍યારે હવે ભગવાનની ઈચ્‍છા તે જ આપણું પ્રારબ્‍ધ છે. તે વિના બીજું કોઈ પ્રારબ્‍ધ નથી. માટે ભગવાનની ઈચ્‍છાએ કરીને ગમે તેવું સુખદુ:ખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહિ ને જેમ ભગવાન રાજી તેમજ આપણે રાજી રહેવું. અને આવી રીતની જે ભગવાનને વિષે દ્રઢ પ્રીતિ તેણે યુક્ત એવો જે એ ભક્ત તેના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય ને ભકિેત તેની રક્ષાને તો  એ ભગવાન પોતે જ કરે છે. અને કયારેક દેશ કાળના વિષમપણે કરીને બાહેરથી તો તે ધર્માદિકના ભંગ જેવું જણાતું હોય પણ તે ભક્તના અંતરમાં તો ધર્માદિકનો ભંગ થતોજ નથી.” એવી રીતે શ્રીજી મહારાજ પોતાને ઉપદેશે કરીને જે ભગવાનના અતિ દ્રઢ ભક્ત હોય તેને જેમ સમજવું ધટે અને જેમ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા હવા. ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૧૩|| ૨૪૭ ||