ગઢડા અંત્ય ૭ : વજ્રની ખીલીનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:29am

ગઢડા અંત્ય ૭ : વજ્રની ખીલીનું

સંવત્ ૧૮૮૩ના ભાદરવા વદી ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી તકીયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત પ્રત્‍યે બોલ્‍યા જે, “અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્‍યાણ ઈચ્‍છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી, માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્‍મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્‍મબુદ્ધિ રાખી જોઈએ. અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્‍યો જોઇએ અને તે પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ધટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મુકવો નહિ ને એમનો અભાવ આવવા દેવો નહિ. અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહનાં સગાંસંબંધીને વહાલાં    રાખવાં નહિ. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિષે ભગવાન સદાય સાકાર મૂર્તિમાન વિરાજમાન છે, અને  ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં  મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિષે રહે છે. તે ભગવાનનો જેને પ્રત્‍યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે, હું રખે મરીને ભૂતપ્રેત થઉ કે રખે ઈન્‍દ્રલોકને જ પામું કે રખે બ્રહ્મલોકને જ પામું.’ એવી આશંકા મનમાં રાખવી નહિ. કેમજે, જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે પણ વચમાં કયાંય તેને ભગવાન રહેવા દે નહિ. અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિષે દ્રઢ કરીને રાખવું. જેમ વજ્રની પૃથ્‍વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઉખડે નહિ, તેમ ભગવાનના ચરણારવિંદને વિષે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનના ચરણારવિંદને વિષે  પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે.” એમ વાર્તા કરીને ‘જય સચ્‍ચિદાનંદ’ કહીને સર્વ સભાને ઉઠવાની આજ્ઞા કરી.” ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૭|| ૨૪૧ ||