ગઢડા મઘ્ય ૬૦ : વિક્ષેપ ટાળ્યાનું – પક્ષ રાખ્યા્નું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 1:06am

ગઢડા મઘ્ય ૬૦ : વિક્ષેપ ટાળ્યાનું – પક્ષ રાખ્યા્નું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને શ્વેત પાઘ મસ્‍તક ઉપર બાંધી હતી, અને શ્વેત પછેડી ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ જે, પોતાના દેહથી નોખો જે પોતાનો આત્‍મા તેનું જે નિરંતર અનુસંધાન, તથા માયિક એવાં જે પદાર્થ માત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન, તથા ભગવાનના માહાત્‍મ્‍યજ્ઞાનનું જે અનુસંધાન, એ ત્રણે કરીને કોઇ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઇક જાતના વિક્ષેપનો યોગ આવે, ત્‍યારે ઉપરથીતો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્‍યમાં તો ડંસ બેસતો નથી. તે કેમ જણાય જે, જ્યારે સુઇએ છીએ ત્‍યારે બહારલ્‍યો જે વિક્ષેપ તે કોઇ દિવસ સ્‍વપ્નમાં દેખાતો જ નથી. અને જે ચૈતન્‍યમાં વિક્ષેપ પેઠો હોય તે તો ત્રણે અવસ્‍થામાં જણાય છે. માટે સ્‍વપ્નમાં કોઇ રીતે વિક્ષેપ જણાતો નથી. તે થકી એમ જાણીએ છીએ જે, ચૈતન્‍યમાં વિક્ષેપ કોઇ રીતે વળગતો નથી. અને જે ભગવાનના ભક્ત હોય ને તેને કોઇક પ્રકારના દુ:ખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો રધુનાથદાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય; તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મુકયો, ને સર્વે સત્‍સંગી રોવા લાગ્‍યા ત્‍યારે પણ રધુનાથદાસને તો જરાય શોક થયો નહિ, અને હસતો જાય ને બીજાને આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુ:ખ આવી પડે ત્‍યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુ:ખ ન થાય, પણ જે ભગવાનના ભક્ત હોય તે તો હરિભક્તને દુ:ખે કરીને જરૂર દુ:ખીયો થાય.

અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઇક મારી નાખતો હોય અથવા તેને કોઇક દુ:ખ દેતો હોય, ને તે ભગવાનના ભક્ત આડો જઇને મરે કે ધાયલ થાય, તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે, ‘તેનાં બ્રહ્મહત્‍યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે.’ એેવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્‍યાનો પ્રતાપ છે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેઠે હૈયામાં વસમું લાગે અને તેની વૈરભાવે આંટી પડી જાય તે જીવે ત્‍યાં સુધી ટળે નહિ, એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મે યુક્ત હોય, ત્‍યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય, તે સર્વે વૃથા છે અને બીજાં પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઇ કાળે કલ્‍યાણ થાય નહિ. અને આ સંસારને વિષે જેમ કોઇક સ્‍ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરૂષ ઉપર સરખું હેત રાખે, તે વેશ્‍યા સરખી ભુંડી કહેવાય, તેમ આ સંસારને વિષે જે એવો પુરૂષ હોય જે, ‘આપણે તો બધાય સાધુ સરખા છે, કેને સારો નરસો કહીએ ?’ તો તે સત્‍સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જે પુરૂષ એમ જાણે જે, ‘આપણે કાંઇક અવળું સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે.’ એવી રીતે પોતાની સારપ રાખ્‍યા સારૂં ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઇક ધસાતું બોલે ને તેને સાંભળી રહે, તો તે સત્‍સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જેવાં પોતાનાં સગાં વહાલાં હોય અથવા માબાપ હોય તેનો પક્ષ રહે છે, તેવો ભગવાનના ભક્તનો દૃઢ પક્ષ રાખવો. અને ભગવાનના ભક્ત સાથે કોઇ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઇ જાય, પણ આંટી રાખે નહિ, તેજ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય.” એટલી વાર્તા કરીને પછી શ્રીજીમહારાજ એમ બોલ્‍યા જે, “હું તો દત્તાત્રેય, જડભરત, નારદ અને શુકજી તે સરખો દયાવાળો છું અને પૂર્વ દેશમાં એક સમે નાગડા વૈરાગીની જમાત ભેળો હતો, તે મને સર્વે વૈરાગીએ કહ્યું જે, ‘તાંદળજાની લીલી ભાજી તોડો.’ ત્‍યારે મેં કહ્યું જે, ‘એમાં તો જીવ છે, તે અમે નહિ તોડીએ.’ પછી એક જણે તલવાર ઉધાડી કરીને ડારો કર્યો, તો પણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાવાળો સ્‍વભાવ છે તો પણ જો કોઇક ભગવાનના ભક્તને ક્રૂર દૃષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગો વહાલો હોય તો પણ જાણીએ જે, ‘તેની આંખ્‍ય ફોડી નાખીએ, અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુ:ખવે તો તે હાથને કાપી નાખીએ.’ એવો તેનો અભાવ આવે છે, પણ ત્‍યાં દયા નથી રહેતી. અને એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પુરો ભક્ત કહેવાય.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૬૦|| ૧૯૩ ||