ગઢડા મઘ્ય ૩૩ : નિષ્કામી વર્તમાનનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:14am

ગઢડા મઘ્ય ૩૩ : નિષ્કામી વર્તમાનનું

સંવત્ ૧૮૮૦ ના શ્રાવણ વદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્‍યે એમ બોલતા હવા જે, “પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ. પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્‍યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં ને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે એમ જે માન્‍યું હોય તે કહેજ્યો.” એમ સર્વેને કહીને પછી શ્રીજીમહારાજે પોતાના અંગની વાત કહેવા માંડી જે, અમને તો જે પદાર્થમાં હેત જણાય તો તેનો ત્‍યાગ કરીએ ત્‍યારે સુખ થાય, અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્યમાત્ર અથવા પદાર્થમાત્ર તેની જો મનમાં સ્‍મૃતિ થઇ હોય તો તેથી અતિશે છેટું કરીએ ત્‍યારે સુખ થાય અને જો ભગવાનના ભક્ત હોય તો  તેનો કોઇ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહિ અને અમારે વગર ઇચ્‍છે પણ પંચવિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્‍ત થાય છે તો પણ તેને અમે ઇચ્‍છતા નથી અને પગે કરીને ઠેલી નાખીએ છીએ. અને જે દિવસ થકી અમે જન્‍મ્‍યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઇ દિવસ જાગ્રતમાં અથવા સ્‍વપનમાં દ્રવ્‍યનો કે સ્‍ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે. અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ. ને જે અમારે વિષે દોષબુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્‍વપ્નમાં ભૂંડો ઘાટ થશે, ને તેને દેહ મુકયા સમે બહુ કષ્‍ટ થશે. અને અમારા અંતરમાં તો એક ભગવાનના સ્‍વરૂપનું જ ચિંતવન રહે છે. અને ઉપરથી તો ભગવાનના ભક્ત હોય તેના જીવનું સારૂં થાય તે સારૂં હળીમળીને રહીએ છીએ. અને જે દિવસ અમારા હૈયામાં ભગવાન ને ભગવાનના ભક્ત વિના બીજે કયાંઇ હેત જણાશે તો અમે એમ માનીશું જે, અમે અમારી સ્‍થ્‍િાતિમાંથી ડગ્‍યા; પણ અમને એવો નિશ્વય છે જે, ‘અમે એ સ્‍થ્‍િાતિમાંથી ડગીએજ નહિ.’ એમ અમારૂં અંગ હતું તે કહ્યું. હવે તમે સહુ પોતપોતાનું અંગ હોય તે કહો. પછી સર્વે સંત તથા સર્વે હરિભકતે જેવાં જેનાં અંગ હતાં તેવાં કહ્યાં. જે આ લોકને વિષે ને પરલોકને વિષે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે, એવી રીતે કહ્યું. તે સર્વે હરિભક્તના અંગની વિકિત જે, કોણેક તો ભગવાન વિના બીજે ઠેકાણે વૈરાગ્‍યનુંકહ્યું. અને કોણેક આત્‍મનિષ્‍ઠાનું કહ્યું. અને કોણેક ભગવાનને વિષે પ્રીતિનું કહ્યું. ને કોણેક ધર્મમાં રહેવાનું કહ્યું. એવી રીતે બહુ પ્રકારે કહ્યું, પણ શ્રીજી મહારાજે મનમાં જે ધારી રાખ્‍યું હતું. તે કોઇએ ન કહ્યું.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એક નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તેને આલોકમાં તથા પરલોકમાં કોઇ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહિ. અને અમારે પણ તે ઉપરથી કોઇ દિવસ હેત ઓછું થાય નહિ, અને અમે અહીંયાં ટકયા છીએ તે પણ અહીંયાંના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્ઢાવ દેખીને ટકયા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દૃઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છેટે જઇએ તો પણ તેની પાસેજ છીએ. અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે, ને તે જો અમારી પાસે રહે છે, તો પણ તે લાખ ગાઉ છેટે છે. અને અમને નિષ્કામી ભક્ત હોય તેનાજ હાથની કરી સેવા ગમે છે. માટે આ મુળજી બ્રહ્મચારી છે તે અતિશે દૃઢ નિષ્કામી છે, તો અમને એમની કરેલી સેવા અતિશે ગમે છે. અને બીજો કોઇ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી. અને અમે જે જે વાર્તા કરીએ છીએ તેને વિષે પણ નિષ્કામી વર્તમાનનું જ અતિશે પ્રતિપાદન થાય છે. અને અમે જે દિવસથી પ્રગટ થયા છીએ તે દિવસ થકી નિષ્કામી વર્તમાનનેજ અતિશે દૃઢ કરતા આવીએ છીએ. અને સભા બેઠી હોય ત્‍યાં કોઇક સ્‍ત્રી અથવા પુરૂષ તેને જોયામાં ફેર પડે ત્‍યારે એ ગમે તેટલી યુકિત કરીને સંતાડે તો પણ અમને જણાયા વિના રહેજ નહિ. ત્‍યારે અમારો તે મનુષ્ય ઉપર અતિશે કુરાજીપો થઇ જાય છે, અને અમારૂં મુખ પણ શ્‍યામણું થઇ જાય છે. અને તેનું દુ:ખ તો અતિશય લાગે છે, પણ મહોબત જાણીને ઝાઝું કહેવાય નહિ. અને વળી સાધુદાવો છે, માટે હૈયામાં સમજી રહીએ છીએ, પણ જો રાજાના જેવી રીત હોય તો તેને માથે ઝાઝો દંડ થાય. માટે સર્વ મોટા પરમહંસ તથા મોટી મોટી બાઇઓ તેને અમે મોરથીજ કહી રાખ્‍યું છે જે, ‘સત્‍સંગમાં કોઇ પુરૂષને તથા કોઇ સ્‍ત્રીને કદાચિત જો નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો અમને સંભળાવશોમાં.’ શા માટે જે, જ્યારે અમે એવી વાર્તા સાંભળીએ છીએ ત્‍યારે જેમ વાંઝિયાને ઘેર દીકરો આવ્‍યો હોય ને તે મરી જાય ને તેને જેવો શોક થાય તેવો અમારે પણ શોક થાય છે. તથા મનમાં એમ વિચાર થઇ જાય છે જે, ‘બધા સત્‍સંગને મુકીને જતા રહીએ’ માટે જે નિષ્કામી વર્તમાન રાખે તેજ અમને વહાલો છે. અને તેને ને અમારે આલોક પરલોકમાં દૃઢ મેળાપ રહે છે.”

પછી હરજી ઠક્કરે પ્રશ્ર્ન પુછયો જે, ”એ નિષ્કામી વર્તમાન શે ઉપાયે કરીને અતિશે દૃઢ થાય ? ” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”એનો એક પ્રકારનો ઉપાય નથી, એના તો ત્રણ પ્રકારના ઉપાય છે. જેમ હાંકનારો, બળદીયા, પૈડાં, ધુંસરી, ઊધ, માંચડો, એવા ઘણાક સામાને કરીને એક ગાડું કહેવાય છે, તેમ નિષ્કામીવ્રત દૃઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જોઇએ છીએ. તેમાં પણ ત્રણ ઉપાય છે તે તો અતિશે મુખ્‍ય છે. તેમાં એક તો મનને વશ કરવું, જે મનને વિષે અખંડ એવું મનન કરવું જે, ‘હું આત્‍મા છું, દેહ નથી’ ને ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભકિત તેને વિષે મનને અખંડ જોડી મેલવું પણ ક્ષણ માત્ર મનને નવરૂં રેવા દેવું નહિ. જેમ કોઇક પુરૂષને ભૂત વશ થયો હતો તે જ્યારે કામ ન બતાવે ત્‍યારે તેને ખાવા તૈયાર થાય, તેમ આ મન છે તે પણ ભૂત જેવું છે. તે જ્યારે ભગવદ્ભકિતમાં ન રાખે ત્‍યારે અધર્મના ઘાટ ધડે, ત્‍યારે એ ભૂતની પેઠે જીવને ખાવા તૈયાર થયું કહેવાય. માટે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું, એટલે એ મન વશ થયું કહેવાય. અને બીજો ઉપાય એ છે જે, પ્રાણને નિયમમાં રાખવો. તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘આહાર-વિહાર યુક્ત રાખવો, પણ અતિશે ખાધાની લોલુપતા ન રાખવી’ એવી રીતે વર્તે ત્‍યારે પ્રાણ નિયમમાં થયો કહેવાય. અને પ્રાણ નિયમમાં ન કર્યો હોય તો ખાધાની બહુ મનમાં તૃષ્ણા રહે. પછી અનંત પ્રકારના જે રસ તેને વિષે રસના ઇન્‍દ્રિય છે તે દોડતી ફરે ત્‍યારે બીજી ઇન્‍દ્રિયો વશ કરી હોય તે પણ સર્વે મોકળી થઇ જાય, માટે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો. અને ત્રીજો ઉપાય એ છે જે, આ સત્‍સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો. એવી રીતે ત્રણ ઉપાયને જે દૃઢ રાખે તેને નિષ્કામી વર્તમાન અતિશે દૃઢ થાય છે. અને એને વિષે એમ ન જાણવું જે, ‘એવી રીતે રાખવું ઘણું કઠણ છે.’ કેમ જે, જે સાધુજ હોય તેને તો એમ રાખવું કાંઇ કઠણ છે નહિ. અને સાધુ હોય તે તો કામ, ક્રોધ, લોભાદિક શત્રુનું બળ હોય તો પણ ભગવાનને રાજી કર્યા સારૂં તેનો ત્‍યાગ કરે ત્‍યારેજ એ પાકો સાધુ કહેવાય. અને મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે ? જે, નિત્‍યે અભ્‍યાસ રાખીને કરે તે થાય છે.  જેમ કુવાના કાંઠા ઉપર મહા કઠણ પથ્‍થરો હોય છે તેને વિષે નિત્‍યે પાણીને સીંચવું તેણે કરીને નરમ દોરડી છે તે પણ કાપા પાડે છે, તેમ જે સાધુજ છે ને તે જે સ્‍વભાવને ટાળવાનો નિત્‍યે અભ્‍યાસ રાખશે તો તે સ્‍વભાવ કયાં લગી રહેશે ? એ તો નિશ્વયજ નાશ પામશે. માટે જેને નિષ્કામીવ્રત રાખવું હોય તેને કહ્યા એવા જે ત્રણ ઉપાય તે દૃઢ કરીને રાખવા.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૩૩|| ૧૬૬ ||