ગઢડા મઘ્ય ૧૬ : સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:38am

ગઢડા મઘ્ય ૧૬ : સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું

સંવત્ ૧૮૭૮ ના ભાદરવા શુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરપાસે પાટ ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “એક તો અર્જુનની પેઠે જે સ્‍વરૂપનિષ્‍ઠા અને બીજી યુધિષ્‍ઠિરની પેઠે જે ધર્મનિષ્‍ઠા એ બે નિષ્‍ઠા છે, તેમાંથી જે સ્‍વરૂપનિષ્‍ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્‍ઠા મોળી પડી જાય છે, અને જે ધર્મનિષ્‍ઠાનું બળ રાખે તેને સ્‍વરૂપનિષ્‍ઠા મોળી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જે જેણે કરીને એ બેમાંથી એકે નિષ્ઠા મોળી ન પડે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે,   પૃથ્‍વીનો ને ધર્મનો શ્રીમદ્ભાગવતના પ્રથમ સ્‍કંધને વિષે સંવાદ છે તેમાં એમ કહ્યું છે જે, ‘સત્‍ય-શૌચાદિક જે કલ્‍યાણકારી એવા ઓગણચાળીસ ગુણ તેણે યુક્ત ભગવાનનું સ્‍વરૂપ છે.’ માટે સર્વેધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે, તે સારૂં ભગવાનને ધર્મધુરંધર કહ્યા છે. અને વળી શ્રીમદ્ભાગવતના પ્રથમ સ્‍કંધને વિષે શૌનકાદિક ઋષિએ સૂતપુરાણીને પુછયું છે જે, ‘ ધર્મના બખતરરૂપ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે અંતધર્ાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો ?’ માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. તે સારૂં જે ભગવાનની મૂર્તિને વિષે નિષ્‍ઠા રાખે તેને ભગવાનનું સ્‍વરૂપ હૃદયમાં રહે, એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે સ્‍વરૂપનિષ્‍ઠા રાખે તેને ધર્મનિષ્‍ઠા સહજે જ રહે. અને એકલી ધર્મનિષ્‍ઠા રાખે તો સ્‍વરૂપનિષ્‍ઠા મોળી પડી જાય છે, તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્‍વરૂપનિષ્‍ઠા જ દૃઢ કરીને રાખવી. તો તે ભેળી ધર્મનિષ્‍ઠા પણ દૃઢ પણે રહેશે.”

પછી મુકતાનંદ સ્વામીએ બીજો પ્રશ્ર્ન પુછયો જે, “પંચ વિષય જીતાય તે વૈરાગ્‍યે કરીને જીતાય છે કે કોઇ બીજો ઉપાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, વૈરાગ્‍ય હોય અથવા ન હોય પણ જો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિષે ખબડદાર રહે તો તે પંચવિષય જીતાય છે. અને જો શબ્‍દ થકી વૈરાગ્‍યે કરીને વૃત્તિ પાછી વાળે તો ધણો પ્રયાસ કરે તો પણ શબ્‍દ સંભળાય ખરો, અને કાનને બીડી લે તો સહજે શબ્‍દ સંભળાય નહિ. તેમજ અયોગ્‍ય પદાર્થને ત્‍વચાએ કરીને અડે નહિ તો સહજે સ્‍પર્શ જીતાય. તેમજ અયોગ્‍ય વસ્‍તુ હોય તેને નેત્રે કરીને જુએ નહિ તો સહજે રૂપ જીતાય. તેમજ જે જે સ્વાદુ ભોજન હોય તેને મેળાવી પાણી નાખીને જમે તથા યુક્ત આહાર કરે એટલે સહજે જ રસના જીતાય. તેમજ અયોગ્‍ય ગંધ હોય ત્‍યાં નાકને બીડી લે તો સહજે ગંધ જીતાય. એવી રીતે નિયમે કરીને પંચવિષય જીતાય છે. અને જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્‍યવાન તથા જ્ઞાની હોય પણ તેનો ઠા રહે નહિ. માટે વિષય જીત્‍યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે. તેમાં પણ મંદ વૈરાગ્‍યવાળાને તો નિયમમાં રહેવું એજ ઉગર્યાનો ઉપાય છે, જેમ માંદો હોય તે કરી પાળીને ઔષધ ખાય તો જ નિરોગી થાય.”

પછી અખંડાનંદ સ્વામીએ પુછયું જે, “માંદાને તો કરીનો નિયમ હોય જે આટલા દિવસ જ કરી રાખવી, તેમ કલ્‍યાણના સાધનનો પણ કોઇ નિયમ છે કે નથી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેને શ્રદ્ધા મંદ હોય તેને તો ધણેક જન્‍મે કરીને સાધનની સમાપ્‍તિ થાય છે. તે ભગવદ્રીતામાં કહ્યું છે જે, ‘અનેક જન્‍મસંસિદ્ધસ્‍તતો યાતિ પરાં ગતિમ્’ એ શ્લોકમાં એમ કહ્યું છે જે, ‘અનેક જન્‍મે કરીને સંસિદ્ધ થયો જે યોગી તે જે તે પરમપદને પામે છે’ એ મંદ શ્રદ્ધાવાળાનો પક્ષ છે, અને જેને બળવાન શ્રદ્ધા હોય તે તો તત્‍કાળ સિદ્ધ થાય છે. તે પણ ગીતામાં કહ્યું છે:-

“શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં તત્‍પર: સંયતેન્‍દ્રિય: | જ્ઞાનં લબ્‍ઘ્‍વા પરાં શાન્‍ત્‍િામચિરેણાધિગચ્‍છતિ ||”

એ શ્લોકનો એમ અર્થ છે જે,’નિયમમાં છે ઇન્‍દ્રિયો જેનાં, ને શ્રદ્ધાવાન એવો જે પુરૂષ, તે જ્ઞાનને પામે છે ને જ્ઞાનને પામીને તત્‍કાળ પરમપદને પામે છે.’ માટે જે અતિશે શ્રદ્ધાવાન હોય તેને વહેલી સાધનની સમાપ્‍તિ થાય છે, અને જેને મંદ શ્રદ્ધા હોય તેને તો અનેક જન્‍મે કરીને સાધનની સમાપ્‍તિ થાય છે. જેમ કોઇ પુરૂષ કાશીએ જતો હોય ને તે આખા દિવસમાં બે ડગલાં ચાલતો હોય તેને તો કાશીએ જતાં બહુ દિવસ લાગે, અને જે વીશ વીશ ગાઉ ચાલવા માંડે તે તો અહીંથી કાશીએ થોડાક દિવસમાં પહોંચે. તેમ જેને શ્રદ્ધા બળવાન છે તે તો હમણાં તરત સત્‍સંગી થયો હોય તો પણ અતિશે સરસ થઇ જાય છે, અને જેને શ્રદ્ધા મંદ હોય તે તો ઘણા કાળ થયાં સત્‍સંગી થયો હોય તોય પણ લોચો પોચો રહે છે.”

પછી શ્રીગુરૂચરણરતાનંદ સ્વામીએ પુછયું જે, ” જ્યારેમંદ શ્રદ્ધાવાળાનું અનેક જન્‍મે કલ્‍યાણ થાય, ત્‍યારે ત્‍યાં સુધી તે કયાં રહેતો હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘સુંદર દેવલોક હોય ત્‍યાં જઇને તે રહે છે. અને જ્યારે એ ભગવાનનું ઘ્‍યાન કરતો ત્‍યારે એ ભક્ત ભગવાન સામું જોતો ત્‍યારે ભગવાન પણ તે ભક્ત સામું જોતા. પછી ભગવાનનું ઘ્‍યાન કરતાં થકાં જે જે વિષયનું એણે ચિંતવન કર્યું હતું, અને જે જે વિષયમાં એ ભક્તને હેત હતું, તે ભગવાન સર્વે નજરે જોઇને અને એ દેહ મૂકે ત્‍યારે એને જેવા ભોગ વહાલા છે તેવા ભોગ જે લોકમાં છે તે લોકમાં એ ભક્તને પહોંચાડે છે, અને કાળને એમ આજ્ઞા કરે છે જે, ‘એ ભક્તના ભોગને તું ખંડન કરીશ માં.’ માટે તે નિરતંર દેવલોકમાં રહ્યો થકો ભોગને ભોગવે છે. પછી મૃત્‍યુ લોકમાં આવીને અનેક જન્‍મે કરીને મોક્ષને પામે છે.”

પછી અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ર્ન પુછયો જે, તીવ્ર શ્રદ્ધાવાન પુરૂષનાં શાં લક્ષણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને  દર્શને આવવું હોય અથવા ભગવત્‍કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્‍યાદિક જે જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારૂં સ્‍નાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને અતિશે ઉતાવળો થઇને કરે. અને કાગળ લખીને અમે કોઇક વર્તમાન ફેરવ્‍યું હોય તો તેને કરવાને અર્થે પણ આકળો થઇ જાય; અને મોટો માણસ હોય તો પણ ભગવાનનાં દર્શન સારૂં બાળકની પેઠે આકળાઇ કરવા માંડે, એવાં જેનાં લક્ષણ હોય તેને તીવ્ર શ્રદ્ધાવાન જાણવો. અને જે એવી શ્રદ્ધાવાળો હોય તે સર્વે ઇન્‍દ્રિયોને પણ તત્‍કાળ વશ કરે છે. અને જેને ભગવાનના માર્ગમાં મંદ શ્રદ્ધા હોય તેનાં ઇન્‍દ્રિયો વિષય સન્‍મુખ અતિ તીક્ષ્ણપણે યુક્ત હોય, તે ગમે તેટલો સંતાડવા જાય પણ સૌને જણાઇ જાય જે, ‘આની ઇન્‍દ્રિયોનો વિષય સન્‍મુખ તીક્ષ્ણ વેગ છે.’ અને ઇન્‍દ્રિયોનું રૂપ તો વાયુના વેગ જેવું છે, જેમ વાયુ દેખાય નહિ પણ વૃક્ષને હલાવે તેણે કરીને જણાય છે જે વાયુ વાય છે, તેમ ઇન્‍દ્રિયોની વૃત્તિઓ દેખાતી નથી પણ વિષય સન્‍મુખ દોડે તે સૌને જણાય છે, અને જો કપટે કરીને તે ઢાંકવા જાય તો  કપટી જાણીને તેનો સૌને અતિશે અવગુણ આવે છે. માટે જેનાં ઇન્‍દ્રિયોમાં વિષય ભોગવ્‍યાની તીક્ષ્ણતા હોય તે કોઇ પ્રકારે છાની રહે નહિ.”

પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “વિષય સન્‍મુખ ઇન્‍દ્રિયોની જે તીક્ષ્ણતા તેને ટાળ્‍યાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ઇન્‍દ્રિયોની તીક્ષ્ણતાને ટાળ્‍યાનો એ જ ઉપાય છે જે, પરમેશ્વરે ત્‍યાગીના ને ગૃહસ્‍થના જે નિયમ બાંઘ્‍યા છે તેમાં સર્વે ઇન્‍દ્રિયોને મરડીને રાખે તો સહજે જ ઇન્‍દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય અને શ્રોત્ર, ત્‍વક્, ચક્ષુ, રસના અને ઘ્રાણ એ પાંચે ઇન્‍દ્રિયોને જ્યારે કુમાર્ગમાં ન જાવા દે ત્‍યારે ઇન્‍દ્રિયોના આહાર શુદ્ધ થાય છે, તે કેડે અંત:કરણ પણ શુદ્ધ થાય છે. માટે વૈરાગ્‍યનું બળ હોય અથવા ન હોય તો પણ જો ઇન્‍દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ તીવ્ર વૈરાગ્‍યે કરીને વિષય જીતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જીતાય છે. માટે પરમેશ્વરના બાંધેલ જે નિયમ છે તેને જ અતિ દૃઢ કરીને રાખવા.”

પછી વળી અખંડાનંદસ્વામીએ પુછયું જે, “જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જો ભગવાનનું માહાત્‍મ્‍ય જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે. જેમ પાણી પીવાનું વાસણ મૃત્તિકાનું હોય તેમાં સહજે જ પ્રીતિ થાય નહિ અને તે પાત્ર જો સુવર્ણનું હોય તો તેમાં સહજે જ પ્રીતિ થાય, તેમ ભગવાનનું તથા ભગવાનની કથા કીર્તનાદિકનું માહાત્‍મ્‍ય જણાય તો સહજ સ્‍વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું માહાત્‍મ્‍ય સમજાય તે ઉપાય કરવો. ને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૧૬||૧૪૯||