લોયા ૮ : ઈન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું – પોતાના અંગના શબ્દો ગ્રહણ કર્યાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 12:50am

લોયા ૮ : ઈન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું – પોતાના અંગના શબ્દો ગ્રહણ કર્યાનું

સંવત્ ૧૮૭૭ ના માગશર સુદિ ૫ પંચમીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં વિરાજમાન હતા. અને ધોળો ફેંટો મસ્‍તકે બાંઘ્‍યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

તે સમયને વિષે શ્રીજીમહારાજને મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”જે ભોળો હોય તેને તો કોઇ સ્‍વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ ડાહ્યો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે. ? ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જે ડાહ્યો હોય તેને પોતામાં જે કોઇ અયોગ્‍ય સ્‍વભાવ દેખ્‍યામાં આવ્‍યો ને તેની ઉપર પોતે અતિ દોષબુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્‍વભાવને ટાળ્‍યાનો દાખડો કરતો હોય અને તે સ્‍વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્‍વભાવ કોઇ બીજા સંતમાં દેખાય ત્‍યારે તેનો અભાવ આવે છે. અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્‍વભાવને ટાળે નહિ ને બીજા સંતમાં કાંઇક તે સ્‍વભાવ દેખે તો તેનો અવગુણ લે છે તેને મૂર્ખ કહીએ.

ત્‍યાર પછી શ્રીજીમહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે  પ્રશ્ર્ન શીખવવા લાગ્‍યા, ને પોતે ઉત્તર કરવા લાગ્‍યા. તેમાં પ્રથમ તો પોતે એમ  પ્રશ્ર્ન પુછયો જે, ”કામ, ક્રોધ ને લોભાદિક શત્રુનો જે વેગ તેનું જે તીવ્રપણું ને મંદપણું તે બાળ, યૌવન અને વૃદ્ધ તેણે કરીને છે. કેવી રીતે, તો બાળપણામાં મંદ વેગ હોય અને યૌવન અવસ્‍થામાં તીવ્ર વેગ હોય ને વળી પાછું વૃદ્ધપણામાં મંદપણું થાય, એમ કામાદિકનું તીવ્ર મંદપણું છે તે તો જણાય છે. પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહિ ?” ત્‍યારે તેનો ઉત્તર પોતેજ કર્યો જે, ”વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે. તે વિચાર કેમ કરે, તો બાળક અવસ્‍થામાં મંદપણું છે, ને યૌવન અવસ્‍થામાં તીવ્રપણું છે, ને વૃદ્ધ અવસ્‍થામાં પાછું મંદપણું છે, તે તો આહારે કરીને છે, જે બાળ અવસ્‍થાને વિષે આહાર થોડો છે માટે કામ પણ ઓછો છે, ને વૃદ્ધ અવસ્‍થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછો હોય. અને યૌવન અવસ્‍થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય. તે માટે જો યૌવન અવસ્‍થામાં આહાર ઓછો કરે અને દેહે કરીને શીત, ઉષ્ણ, વરસાદ, ભુખ તેનું જાણી જાણીને સહન કરે એવો જે વિચાર રાખે, અને મોટા સાધુનો સમાગમ રાખે, તો તેને યૌવન અવસ્‍થામાં પણ કામ મંદ પડી જાય.”

અને વળી શ્રીજીમહારાજે  પ્રશ્ર્ન પુછયો જે, ”જીવને નાના પ્રકારનાં વ્‍યસન પડે છે, કોઇકને ભાંગનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઇત્‍યાદિક અનેક પ્રકારનાં પડે છે, તે વ્‍યસન ક્રિયમાણ છે કે પ્રારબ્‍ધે કરીને છે ?” ત્‍યારે તેનો ઉત્તર પણ પોતેજ કર્યો જે, ”એ વ્‍યસન તો કર્યાં થાય છે પણ પ્રારબ્‍ધે કરીને નથી.” માટે જો એ વ્‍યસનને ટાળ્‍યાનો શ્રઘ્‍ધા સહિત આગ્રહ કરે ને શૂરવીરપણું હોય તો તે ટળી જાય, પણ શ્રઘ્‍ધા ન હોય ને ફોશી હોય તેથી એ સ્‍વભાવ ટળે નહિ.”

અને વળી શ્રીજીમહારાજે  પ્રશ્ર્ન પુછયો જે, ”કેટલાક બાળકને તો વૃદ્ધના સરખી પ્રકૃતિ હોય છે ને કેટલાકને તો અતિ ચંચળ પ્રકૃતિ હોય છે, તે સંગે કરીને થાય છે કે એના જીવમાંજ એવી પ્રકૃતિ રહીછે?” ત્‍યારે તેનો ઉત્તર પણ પોતેજ કર્યો જે, ”બહુધા તો સંગે કરીનેજ સારી નરસી પ્રકૃતિ થાય છે અને કેટલાકને પૂર્વ કર્માનુસારે પણ થાય છે,”

પછી વળી કપિલેશ્વરાનંદસ્વામીએ પુછયું જે, હે મહારાજ ! ”પૂર્વનો સ્‍વભાવ હોય તે કેમ જાણવો ને હમણાંનો સ્‍વભાવ હોય તે કેમ જાણવો. ?” ત્‍યારે શ્રીજીમહારાજે તેનો ઉત્તર કર્યો જે, ”જે સ્‍વભાવ હમણાંનો હોય તે તો જો રૂડા સંતને સંગે રહીને થોડોક તેને ટાળ્‍યાનો ઉપાય કરે તો ટળી જાય, જેમ વંડી ઉપર તૃણ ઊગ્‍યાં હોય તે પાંચ દહાડા મેધ ન વરસે તો સુકાઇ જાય, તેમ હમણાંનો જે સ્‍વભાવ તે તો થોડાક દિવસમાં ટળી જાય છે. અને જે પૂર્વનો સ્‍વભાવ હોય તેને ટાળ્‍યાનો તો અતિ દાખડો કરે ત્‍યારે માંડમાંડ ટળે. જેમ ધરતીમાં ધરોનો છોડ હોય અથવા બોરડીનાં ઝાડ હોય તેને તો ખેડુત અગ્‍નિ લગાડીને બાળે તો પણ પાછો ફુટી આવે, ને જો કોદાળી લઇને મૂળમાંથી ખોદી નાખે તો જાય, તેમ જે પૂર્વનો સ્‍વભાવ હોય તેને રૂડા સંતના સમાગમમાં રહીને અતિ પ્રયાસે કરીને ટાળે તો માંડમાંડ ટળે.”

અને ત્‍યાર પછી વળી શ્રીજીમહારાજે  પ્રશ્ર્ન પુછયો જે, ”જેની ઇન્‍દ્રિયો ચંચળ હોય તેને ચંચળતાને ટાળ્‍યાના પૃથક્ પૃથક્ કયા ઉપાય છે ?”ત્‍યારે તેનો ઉત્તર પણ પોતેજ કર્યો જે ચક્ષુ ઇન્‍દ્રિયની ચંચળતા ટાળ્‍યાનો એ ઉપાય છે જે, નાસિકાગ્ર દૃષ્ટિ રાખે ને આડું અવળું જુવે નહિ, ભણવું હોય તો ભણ્‍યા કરે તથા ભજન સ્‍મરણ કર્યા કરે, અને એમ કરતાં સ્‍ત્રી આદિક દેખાઇ જાય ને અયોગ્‍ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉધાડાં રાખીને મેષોન્‍મેષ રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્‍યાં સુધી ઘડી બે ઘડી પર્યંત જોઇ રહે, ત્‍યારે તેની દષ્‍ટિ ચંચળ હોય તો પણ વશ થઇ જાય છે. અને નાસિકા ઇન્‍દ્રિય છે, તે કોઇનું શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય તેનો ગંધ લે ત્‍યારે તે ન ગમે. ત્‍યારે તેનો એમ વિચાર કરે જે, ‘મારો દેહ પણ ઉપરથી સારો છે પણ માંહી તો રૂધિર, માંસ હાડકાં છે તથા પેટમાં મળ, મૂત્ર, આંતરડાં છે’ એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટળે. અને કાનની ચંચળતા એમ ટળે જે, ‘કોઇ રમુજ થતી હોય અથવા ભવાઇ થતી હોય તેને સાંભળ્‍યામાં હેત થાય, ને ભગવાનની કથા કીર્તન સાંભળ્‍યામાં નિદ્રા આવે ત્‍યારે ઉભા થવું ને નિદ્રા આળસને ટાળવું ને ભગવાનની કથા સાંભળ્‍યામાં શ્રઘ્‍ધા રાખવી અને હેત રાખવું,’ તો કાન જીતાય. અને ત્‍વચા ઇન્‍દ્રિયને એમ જીતે જે, ‘જાણી જાણીને ટાઢ તડકો વરસાદ તેને ખમવો ને ગોદડી હોય તે ઉશીકે મુકી રાખવી ને સારી પેઠે ટાઢ વાય, ત્‍યારે ઓઢવી તથા જ્યાં ત્‍યાં પડી રહેવું,’ એમ કરીને ત્‍વચાને બાળી નાખે, એમ કરે તો ત્‍વચા ઇન્‍દ્રિયની ચંચળતા ટળે. અને હાથની ચંચળતા એમ ટળે જે, જ્યારે હાથ નવરા હોય ત્‍યારે હાથમાં માળા રાખીને શ્વાસો-ચ્‍છવાસે ભગવાનનું નામ લઇને તે માળાને ફેરવવી, પણ ઉતાવળી લહરકે માળા ન ફેરવવી અને કેટલાક એમ કહે છે જે, ‘મને કરીને તો નામ વધુ લેવાય’ એ વાત ખોટી છે, જેટલાં જીભે લેવાય તેટલાંજ મને કરીને લેવાય છે, એમ કરે તો હાથની ચંચળતા ટળે અને પગ ચંચળ હોય તો આસનને જીતવું, તો પગ જીતાય, અને શિશ્ર્ન ચંચળ હોય તો જેમ ખસ હોય કે રાતી દાદર હોય તેને ખંજોળીએ તો લોહી નીકળે ત્‍યાં સુધી ખરજ ટળે નહિ અને જો ન ખંજોળીએ તો તે એમ ને એમ બળી જાય, તેમ શિશ્ર્ન ઇન્‍દ્રિયમાં ચળ આવે તો પણ તેને હાથે કરીને અડેજ નહિ, અને જો શિશ્ર્નમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે ને ઉપવાસ કર્યા કરે ને દેહને બળહીન કરી નાખે, તો શિશ્ર્ન જીતાય. અને જિહ્વા ઇન્‍દ્રિયને જીતવી હોય, તો જે વસ્‍તુ જીભને ગમતી હોય તે વસ્‍તુ ન આપવી, અને આહાર યુક્ત કરવો, તો જીહ્વાની ચંચળતા ટળે અને વાણી ચંચળ હોય તો એમ ટળે જે મુકતાનંદસ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તે વચ્‍ચમાં પોતે ડહાપણ કરીને બોલવું નહિ અને જો વચ્‍ચમાં બોલાઇ જાય તો પંચવીશ માળા ફેરવવી, તો વાણીની ચંચળતા ટળી જાય.” અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”એ સર્વે ઇન્‍દ્રિયો છે તેમાંથી એકને પરિપકવ જીતે તો સર્વે ઇન્‍દ્રિયો જીતાય એવી કઇ ઇન્‍દ્રિય છે ?” ત્‍યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, એક જિહ્વાને પરિપકવ જીતે તો બીજી સર્વે ઇન્‍દ્રિયો જીતાય છે.

ત્‍યાર પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”જે પુરૂષને અંતરમાં કામ વ્‍યાપયો હોય તેને બહારથી કેમ જાણીએે જે ‘એને કામ વ્‍યાપયો છે?’ અને એનું જે અંગ તે તો વસ્‍ત્રમાં ઢાંકયું હોય છે.” ત્‍યારે એનો ઉત્તર પણ પોતે કર્યો જે, ”જેને કામ વ્‍યાપે તેનાં નેત્ર આદિક જે સર્વે ઇન્‍દ્રિયો તે ચંચળ થાય, ત્‍યારે જાણવું જે એ કામે વ્‍યાકુળ થયો છે.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”જેનો ચંચળ સ્‍વભાવ હોય તેને શાંત થવું અને જેનો શાંત સ્‍વભાવ હોય તેને ચંચળ થવું તે કયા વિચારે કરીને થાય છે ?” ત્‍યારે એનો ઉત્તર પણ પોતેજ કર્યો જે, ”જે ચંચળ હોય તે એમ વિચારે જે, ‘હું આત્‍મા છું, અલિંગ છું, અને આકાશની પેઠે સ્‍થ્‍િાર છું, એવે વિચારે કરીને ઉપશમ અવસ્‍થા ને પામે તો ચંચળ હોય તે શાંત થાય. અને જે શાંતને ચંચળ થવું હોય, તેને તો ભગવાન ને ભગવાનના ભક્તનું માહાત્‍મ્‍ય જાણવું, ને માહાત્‍મ્‍ય જાણે ત્‍યારે ભગવાનની નવ પ્રકારે ભકિત કરે તથા ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે, તેણે કરીને એનો ચંચળ સ્‍વભાવ થાય છે.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”શ્રીમદ્ભાગવતાદિક જે આઠ સત્‍શાસ્ત્ર તેમાંથી કોઇ ત્‍યાગ કરવા યોગ્‍ય છે કે સર્વે ગ્રહણ કરવા યોગ્‍ય છે ?” ત્‍યારે તેનો ઉત્તર પણ પોતેજ કર્યો જે, ”એ સર્વે ગ્રંથમાં પણ અનેક પ્રકારનાં પ્રકરણ છે, તે સર્વે પ્રકરણે કરીને ભગવાનને પામ્‍યા જે ભક્ત તેમનાં અંગ કહ્યાં છે, માટે એ સર્વે ગ્રહણ કર્યા યોગ્‍ય છે. પણ સર્વે પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું હોય તેને ગ્રહણ કરવું ને બીજાનો ત્‍યાગ કરવો; અને એમ જાણવું જે, ”એ છે તો સાચું પણ એ બીજા ભક્તને અર્થે છે, પણ મારે અર્થે નથી.”

અને વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”આ તમે સર્વે નાના છોકરા બેઠા છો, તેમાંથી કોઇકને તો આ સર્વે સંત પ્રમાણ કરે છે ને કોઇકને તો નથી કરતા, અને સર્વેની અવસ્‍થા સરખી છે ને સંગ પણ એક સરખો છે અને ભોજન, વસ્ત્ર, ઉપાસના, શાસ્ત્ર, ઉપદેશ, મંત્ર તે સર્વેને એક સરખાં છે, તો પણ જે ન્‍યૂનાધિકપણું રહી ગયું તેનું શું કારણ છે ? અને જે સંત છે તે તો સમદૃષ્ટિવાળા છે, ને નિર્પક્ષ છે, ને ધર્મવાળા છે, તે તો જે જેવો હોય તેને તેમ કહે, માટે એનો ઉત્તર કહો ?”

પછી પોતેજ એનો ઉત્તર કર્યો જે, જેના સંત વખાણ કરે છે તેને જ શ્રઘ્‍ધા છે, માટે ધર્મ પાળ્‍યાને વિષે તેનો વધારો છે, ને તેને સંતની સેવા કર્યાને વિષે તથા ભગવાનની વાત સાંભળ્‍યાને વિષે પણ શ્રઘ્‍ધા છે, ને સંતનો વિશ્વાસ છે માટે એ વધી ગયો, અને જે આવા સમાગમમાં રહ્યો થકો વઘ્‍યો નહિ, તે શ્રઘ્‍ધા રહિત છે એમ જાણવું. ઇતિ વચનામૃતમ્ લોયાનું  ||૮|| ૧૧૭ ||