લોયા ૧ : ક્રોધનું – સંપૂર્ણ સત્સંગ થયાનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 12:40am

લોયા ૧ : ક્રોધનું – સંપૂર્ણ સત્સંગ થયાનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક વદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં પરમહંસના ઉતારા મઘ્‍યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી. અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્‍યે બોલ્‍યા જે ”શંકર શબ્‍દનો શો અર્થ છે ?” પછી મુનિ બોલ્‍યા જે ”સુખને કરે તે શંકર કહીએ” પછી એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, આજ પાછલી ચાર ઘડી રાત રહી હતી તે સમે સ્‍વપ્નમાં અમને શિવજીએ દર્શન દીધાં. તે શિવજી મોટો જબરો નંદીશ્વર તે ઉપર બેઠા હતા. અને શરીરે બહુ પુષ્‍ટ હતા ને ચાલીસ વર્ષની અવસ્‍થા હતી ને મોટી જબરી જટા હતી. ને તે શિવજી ભેળે પાર્વતી હતાં તેણે ધોળાં વસ્ત્ર પહેર્યાં હતાં અને શિવજી મોટા સંતની પેઠે શાંતમૂર્તિ હતા. અને મારે ઉપર તો શિવજીને ઘણું હેત જણાયું તો પણ મારે તો શિવ ઉપર હેત ન જણાયું, કેમ જે હું એમ જાણું છું જે, શિવ તો તમોગુણના દેવતા છે અને આપણે તો શાંતમૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ, તે માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા, શિવ અને ઇન્‍દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેશે નહિ અને તેમાં પણ ક્રોધ ઉપર તો મારે ઘણું વૈર છે, ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહિ, તથાપિ જે શિવજીને અમે માનીએ છીએ તેનું શું કારણ છે ? તો શિવજી તો ત્‍યાગી છે, ને યોગી છે, ને ભગવાનના મોટા ભક્ત છે, માટે શિવને માનીએ છીએ. અને ક્રોધ તો કેવો છે, તો જેવું હડકાયું કુતરૂં હોય તેવો છે. જેમ હડકાયા કુતરાંની લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે હડકાયા કુતરાંની પેઠે ડાચિયો નાખીને મરી જાય, તેમ ક્રોધની જેને લાળ અડે તે પણ હડકાયા કુતરાની પેઠે ડાચિયો નાખીને સંતના માર્ગ થકી પડી જાય. અને વળી ક્રોધ કેવો છે તો જેવો કસાઇ, આરબ, ભાવર, વાધ, દીપડો, કાળો સર્પ, તે જેમ સર્વને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરિ લે છે, તેમ ક્રોધ છે તે પણ સૌને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરિ લે છે, એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તે તો અતિ ભૂંડો લાગે, કેમ જે સાધુ, તો શાંત હોય પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્‍યારે તે સાધુ બીજાને ક્રુર લાગે અને તે સાધુની આકૃતિ પણ ફરી જાય. કેમ જે એ ક્રોધનું નામ વિરૂપ છે. માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે.”

ત્‍યારે શુકમુનિએ પુછયું જે ”હે મહારાજ ! જે લગારેક ક્રોધ ચઢી આવે ને તે પછી તેને ટાળી નાખે એવો જે ક્રોધ તે કાંઇ નડતર કરે કે ન કરે ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જેમ આ સભા બેઠી છે તેમાં જો હમણે સર્પ નીકળે, ને કોઇને કરડે નહિ તો પણ ઉઠીને સૌને ભાગવું પડે, તથા સૌના અંતરમાં ત્રાસ થાય અને વળી જેમ ગામને ઝાંપે આવીને વાધ હુંકારા કરતો હોય અને કોઇને મારે નહિ તો પણ સૌ માણસને અંતરમાં ભય લાગે ને બારણે નીકળાય નહિ, તેમ થોડોક ક્રોધ ઉપજે તે પણ અતિશે દુ:ખદાયી છે.

પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”કામને મૂળમાંથી ઉખેડી નાખવો તેનું શું સાધન છે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એક તો આત્‍મનિષ્‍ઠા અતિ દૃઢ હોય અને અષ્‍ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું, એ આદિક જે પંચ વર્તમાન તેને દૃઢ કરીને પાળે અને ભગવાનનો મહિમા અતિશે સમજે, એ ઉપાયે કરીને કામનું મૂળ ઉખડી જાય છે. અને કામનું મૂળ ઉખડી જાય તો પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઇ રીતે ડગવું નહિ. અને અતિશે કામનું મૂળ ઉખાડયાનો તો ઉપાય એછે જે, ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો.

અને તે પછી ભજનાનંદસ્વામીએ પુછયું જે ”હે મહારાજ ! કનિષ્‍ઠ વૈરાગ્‍ય ને મઘ્‍યમ વૈરાગ્‍ય ને ઉત્તમ વૈરાગ્‍ય એ ત્રણ પ્રકારના વૈરાગ્‍યનું શું રૂપ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, કનિષ્‍ઠ વૈરાગ્‍યવાળો જે હોય તે તો ધર્મ શાસ્ત્રમાં કહ્યા જે સ્‍ત્રીના ત્‍યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્‍યાં સુધી તો એને ઠીક રહે, પણ જો કોઇ સ્‍ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં એનું ચિત્ત ચોટી જાય અને એનું ઠેકાણું ન રહે તેને કનિષ્‍ઠ વૈરાગ્‍યવાળો કહીએ. અને જે મઘ્‍યમ વૈરાગ્‍યવાળો હોય તે તો કદાચિત્ જો સ્‍ત્રીને ઉધાડી થકી દેખી જાય તોય પણ જેમ પશુને ઉધાડાં દેખીને ક્ષોભ થતો નથી, તેમ તેના મનમાં ક્ષોભ ન થાય ને તે સ્‍ત્રીના અંગમાં ચિત્ત ચોટી જાય નહિ, તેને મઘ્‍યમ વૈરાગ્‍યવાળો કહીએે. અને જે ઉત્તમ વૈરાગ્‍યવાળો હોય તેને તો જો કદાચિત્ એકાંતમાં સ્‍ત્રીયાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહિ, તેને ઉત્તમ વૈરાગ્‍યવાળો કહીએ.

અને વળી ભજનાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”કનિષ્‍ઠ, મઘ્‍યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્‍વરૂપ છે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે ”કનિષ્‍ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્વય કરે અને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઇક દુષ્‍ટ જીવ દ્રોહ કરતા હોય તેનું કાંઇ ભૂંડું ન થાય ત્‍યારે તેને નિશ્વય રહે નહિ, એને કનિષ્‍ઠ જ્ઞાનવાળો કહીએ. અને મઘ્‍યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનનાં શુભ અશુભ એવાં મનુષ્ય ચરિત્રને દેખે, ત્‍યારે તેમાં મોહ થાય અને નિશ્વય રહે નહિ, તેને મઘ્‍યમ જ્ઞાનવાળો કહીએ. અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે જે ભગવાનને ગમે તેવી શુભ-અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થાય નહિ ને નિશ્વય જાય નહિ તથા જેણે પોતાને નિશ્વય કરાવ્‍યો હોય ને તેજ વળી કહે જે, એ ભગવાન નથી. ત્‍યારે તેને એમ જાણે જે, એનું માથું ફર્યું છે. એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ. અને તેમાં જે કનિષ્‍ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્‍મે કરીને સિદ્ધ થાય અને મઘ્‍યમ જ્ઞાનવાળો બે ત્રણ જન્‍મે કરીને સિદ્ધ થાય અને ઉત્તમ જ્ઞાનવાળો તેજ જન્‍મે કરીને સિદ્ધ થાય. એવી રીતે વાર્તા કરી.

ત્‍યાર પછી મોટા શિવાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”ભગવાનનો નિશ્વય તો સંપૂર્ણ હોય તો પણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી તેનું શું કારણ છે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્‍નેહ, માન ઇત્‍યાદિક જે શત્રુ તેણે કરીને જેનું અંત:કરણ દગ્‍ધ વર્તતું હોય ને તેને નિશ્વય હોય તો પણ પોતાને કૃતાર્થ માને નહિ.

પછી નિત્‍યાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”એ કામાદિક શત્રુને ટાળ્‍યાનો શો ઉપાય છે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એ કામાદિક શત્રુતો તો ટળે, જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્‍પર રહે. જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઇને રાત દિવસ તૈયાર રહે છે. તેમ ઇન્‍દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્‍દ્રિયોને દંડ દે, અને અંત:કરણ કુમાર્ગે ચાલે તો અંત:કરણને દંડ દે, તેમાં ઇન્‍દ્રિયોને કૃચ્‍છ્રચાંદ્રાયણે કરીને દંડ દે અને અંત:કરણને વિચારે કરીને દંડ દે, તો એ કામાદિક શત્રુનો નાશ થઇ જાય અને પોતાને ભગવાનના નિશ્વયે કરીને સંપૂર્ણ કૃતાર્થ માને.

ત્‍યાર પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”સંપૂર્ણ સત્‍સંગ થયો તે કેને કહીએ ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, એક તો અતિશે દૃઢ આત્‍મનિષ્‍ઠા હોય અને તે પોતાના આત્‍માને દેહ, ઇન્‍દ્રિયો, અંત:કરણથી અતિશે અસંગી માને અને એ દેહ ઇન્‍દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિષે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમમાં લેશ માત્ર ફેર પડવા દે નહિ. અને પોતે બ્રહ્મસ્‍વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરૂષોત્તમ ભગવાન તેનું દાસપણું મુકે નહિ, સ્વામી સેવકપણે કરીને ભગવાનની દૃઢ ઉપાસના કરે અને પ્રત્‍યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશે અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્‍યૂતપણે વ્‍યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિષે થાય છે તો પણ આકાશને એ પૃથ્‍વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્‍યક્ષ જે શ્રીકૃષ્ણનારાયણ તે શુભ-અશુભ સર્વ ક્રિયાને કરતા થકા આકાશની પેઠે નિલર્પ છે એમ જાણે અને તે ભગવાનનાં જે અસંખ્‍ય ઐશ્વર્ય છે તેને સમજે જે ‘આ ભગવાન જીવોના કલ્‍યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંતકોટિ બ્રહ્માંડના કર્તાહર્તા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઇત્‍યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંતકોટિ એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વેના સ્વામી છે.’ એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિષે શ્રવણાદિક ભકિતને દૃઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે, એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્‍સંગ કહીએ.

પછી નાના શિવાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, કયારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશે સમજાય છે. ને કયારેક તો અતિશે સમજાતો નથી તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, સંત છે તે તો ધર્મવાળા છે. તે જ્યારે કોઇકને અધર્મમાં ચાલતો દેખે ત્‍યારે તેને ટોકે, પછી જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતાં આવડે નહિ ને સામો  તે સંતનો અવગુણ લે. માટે જ્યાં સુધી એને દુ:ખાડીને કહે નહિ ત્‍યાં સુધી માહાત્‍મ્‍ય રહે ને જ્યારે હિતની વાત પણ દુ:ખાડીને કહે ત્‍યારે અવગુણ લે ને માહાત્‍મ્‍ય ન જાણે અને જેને સંતનો અવગુણ આવ્‍યો તેને કોઇ રીતે પ્રાયશ્વિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી, જેમ કામાદિક દોષનાં પાપ નિવારણ છે તેમ સંતના દ્રોહનું પાપ નિવારણ છે નહિ. ને જેમ કોઇને ક્ષયરોગ થાય તેને ટાળ્‍યાનું કોઇ ઔષધ નથી. તે તો નિશ્વય મરે, તેમ જેને સંતનો અવગુણ આવ્‍યો તેને તો ક્ષયરોગ થયો જાણવો. તે તો પાંચ દિવસ મોડો વહેલો નિશ્વય વિમુખ થશે અને વળી જેમ મનુષ્યનાં હાથ, પગ, નાક, આંખ, આંગળીઓ એ આદિક જે અંગ તે કપાય તો પણ, એ મનુષ્ય મુવો કહેવાય નહિ, અને જ્યારે ધડમાંથી માથું કપાઇ જાય ત્‍યારે તેને મુવો કહેવાય, તેમ હરિજનનો જેને અવગુણ આવે તેનું તો માથું કપાણું અને બીજા વર્તમાનમાં કદાચિત્ ફેર પડે તો અંગ કપાણું કહેવાય. પણ તે જીવે ખરો, કહેતાં તે સત્‍સંગમાં ટકે ખરો અને જેને સંતનો અવગુણ આવ્‍યો તે તો નિશ્વય સત્‍સંગથી જ્યારે ત્‍યારે વિમુખ જ થાય. એ એનું માથું કપાણું જાણવું.

પછી ભગવદાનંદસ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, હરિજનનો અવગુણ આવ્‍યો હોય તેને ટાળ્‍યાનો કોઇ ઉપાય છે કે નથી ? ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ઉપાય તો છે, પણ અતિ કઠણ છે. તે અતિશે શ્રદ્ધાવાળો હોય તેથી થાય છે. જ્યારે કોઇ સંતનો અવગુણ આવે ત્‍યારે એમ વિચાર કરે જે, મેં અતિ મોટું પાપ કર્યું, જે માટે બ્રહ્મસ્‍વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો. એવા વિચારમાંથી અતિશે દાઝ હૈયામાં થાય. તે દાઝને મારે અન્ન જમે તો તેના સ્વાદુ-કુસ્વાદુપણાની ખબર પડે નહિ તથા રાત્રિને વિષે નિદ્રા પણ આવે નહિ. અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહિ ત્‍યાં સુધી જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્‍યાકુળ થાય. અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશે ગુણ આવે ને તે સંત કોઇ વાતે દુ:ખાણા હોય તો તેને અતિ દીન થઇને પ્રસન્ન કરે. એવી જાતનો જેના હૃદયમાં વિચાર રહેતો હોય, તો તેને સંતનો અવગુણ આવ્‍યો હોય તે પણ ટળી જાય ને સત્‍સંગમાંથી પણ વિમુખ ન થાય. પણ એ વિના બીજો કોઇ એનો ઉપાય નથી કહ્યો. એજ એક ઉપાય છે. ઇતિ વચનામૃતમ્ લોયાનું ||૧|| ૧૦૯ ||