કારીયાણી ૨ : શાપિત બુદ્ધિનું

Submitted by Parth Patel on Wed, 09/02/2011 - 12:09am

કારીયાણી ૨ : શાપિત બુદ્ધિનું

સંવત્ ૧૮૭૭ ના આસો સુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીકારીયાણી મઘ્‍યે વસ્‍તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

અને શ્રીજીમહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ર્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો અમે એક પ્રશ્ર્ન પુછીએ.” ત્‍યારે સર્વે બોલ્‍યા જે, “પુછો મહારાજ !” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એકની બુદ્ધિ તો એવી છે જે, જે દહાડાથી સત્‍સંગ કર્યો હોય તે દહાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો પણ રહે નહિ, ટળી જાય. પણ એમ ને એમ ગુણ અવગુણ આવ્‍યા કરે પણ સત્‍સંગ મુકીને કોઈ દિવસ જાય નહિ, શા માટે જે, એને બુદ્ધિ છે તે એમ જાણે જે, ‘આવા સંત બ્રહ્માંડમાં કયાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી,’ એમ સમજાણું હોય માટે સત્‍સંગમાં અડગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી. અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્વય પણ બેયનો સરખો છે, પણ એકને અવગુણ આવ્‍યા કરે છે ને એકને નથી આવતો, તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે ? એ પ્રશ્ર્ન નાના શિવાનંદ સ્‍વામીને પુછીએ છીએ.” પછી શિવાનંદ સ્‍વામીએ એનો ઉત્તર કરવા માંડયો પણ ઉત્તર થયો નહિ. પછી ભગવદાનંદ સ્‍વામી બોલ્‍યા જે, “એની બુદ્ધિ શાપિત છે,” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે,”એ ઠીક કહે છે. એનો ઉત્તર એજ છે, જે કોઈ જગતમાં કહેતા નથી જે, ‘એને તો કોઈકનો ફટકાર લાગ્‍યો છે.’ એમ મોટા સંતને દુ:ખવ્‍યા હોય અથવા કોઇ ગરીબને દુ:ખવ્‍યા હોય અથવા માબાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય તેણે કરીને એની બુદ્ધિ એવી છે.”

પછી ભગવદાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! એની શાપિત બુઘ્‍ધિ છે તે કેમ સારી થાય ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે,”એનું તો એમ છે જે, એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય, અને એક તો મોદ જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય ત્‍યારે તે કાંઇ સરખે, દાખડે ધોવાય નહિ, કાં જે આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્‍યારે તેમાં લગારેક સાબુ દેઇને ધોઇ નાંખીએ એટલે તરત ઉજળું થાય, અને જ્યારે જાડાં વસ્ત્રને ધોવું હોય ત્‍યારે તેને બે ચાર દિવસ સુધી પાણીમાં પલાળી મુકે ને પછી અગ્‍નિએ કરીને બાફે ને પછી સાબુ દેઇને ધુએ ત્‍યારે ઊજળું થાય, તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે છે, એટલું જ પાળે તો એ દોષ ટળે નહિ. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિ:સ્‍વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિ:સ્‍નેહી રહે છે, નિર્માની રહે છે તેમજ એને ન રહેવું, બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષે નિષ્કામી રહેવું, અને બીજા નિર્લોભી રહેતા હોય તેથી એને વિશેષે નિર્લોભી રહેવું, અને બીજા નિ:સ્‍વાદી રહેતા હોય તેથી એને વિશેષે નિ:સ્‍વાદી રહેવું, અને બીજા નિ:સ્‍નેહી રહેતા હોય તેથી એને વિશેષે નિ:સ્‍નેહી રહેવું, અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષે નિર્માની રહેવું, અને બીજા સુઇ રહે તે કેડે ઘડી મોડું એને સુવું , અને બીજા માળા ફેરવે, તેથી એ વિશેષે માળા ફેરવે, અને બીજા ઉઠે તેથી ઘડી વહેલો ઉઠે, એમ સર્વેથી વિશેષ પાડે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહિ તો ટળે નહિ.”

પછી મોટા શિવાનંદ સ્‍વામીએ મોટા યોગાનંદ સ્‍વામીને પ્રશ્ર્ન પુછયો જે, “કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે ?” ત્‍યારે યોગાનંદ સ્‍વામીએ કહ્યું જે, “એનો ઉત્તર તો મને આવડે એમ જણાતું નથી.” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “વસ્‍તુતાએ કર્મ તો અમૂર્ત છે અને કર્મમાંથી થયું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે. અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્‍તિક છે, કાં જે, કર્મ જે ક્રિયા તે કાંઇ મૂર્તિમાન ન હોય,” એવી રીતે શ્રીજીમહારાજે ઘણીક વાર્તા કરી તેમાંથી આ તો દિશમાત્ર લખી છે. ઇતિ વચનામૃતમ્ કારીયાણીનું  ||૨|| ||૯૮||