ગઢડા પ્રથમ – ૫૧ : હીરે કરીને હિરો વેંધાયાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:14am

ગઢડા પ્રથમ – ૫૧ : હીરે કરીને હિરો વેંધાયાનું

સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૨ બીજને દિવસ રાત્રિને સમે સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને ધોળો સુરવાળ પહેર્યો હતો, ને ધોળું અંગરખું પહેર્યું હતું અને માથે ધોળી પાઘ બાંધી હતી. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “કાંઇ પ્રશ્ર્ન પુછો.” પછી પૂર્ણાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, “દશ ઇન્‍દ્રિયો તેતો રજોગુણની છે અને ચાર અંત:કરણ છે તે તો સત્ત્વગુણનાં છે માટે એ સર્વે ઇન્‍દ્રિયો ને અંત:કરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે, તેનો માયિક અંત:કરણે કરીને કેમ નિશ્વય થાય ? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્‍દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘માયિક વસ્‍તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય. માટે માયિક જે અંત:કરણ અને ઇન્‍દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા, તો એ ભગવાન પણ માયિક ઠર્યા, એ રીતે તમારો પ્રશ્ર્ન છે ? પછી પૂર્ણાનંદ સ્‍વામી તથા સર્વે મુનિએ કહ્યું જે, એજ પ્રશ્ર્ન છે. તેને હે મહારાજ ! તમે પુષ્‍ટ કરી આપયો. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે એનો તો ઉત્તર એમ છે જે, પચાસ કોટિ યોજન પૃથ્‍વીનું પીઠ છે તે પૃથ્‍વી ઉપર ધટપટાદિક અનેક પદાર્થ છે, તે સર્વે પદાર્થમાં એ પૃથ્‍વી રહી છે ને પોતાને સ્‍વરૂપે કરીને નોખી પણ રહી છે. અને જ્યારે પૃથ્‍વીની દ્ષ્‍ટીએ કરીને જોઇએ ત્‍યારે એ સર્વે પદાર્થરૂપે પૃથ્‍વી થઇ છે, ને પૃથ્‍વી વિના બીજું કાંઇ પદાર્થ નથી. અને તે પૃથ્‍વી જળના એક અંશમાંથી થઇ છે, અને જળ તો પૃથ્‍વીને હેઠે પણ છે, અને પડખે પણ છે, ને પૃથ્‍વીને ઉપર પણ છે, અને પૃથ્‍વીના મઘ્‍યમાં પણ જળ સર્વત્ર વ્‍યાપી રહ્યું છે.

માટે જળની દૃષ્ટિએ કરીને જોઇએ તો પૃથ્‍વી નથી એકલું જળજ છે, અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. માટે તેજની દૃષ્ટિએ કરીને જોઇએ તો જળ નથી એકલું તેજજ છે, અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે, માટે વાયુની દૃષ્ટિએ કરીને જોઇએ તો તેજ નથી એકલો વાયુજ છે, અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે, માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઇએ તો વાયુ આદિક જે ચાર ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કાંઇ ભાસેજ નહિ એકલો આકાશ જ સર્વત્ર ભાસે અને એ આકાશ પણ તામસાહંકારના એક અંશમાંથી ઉત્‍પન્ન થયો છે. અને તે તામસાહંકાર, રાજસાહંકાર, સાત્ત્વિકાહંકાર અને ભૂત, ઇન્‍દ્રિયો, અંત:કરણ અને દેવતા એ સર્વે મહત્તત્‍વના એક અંશમાંથી ઉત્‍પન્ન થયાં છે, માટે મહત્તત્‍વની દૃષ્ટિએ જોઇએ તો ત્રણ પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્‍દ્રિયો, અંત:કરણ, દેવતા, એ સર્વે નથી, એકલું મહત્તત્‍વજ છે, અને તે મહત્તત્‍વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્‍પન્ન થયું છે. માટે એક પ્રકૃતિની દૃષ્ટિએ જોઇએ તો મહત્તત્ત્વ નથી, એકલી એ પ્રકૃતિ જ છે. અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરૂષના એક અંશમાં લીન થઇ જાય છે. અને તે પાછી સૃષ્‍ટિ સમે એક અંશમાંથી ઉત્‍પન્ન થાય છે. માટે પુરૂષની દૃષ્ટિએ કરીને જોઇએ તો, એ પ્રકૃતિ નથી એકલો પુરૂષજ છે. અને એવા અનંતકોટિ પુરૂષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્‍પન્ન થાય છે. માટે એ મહામાયાની દૃષ્ટિએ જોઇએ તો એ પુરૂષ નથી એકલી મહામાયાજ છે. અને એ મહામાયા પણ મહાપુરૂષના એક અંશમાંથી ઉત્‍પન્ન થાય છે માટે એ મહાપુરૂષની દૃષ્‍ટિએ જોઈએ તો એ મહામાયા નથી એકલો મહાપુરૂષ જ છે. અને એ મહાપુરૂષ પણ પુરૂષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે. માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઇએ તો એ મહાપુરૂષાદિક સર્વે નથી એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરૂષોત્તમ ભગવાન તે છે તે સર્વેની ઉત્‍પત્તિ, સ્‍થ્‍િાતિ અને પ્રલયના કરતા છે, ને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્‍યાપક હોય ને તેથી જુદું પણ રહે, માટે એ સર્વના કારણ પુરૂષોત્તમ ભગવાન તેની દષ્‍ટિએ કરીને જોઇએ ત્‍યારે એ પુરૂષોત્તમ ભગવાન વિના બીજું કાંઇ ભાસેજ નહિ, એવા જે ભગવાન તેજ કૃપા કરીને જીવના કલ્‍યાણને અર્થે પૃથ્‍વીમાં સર્વે મનુષ્યને પ્રત્‍યક્ષ દર્શન આપે છે, ત્‍યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરૂષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્‍યારે એનાં ઇન્‍દ્રિયો, અંત:કરણ સર્વે પુરૂષોત્તમરૂપ  થઇ જાય છે, ત્‍યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્વય થાય છે. જેમ હીરે કરીનેજ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્વય તે ભગવાન વતેજ થાય છે, અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતેજ થાય છે પણ માયિક એવાં જે ઇન્‍દ્રિયો, અંત:કરણ તેણે કરીને નથી થતો.” એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્‍ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૫૧||