ગઢડા પ્રથમ – ૫૦ : કુશાગ્ર બુદ્ધિવાળાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:13am

ગઢડા પ્રથમ – ૫૦ : કુશાગ્ર બુદ્ધિવાળાનું

સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરની મેડીની ઓસરી આગળ પ્રાત:કાળે વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે એમ પુછયું જે, “જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્‍તિ થાય છે, તે કુશાગ્ર બુદ્ધિ તે જે સંસાર વ્‍યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ ? અથવા શાસ્ત્રપુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહિ ?” પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડયો પણ થયો નહિ. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ‘કેટલાક તો વ્‍યવહારમાં અતિ ડાહ્યા હોય, તો પણ પોતાના કલ્‍યાણને અર્થે કાંઇ જતન કરે નહિ, તથા કેટલાક શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસના અર્થને સારી પેઠે જાણતા હોય તો પણ પોતાના કલ્‍યાણને અર્થે કાંઇ જતન કરે નહિ. માટે એને કુશાગ્ર બુદ્ધિવાળા ન જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને જે કલ્‍યાણને અર્થે જતન કરે છે ને તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાગ્ર બુદ્ધિવાળો છે; અને જે જગતવ્‍યવહારની કોરે સાવધાન થઇને મંડયો છે ને તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. એ ઉપર ભગવદ્રીતાનો શ્લોક છે જે

“યા નિશા સર્વભૂતાનાં તસ્‍યાં જાગર્તિ સંયમી | યસ્‍યાં જાગર્તિ ભૂતાનિ સા નિશા પશ્‍યતો મુને: ||”

એ શ્લોકનો એમ અર્થ છે જે ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વે જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારે યુક્ત વર્તે છે, કહેતાં ભગવાનનું ભજન નથી કરતા. અને જે ભગવાનના ભક્ત છે તે તો તે ભગવાનના ભજનને વિષે જાગ્‍યા છે, કહેતાં નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે. અને શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જીવમાત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે, કહેતાં વિષયને ભોગવતા થકાજ વર્તે છે અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિષે અંધકારે યુક્ત વર્તે છે, કહેતાં તે વિષયને ભોગવતા નથી. માટે એવી રીતે જે પોતાના કલ્‍યાણને અર્થે સાવધાનપણે વર્તે છે તેજ કુશાગ્રબુદ્ધિવાળા છે અને તે વિના તો સર્વે મૂર્ખ છે.”  ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૫૦||