ગઢડા પ્રથમ – ૪૨ : વિધિનીષેધનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:06am

ગઢડા પ્રથમ – ૪૨ : વિધિનીષેધનું

સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૬ છઠને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં, શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

અને તે સભાને વિષે કોઇક વેદાંતી બ્રાહ્મણ પણ આવીને બેઠો હતો, તેને જોઇને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે, વિધિ નિષેધ તો મિથ્‍યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવાં જે સ્‍વર્ગ ને નરક તે પણ મિથ્‍યા છે , અને તેને પામનારો જે શિષ્ય તેપણ મિથ્‍યા છે અને ગુરુ પણ મિથ્‍યા છે અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્‍ય છે. એવી રીતે જે કહે છે તે શું સમઝીને કહેતા હશે ? અને સર્વે વેદાંતીના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડલુ ધારણ કરાવ્‍યાં, અને એમ કહ્યું જે ભગવદ્રીતા ને વિષ્ણુસહસ્રનામનો પાઠ કરવો, તથા વિષ્ણુનું પૂજન કરવું, અને જેને ઝાઝાં ચોમાસાં થયાં હોય તેને થોડાં ચોમાસાવાળાએ વંદન કરવું, અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરનીજ ભિક્ષા કરવી એવી રીતે જે વિધિનિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને  યથાર્થ જ્ઞાન નહિ હોય ? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિનિષેધને ખોટા કરી નાખ્‍યા. તે શું શંકરાચાર્ય કરતાં એ મોટા થયા ? માટે એ તો એમ જણાય છે જે એ તો કેવળ મૂર્ખાઇમાંથી બોલે છે.

અને વિધિનિષેધ શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તેતો એમ કહ્યાં છે, જેમ કોઇ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિષે એક વર્ષ સુધી ચાલ્‍યું જાય છે, તેને આગલો કાંઠો પણ દેખ્‍યામાં આવે નહિ, અને પાછલો કાંઠો પણ દેખ્‍યામાં આવે નહિ અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્‍યામાં આવે નહિ તો ઝાડવાં તથા મનુષ્ય તે તો કયાંથી દેખ્‍યામાં આવે ? અને જ્યાં દેખે ત્‍યાં એકલું જળજ દેખાય, પણ જળ વિના બીજો કોઇ આકાર દેખ્‍યામાં આવે નહિ, અને ઉચુ જુએ તો મોટી મોટી સમુદ્રની લહેર્યું ઉઠતી હોય માટે ઉચુ પણ જળ જ જણાય. ત્‍યારે તે વહાણને વિષે બેઠા એવા જે પુરૂષ તે એમ કહે જે, “એકલું જળજ છે બીજું કાંઇ નથી.”

એ દષ્‍ટાતનું સિદ્ધાંત એ છે જે, જેને બ્રહ્મસ્‍વરૂપને વિષે નિર્વિકલ્‍પ સ્‍થ્‍િાતિ થઇ હોય તે એમ બોલે જે, એક બ્રહ્મજ છે અને તે વિના બીજું જે જીવ, ઇશ્વર અને માયા એ આદિક સર્વે તે મિથ્‍યા છે. અને તેનાં વચન શાસ્ત્રમાં લખાણાં હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્‍થ્‍િાતિ ન થઇ હોય તો પણ વિધિનિષેધને ખોટા કહે છે, અને સ્‍ત્રીની શુશ્રુષા કરે ને છોકરાંની શુશ્રુષા કરે અને જેટલો સંસારનો વ્‍યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઇને કરે છે, અને શાસ્‍ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિનિષેધ તેને ખોટા કહે છે, એવા જે આ જગતને વિષે જ્ઞાનના કથનારા છે તેને તો મહા અધમ જાણવા ને નાસ્‍તિક જાણવા.

અને શંકરાચાર્યે તો જીવના હૈયામાં નાસ્‍તિકપણું આવી જાય તેની બીકે કરીને “ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્ ગોવિંદમ્ ભજ મૂઢમતે !” એ આદિક ધણાંક વિષ્ણુનાં સ્‍તોત્ર કર્યાં છે, તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિ જે ઘણાક દેવતા તેનાં સ્‍તોત્ર કર્યા છે, જેને સાંભળીને સર્વે દેવતા સત્‍ય ભાસે, એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાનાં સ્‍તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટાં કરી નાખે છે, અને વળી એમ કહે છે જે, જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઇ અડતું નથી. તે મૂર્ખપણામાંથી કહે છે.

અને જેટલા ત્‍યાગી પરમહંસ થયા તે સર્વેને વિષે જડભરત શ્રેષ્‍ઠ છે, અને જેટલાં પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિષે જડભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડભરત તે પૂર્વજન્‍મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્‍યાગ કરીને વનમાં ગયા હતા, તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ  થઇ તો તેનો દોષ લાગ્‍યો, ને પોતાને મૃગનો જન્‍મ લેવો પડયો, અને મૃગના સરખા ચાર પગ ને ટુંકી પુંછડી ને માથે નાની શિંગડીયો, એવો આકાર પોતાને પ્રાપ્‍ત થયો, અને પરમાત્‍મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંધાથે વ્રજની ગોપીયોએ કામબુદ્ધિયે કરીને પ્રીતિ કરી તો પણ, સર્વે ભગવાનની માયાને તરી ગઇયો, ને પોતે ગુણાતીત થઇને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામીયો, તેનું કારણ એ છે જે શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત્ પુરૂષોત્તમ ગુણાતીત દિવ્‍ય મૂર્તિ હતા, તો તે સંધાથે ગોપીયોએ જાણે અજાણે પ્રીતિ કરીતો પણ તે ગોપીયો ગુણાતીત થઇયો, અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો તે પોતે મૃગલું થયા. માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભુંડુંજ થાય છે. અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્‍યસ્‍વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પવિત્ર થઇને અભયપદને પામે.

અને જો શ્રીકૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો, એની ભક્ત જે ગોપીયો તે ગુણાતીતપણાને ન પામત. અને જો ગુણાતીત પદને પામિયો તો શ્રીકૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્‍ય દિવ્‍યમૂર્તિજ છે, અને વેદાંતી કહે છે જે, ‘સર્વત્ર બ્રહ્મસભર ભર્યો છે’ ત્‍યારે જેમ ગોપીયોએ શ્રીકૃષ્ણભગવાનને વિષે પ્રીતિ કરી તેમ જ, સર્વે સ્‍ત્રીઓ પોતપોતાના ધણીને વિષે પ્રીતિ કરે છે તથા સર્વે પુરૂષ પોતાની સ્‍ત્રીઓને વિષે પ્રીતિ કરે છે, તોપણ તેમને ગોપીયોના જેવી પ્રાપ્‍તિ થતી નથી. તેમને તો ધોર નરકની પ્રાપ્‍તિ થાય છે, માટે જે વિધિ નિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે.” એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્‍ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૪૨||