સારસિદ્ધિ કડવું - ૨૬

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 5:16pm

ધર્મ રાખે તેહ ધર્મી કા’વેજી, ધર્મ વિના જેને બીજું ન ભાવેજી

સુતાં બેઠાં ગુણ ધર્મના ગાવેજી, ધર્મ વિના બીજુ નજરે નાવેજી।।૧।।

ઢાળ -

ના’વે બીજું કાંઈ નજરે, ધર્મ વિના વળી કોઈ ધન ।।

ધર્મ ગયે જે ધન મળે, તે જાણો થયું વિઘન ।। ર ।।

ધર્મ ગયે ધરા ધામ મળે, ધર્મ ગયે મળે સુત વામ ।।

ધર્મ ગયે ખાન પાન મળે, તે કરવું સર્વે હરામ ।। ૩ ।।

ધર્મ ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ ।।

ધર્મ ગયે મોટપ્ય મળી, બળી વળી સઈ થઈ ખાટ ।। ૪ ।।

ધર્મ ગયે વસ્ત્ર મળે, આસન ને વાહન વળી ।।

ધર્મ ગયે સનમાન મળે, એહ આદિ સર્વે જાજો બળી ।। પ ।।

ધર્મ ગયે જો તન રહે, તો તનને પણ ત્યાગવું ।।

જીવવાનું જાતું કરીને, હરિ પાસે મરવાનું માગવું ।। ૬ ।।

ધર્મ ગયે સર્વે ગયું, ગયું નીર વળી નાકતણું ।।

માટે મૂકી નિજ ધર્મને, ન કરવું મુખ લજામણું ।। ૭ ।।

ધર્મ વિના સુર અસુર નરનાં, સર્વેનાં શાહીસમ મુખ થયાં ।।

ધર્મ વિના ધરા અંબર માંહી, મોટપ માન કેનાં રહ્યાં ? ।। ૮ ।।

ધર્મ વિનાનું ધિક જીવવું, જન જાણજો જગમાંઈ ।।

દેવ ઇચ્છિત દેહ આવિયો, પણ કામ ન આવિયો કાંઈ ।। ૯ ।।

ધર્મવાળા પર ધર્મના સુત, રે’છે રાજી રળિયાત ।।

નિષ્કુળાનંદ ધર્મવાનની, શું કહિયે વર્ણવી વાત ।। ૧૦ ।।કડવું।।૨૬।।