સારસિદ્ધિ કડવું - ૦૫

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 3:05pm

રાગ :- ધન્યાશ્રી

 

એતો કેને અંતરે નથી વૈરાગ્યજી, જેણે કરી થાય તન સુખ ત્યાગજી ।

એક હરિચરણે હોય અનુરાગજી, એવા તો કોઈક સંત સુભાગજી ।।૧।।

 

રાગ :- ઢાળ

 

સંત સુભાગી સરસ સહુથી, જેના અંતરમાં નિરવેદ ।

સુણી સુખ સર્વે લોકનાં, જેનું નથી પામતું મન ખેદ ।।ર।।

ઉંડું વિચારી અંતરમાં, જોઈ લીધું જીવમાં જરુર ।

વિષય સારું સહુ વલખાં, કરે છે સુર અસુર ।।૩।।

વૈરાગ્ય વિના વિષય સુખનો, તર્છટ ન થાયે ત્યાગ ।

ત્રોડી પાડે પીંડ બ્રહ્માંડથી, એવો તો એક વૈરાગ્ય ।।૪।।

વૈરાગ્યવાન વિલસે નહિ, માયિક સુખની માંઈ ।

શૂન્યસુમન સમ સમઝી, ગંધ સુગંધ ન માને કાંઈ ।।પ।।

જે નિર્વેદ નિધિ નરનું, જેવું કરી દિયે છે કામ।

તેવું ન થાય કહું કોઈથી, શું લખું ઘણાનાં નામ ।।૬।।

જેમ મળે એક ચિંતામણિ, ઘણી અગણિત વસ્તુનું ઘર ।

તેમ શુદ્ધ વૈરાગ્ય શિરોમણી, નથી એથી બીજું કાંઈ પર ।।૭।।

સર્વે સુખની સંપત્તિ, વસી રહી વૈરાગ્યમાંઈ ।

મોટે ભાગ્યે જો આવી મળે, તો ન રહે કસર કાંઈ ।।૮।।

વૈરાગ્યવાનને વિપત્ત શાની, જે સમઝયા સાર અસાર ।

જેમ તુંબુ બોળે કોઈ તોયમાં, પણ નીસરી જાયે નીર બા’ર ।।૯।।

વૈરાગ્ય વિના તો વાત ન બને, શુદ્ધ સાચું ન લેવાય સુખ ।

નિષ્કુલાનંદ નિરવેદ વિના, આદિ અંતે મધ્યે દુઃખ ।।૧૦।। કડવું ।।પ।।