વચનવિધિ કડવું - ૩૦

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:28pm

વચનદ્રોહીનો વિશ્વાસ કરતાંજી, પાર ન આવે ચોરાસી ફરતાંજી
મહાદુઃખ પામિયે જનમતાં મરતાંજી, માટે દિલમાં રહિયે એથી સદાયે ડરતાંજી

ડરતા રહિયે અતિ દુષ્ટથી, દગે દેખી લૈયે દગાદાર ।।
સમો આવે તો શત્રુપણું, વાવરતાં ન કરે વાર ।। ર ।।

જેમ ચિત્ર ચાપ આપે નમે, પણ લિયે બીજાના પ્રાણ ।।
તેમ વિમુખ મુખે મીઠું વદે, પણ ફેરવે ચારે ખાણ ।। ૩ ।।

જેમ ભરી બંદૂક બરિયાનમાં, કપિ કળી વળી મૂકે કાનમાં૯ ।।
અડાડીને રહે અળગો, પણ સામાને રોળે રાનમાં ।। ૪ ।।

સમજી સુંવાળા સર્પને, કોઈ સુવે વળી લઈ સોડ્યમાં ।।
માનજો મને તેને મારશે, અવશ્ય કરડી ઓડ્યમાં ।। પ ।।

વિકટ અટવિ વાટમાં, વેરી લિયે વળાવડે ।।
તેને કહો કુશળ રે’વાની, પ્રતીતિ તે કેમ પડે ।। ૬ ।।

તેમ વચનદ્રોહીનો વિશ્વાસ કરે, રાખે હરિવિમુખશું હેત ।।
તેને સુખ થાવા શીદ પૂછવું, જે વશ્યો દુઃખનિકેત ।। ૭ ।।

માટે સર્વે પ્રકારે સમજો, વર્જો  સંગ વચનદ્રોહીનો ।।
નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, રાખો સંગ સંત નિર્મોહીનો ।। ૮ ।।