સ્નેહગીતા કડવું - ૩૬ વાલીડો વિજોગી ગયા રે, હો ઉદ્ધવજી અમને; પદ-૯

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:16pm

વીરા નથી વિસરતી ઊદ્ધવ એહ વારતાજી, દિલડુંદાઝેછે એ સુખ સંભારતાંજી ।
વિસરતું નથી વળી અમને વિસારતાંજી, ચાલોને દેખાડીએ જયાં હરિ ગાયો ચારતાજી ।।૧।।

ઢાળ –

ગાયો ચારતા ગોવિંદ જિયાં, તિયાં ઊદ્ધવને તેડી ગયાં ।
વનિતા વળી ટોળે મળી, સર્વે સ્થળ વનનાંદેખાડિયાં ।।૨।।

ઈયાં એણે અઘાસુર માર્યો, ઈયાં બ્રહ્માજીએ વત્સ હરિયાં ।
ઈયાં બેસી અન્ન જમિયા, ઈયાં વત્સ બાળક બીજાં કરિયાં ।।૩।।

આ સ્થળે એણે ગાયો ચારી, આ સ્થળે પાયા એને નીર ।
આ સ્થળે એ સ્નાન કરતા, સુંદર શ્યામ સુધીર ।।૪।।

આ ઠામે એણે અમને રોકયાં, આ ઠામે મહી લઈ લુટિયાં ।  
આ ઠામે એણે અંબર તાણ્યું, તેણે કરી માંટ મારાં ફુટિયાં ।।૫।।

ઈયાં એણે વેણ વગાડી, ઈયાં રમાડ્યાં એણે રાસ જો ।
ઈયાં તજી ભાગી ગયા ભૂધર, ત્યારે અમે થયાં ઊદાસજો ।।૬।।

પછી ઈયાં જોયાં એનાં પગલાં, તિયાં લાધી અમને એની ભાળ ।  
જુવતી સહિત જાતા જાણ્યા, વળી વળગાડી તેને ડાળ ।।૭।।

ઈયાં વશ કીધા અમે, ઈયાં આવ્યા હતા અલબેલ ।  
ઈયાં રાસ ફરી રચિયો, પછી રમાડિયાં રંગરેલ ।।૮।।

ઊદ્ધવને સર્વે સ્થળદેખાડતાં, અતિ આંખડિયે આંસુ ઝરે ।  
ઊદ્ધવ અમે કેમ કરીએ, એમ કહી કહીને રુદન કરે ।।૯।।

એવાં સુખ નથીદીધાં એણે, જે વિસાર્યાં પણ વિસરે ।  
નિષ્કુલાનંદના નાથ વિયોગે, પાપી પ્રાણ પણ નવ નિસરે ।।૧૦।। કડવું ।।૩૬।।

પદ-૯
રાગ : મેવાડી
‘મુખડાની માયા લાગી રે મોહન તારા’ એના જેવો ઢાળ.
વાલીડો વિજોગી ગયા રે, હો ઉદ્ધવજી અમને;
વિસામો વિજોગી ગયા રે; હો ઉદ્ધવજી૦
અમને કરી અનાથ, નેક નાખી ગયા નાથ;
હવે કેમ આવે હાથ, કુબજયાના નાથ થયા રે.. હો ઉદ્ધવજી૦ ।। ૧ ।।
પિયુ સંગે પળેપળ, કોયે નવ પડી કળ;
અંતરે આવે છે વળ, દેખો દૂર રહ્યા રે.. હો ઉદ્ધવજી૦ ।। ૨ ।।
કો’ને અમે કરું કેમ, અલબેલે કર્યું એમ;
અંતર જળે છે જેમ, ડુંગર દાઝિયા રે.. હો ઉદ્ધવજી૦ ।। ૩ ।।
નિષ્કુળાનંદનો નાથ, અમારી એ મિરાંથ હાથ;
વિસારી વ્રજનો સાથ, દિલમાં નાણી દયા રે.. હો ઉદ્ધવજી૦ ।। ૪ ।।