સ્નેહગીતા કડવું - ૨૫

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 4:51pm

અંતરજામીએ અંતરની જાણીજી, ઊદ્ધવ પ્રત્યે ઊચ્ચરિયા વાણીજી ।
સુણો શુભમતિ વાત ચિત્ત આણીજી, પ્રેમવશ પ્રમદા અમે ચાલ્યે અકળાણીજી ।।૧।।

ઢાળ –

અકળાણી અતિ અમ કાજે, વળી પ્રાણ ગતવત થઈ પડી ।
તે મુજ વિના એ માનિનીને, કેમ નિગમતી હશે ઘડી ।।૨।।

એટલા માટે ઊદ્ધવજી, તમે વ્રજ જઈ કરો વાતડી ।
સમઝાવજો તમે સહુ જનને, વળી રે’જો તિયાં પંચ રાતડી ।।૩।।

અધ્યાત્મ એને જ્ઞાન આપી, સમઝાવજો બહુ પેરજી ।
એટલો પરમારથ કરો ઊદ્ધવ, તમે મનમાં આણી મે’રજી ।।૪।।

સર્વે પેરે સુજાણ છો, વળી ઘણું કહેવાનું કામ નથી ।  
સમાસ કરજો સારીપેરે, કે’જો તત્ત્વને તમે કથી ।।૫।।

જેણી રીતે વળી જુવતી, અતિ સુખ પામે સુંદરી ।
ઊદ્ધવજી જઈ એટલું, વળી આવજો કારજ કરી ।।૬।।

સગુણ જાણી એણે સ્નેહ કીધો, નિર્ગુણ ન જાણ્યો નારીએ ।  
તેણે એનું તન તપીયું, એને એમ સમઝાણું સખી સારીએ ।।૭।।

આવ્યા ગયા જાણ્યા અમને, એક પ્રેમના વશમાંય ।  
તમો ગયે ગુણ થાશે ઘણો, વળી કસર નહિ રહે કાંય ।।૮।।

અમે ગયાનો અર્થ સરશે, પ્રતીત પડેછે તમતણી ।
ઊદ્ધવ એમાં વિલંબ ન કીજે, જાઓ તમે વળી વ્રજભણી ।।૯।।

એવી રીતે ઊદ્ધવજીને, હેતેશું તે કહ્યું હરિ ।  
નિષ્કુલાનંદના નાથની, પછી આજ્ઞા એહ શિર ધરી ।।૧૦।। કડવું ।।૨૫।।