સ્નેહગીતા કડવું - ૧૯

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:17pm

એમ વિયોગ રોગ તે વનિતાને વાધિયોજી, જેનો પ્રાણ પ્રિતમશું બાંધિયોજી ।
જેણે શ્યામ સાથે સ્નેહડો સાંધિયોજી, પ્રમદાના પ્રેમનો પાર નવ લાધિયોજી ।।૧।।

ઢાળ –

પાર ન લાધ્યો પ્રેમ કેરો, વળી સુંદરીના સ્નેહનો ।
પ્રેમવશ પરવશ થઈ, ન કર્યો સંભાળ જેણેદેહનો ।।૨।।

જળ ભરવા જાયે જુવતી, સ્થળ સ્થળ પ્રત્યે થોભે ઘણું ।
ઈયાં રહી મારી આળ કરતા, ઈયાં તાણ્યુંતું અંબર અંગતણું ।।૩।।

ઈયાં મુજને આડા ફરતા, ઈયાં રોકી મુજને રાખતા ।
હેતદેખાડી લોભ લગાડી, ઈયાં ફંદમાં મને નાખતા ।।૪।।

ઘડો ચઢાવી ઘણા હેતે, વળી સાનમાં સમઝાવતા ।  
કોયે ન જાણે જન બીજો, એમ મંદિર મારે આવતા ।।૫।।

એવાં સુખ સંભારતાં, વળી હૃદયે ભરાય છે રોદને ।
એકાંત જાઈ રુવે અબળા, કરી વિલાપ ઊચ્ચે વદને ।।૬।।

રોઈ રોઈને રાતાં કરે, લોચન લાલ ગુલાલરે ।  
સ્નેહ સાલે શરીરમાંયે, જેને વા’લા સાથેછે વા’લરે ।।૭।।

ઘણીવાર જાણી ભરે પાણી, વળી વનિતા પાછી વળે ।  
રહે આતુરતા અંતરમાંયે, જાણે મોહનજી કયારે મળે ।।૮।।

ઘટ ગાગર સોતી ઘેર પો’તી, વિસરતો નથી વિયોગ વળી ।  
ભાર ન ગણે ઊભી આંગણે, જાણિયે પ્રાણ વિનાની પુતળી ।।૯।।

સ્નેહ એનો હું શું કહું, જેને પિયુશું પૂરણ પ્રીત છે ।  
નિષ્કુલાનંદ નથી કે’વાતું, જથારથ જેવી એની રીત છે ।।૧૦।। કડવું ।।૧૯।।