સ્નેહગીતા કડવું - ૧૩

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:11pm

પિયુ પરિયાણિયા મથુરાં જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે છે ઊછાવજી ।
આપણ ઊપરથી ઊતરિયો ભાવજી, પિયુ વિના પ્રમદા લેશું કેશું લાવજી ।।૧।।

ઢાળ –

લાવો લેતાં લાડિલાશું, ઘણું આનંદે ઘડી નિગમતાં ।
દિન જાતા વદન જોતાં, વળી રજની જાતી એશું રમતાં ।।૨।।

એહ સુખ બાઈ કયાંથી સાંપડે, અક્રુર મૂલે આવિયો ।
પ્રાણ લેવા પાપિયો, આ રથ જોને લાવિયો ।।૩।।

જાદવકુળના વૃદ્ધ વે’લા, આને મોર્યે બહુ મરી ગયા ।
આપણે ભાગ્યે અક્રુર જેવા, વેરી કેમ વાંસે રહ્યા ।।૪।।

બાઈ ઘણા દિવસનો જે હોય ઘરડો, તેને મે’ર ન હોય મનમાં ।  
નિર્દય હોયદગ્ધ દિલનો, બાઈ ત્રાસ ન હોય તેના તનમાં ।।૫।।

હમણાં રથને હાંકશે, બાઈ ધાઈને આડાં ફરજો ।
આ જો લુંટી જાયે અમને, એમ પ્રગટ પોકારજો ।।૬।।

માત તાત સુત સંબંધીની, વળી લોકની લાજ મ લાવજો ।  
મરજાદા મુકી રથને રોકી, વળી વા’લાને વાળી લાવજો ।।૭।।

જેહ લાજમાં બાઈ કાજ બગડે, તે લાજને શું કીજીયે ।  
પ્રિતમ રે’તાં જો પત્ય જાયે, તો જોકશું જાવાદીજીયે ।।૮।।

પ્રેમને બાઈ નેમ ન હોય, જેના પ્રાણ પ્રીતમશું મળ્યા ।  
લોકલાજ વેદવિધિ કર્મ, તેતો તેને કરવાં ટળ્યાં ।।૯।।

એટલા માટે આપણે, રાખો રસિયાનો રથ રોકીને ।  
નિષ્કુલાનંદનો નાથ સજની, કેમ જાશે વિલખતાં મુકીને ।।૧૦।। કડવું ।।૧૩।।