પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૪૯

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:25pm

 

દોહા

એહ રીતે અલબેલડે, કર્યાં કંઇ કંઇક કામ ।

આપી આનંદ આશ્રિતને, વળી પુરી હૈયાની હામ ।।૧।।

અમાયિક સુખ આપિયાં, માયિક દેહની માંય ।

તે પ્રસિદ્ધ જાણે છે પૃથવી, નથી છાનિ છપાડી કાંય ।।૨।।

દેશદેશમાં ડંકો દઇ, વળી બેહદ ચલાવી વાત ।

જે નાવે બુદ્ધિની બાથમાં, તે સોંઘી કરી સાક્ષાત ।।૩।।

અભર તે સભર ભર્યા, અતર તાર્યા કાંઇ જન ।

અગમ તે સુગમ કર્યાં, પ્રભુ થઇ પોતે પરસન ।।૪।।

 

ચોપાઇ

આવી કર્યાં અલૌકિક કામરે, પછી પધારિયા નિજ ધામરે ।

કર્યાં કારજ આશ્ચર્યકારીરે, જેવા આવ્યા’તા ધામેથી ધારીરે ।।૫।।

એવો માંડ્યો’તો આવી અખાડોરે, જીવ તારવાને રાત્ય દા’ડોરે ।

બહુ આખેપ આગ્રહ કરીરે, ભવે જીવ તાર્યા ભાવ ભરીરે ।।૬।।

કરી ગયા મોટાં મોટાં કાજરે, આવી આ ફેરે આપે મહારાજરે ।

ખુબ ખેલિ ગયા એક ખ્યાલરે, જોઈ અનંત જન થયા ન્યા’લરે ।।૭।।

ખરાખરો મચાવીને ખેલરે, રૂડી રમત રમ્યા અલબેલરે ।

એવા ખોળે ન મળે ખેલારુરે, જેને જુવે હજારે હજારુંરે ।।૮।।

બીજા બહુ વેષ બનાવ્યારે, તે તો સહુને અર્થ ન આવ્યારે ।

કોઇ રિઝ્યા ને કોઇ ન રિઝ્યારે, એહ વેષે અરથ ન સિઝ્યારે ।।૯।।

આ તો સર્વે વેષના વેશીરે, જાણે નરા કૃતિની દેશીરે ।

ખોટ્ય ન રાખી ખેલની માંયરે, ભલો ભજાવ્યો આપ ઇચ્છાયરે ।।૧૦

રૂડી રમત્ય રમી રૂપાળીરે, લીધાં જનને નિજધામ વાળીરે ।

એવા રમ્યા ન રમશે કોયેરે, જેહ ખેલને જોઇ જન મોયેરે ।।૧૧।।

એવો અકળ ખેલને ખેલીરે, ગયા સહુને વિલખતાં મેલીરે ।

ઘણું સાંભરેછે સમાસમેરે, તેણે બીજી વાત નવ ગમેરે ।।૧૨।।

જેમ બાજીગરની બાજીરે, જોઇ જોઇ જન થાય રાજીરે ।

જાણે આવી ન દીઠી ન સાંભળીરે, તેને કેમ શકે કોયે કળીરે ।।૧૩।।

અતિ અકળ ખેલને ખેલીરે, ગયા સમેટી બાજી સંકેલીરે ।

નટરીત નાથની ન જાણીરે, જાણ્યું અમટ રાખશે દયા આણીરે ।।૧૪।।

ત્યાંતો સંકેલી ગયા સ્વધામરે, કરી જનનાં જીવિત હરામરે ।

આંખ્યો થઇગઇ અભાગણીરે, ક્યાંથી નિરખે મૂરતિ નાર્થંઈણીરે ।૧૫।

મુખ અભાગિયું થયું અતિરે, ક્યાંથી પામે પ્રસાદી એ રતિરે ।

જિહ્વા અભાગણી ને અનાથરે, ક્યાંથી બોલે હવે હરિ સાથરે ।।૧૬।।

કાન અભાગિયા લીધા જાણીરે, ક્યાંથી સુણે ગે’રે સ્વરે વાણીરે ।

હાથ રહ્યા અભાગિયા એવારે, ક્યાંથી કરે હરિની હવે સેવારે ।।૧૭।।

દરશ સ્પરશ ને જે પ્રસાદિરે, કે’વું સુણવું સંબંધ એ આદિરે ।

થયો સંબંધ પણ રહ્યો અધુરોરે, તે તો કેમ થાય હવે પૂરોરે ।।૧૮।।

ગઇ હાથથી વાત વેગળીરે, હાર્યા મહાચિંતામણી મળીરે ।

પારસ પામ્યા’તા પરિશ્રમ પખિરે, પણ પુરી ભાગ્યમાં ન લખીરે ૧૯

થયા નિરધન ધનને હારીરે, ગયું સુખ રહ્યું દુઃખ ભારીરે ।

એમ થયું સૌ જનને આ વારરે, પધારતાં તે પ્રાણ આધારરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનપંચાશત્તમઃ પ્રકારઃ ।।૪૯।।