૧૬૪. નિષ્કુળાનંદસ્વામીએ ભકતચિંતામણિ ગ્રંથનું માહાત્મ્ય વર્ણવી સં.૧૮૮૭ના આસો સુદ તેરશે આ ગ્રંથ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:59pm

પૂર્વછાયો :

ભક્તચિંતામણિ ગ્રંથ કહ્યો, સત્સંગીને સુખરૂપ ।

જેમાં ચરિત્ર પ્રકટનાં, અતિ પરમ પાવન અનુપ ।।૧।।

બીજા ગ્રંથ તો બહુ જ છે, સંસ્કૃત પ્રાકૃત સોય ।

પણ પ્રકટ ઉપાસી જનને, આ જેવો નથી બીજો કોય ।।૨।।

જેમાં ચરિત્ર મહારાજનાં, વળી વર્ણવ્યાં વારમવાર ।

વણ સંભારે સાંભરે, હરિમૂર્તિ હૈયા મોઝાર ।।૩।।

હરિ ને હરિજનના, આ ગ્રંથમાં ગુણ અપાર ।

શુદ્ધ ભાવે જે સાંભળે, તે ઉતરે ભવપાર ।।૪।।

ચોપાઇ :

એવો ગ્રંથ અનુપમ અતિ રે, જેમાં પ્રકટ પ્રભુની પ્રાપતિ રે ।

પ્રકટ કલ્યાણ પ્રકટ ભજન રે, પ્રકટ આજ્ઞા પ્રકટ દર્શન રે ।।૫।।

પ્રકટ વાતો પ્રકટ વ્રતમાન રે, પ્રકટ ભક્ત પ્રકટ ભગવાન રે ।

નથી ઉધારાની એકે વાત રે, જેજે જોઇએ તેતે સાક્ષાત રે ।।૬।।

બીજા કહે મુવા પછી મોક્ષ રે, વળી પ્રભુ બતાવે છે પ્રોક્ષ રે ।

કોઇ કહે છે કર્મે કલ્યાણ રે, એવા પણ બહુ છે અજાણ રે ।।૭।।

કોઇ કહે પ્રભુ નિરાકાર રે, એવા પણ અજાણ અપાર રે ।

કોઇ કહે છે વૈદિક કર્મે રે, કલ્યાણ છે જાણો એક બ્રહ્મે રે ।।૮।।

કોઇ કહે છે દેવી ને દેવ રે, કોઇ કહે મોક્ષદા મહાદેવ રે ।

એતો સર્વે વારતા છે સારી રે, પણ જનને જોવું વિચારી રે ।।૯।।

જયારે એમજ અર્થ જો સરે રે, ત્યારે હરિ તન શિદ ધરે રે ।

જ્ઞાન વિના તો મોક્ષ ન થાય રે, એમ શ્રુતિ સ્મૃતિ સહુ ગાય  રે  ।।૧૦।।

માટે પ્રકટ જોઇયે ભગવંત રે, એવું સર્વે ગ્રંથનું સિધાંત રે ।

જેમ પ્રકટ રવિ હોય જયારે રે, જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે ।।૧૧।।

જેમ પ્રકટ જળને પામી રે, જાય પ્યાસિની પ્યાસ તે વામી રે ।

જેમ પ્રકટ અન્નને જમે રે, અંતર જઠરા ઝાળ વિરમે રે ।।૧૨।।

તેમ પ્રકટ મળે ભગવાન રે, ત્યારે જનનું કલ્યાણ નિદાન રે ।

માટે પ્રકટ ચરિત્ર સાંભળવું રે, હોય પ્રકટ ત્યાં આવી મળવું રે ।।૧૩।।

જયાં હોય પ્રકટ પ્રભુ પ્રમાણ રે, તિયાં જનનું સહેજે કલ્યાણ રે ।

કાન પવિત્ર થાય તે વાર રે, સુણે પ્રકટના જશ જયારે રે ।।૧૪।।

ત્વચાતણું પાપ ત્યારે જાય રે, જયારે સ્પરશે પ્રકટના પાય રે ।

નયણાં નિષ્પાપ થાવા નિત્ય રે, નિર્ખે પ્રકટ પ્રભુ કરી પ્રીત રે ।।૧૫।।

જીહ્વા પવિત્ર ત્યારે જ થાય રે, જયારે ગુણ પ્રકટના ગાય રે ।

નાસા નિર્મળ થાવા નિદાન રે, સુંઘે હાર પહેર્યા ભગવાન રે ।।૧૬।।

ચરણ  પવિત્ર  થાવા  કોઇ  કરે  રે,  તો  પ્રકટ  સામા  પગ  ભરે  રે  ।

કર પવિત્ર થાવાને કાજ રે, જોડે પ્રકટ જીયાં મહારાજ રે ।।૧૭।।

મને મનન ચિત્તે ચિંતવન રે, કરતાં પ્રકટનું થાય પાવન રે ।

બુદ્ધિ નિશ્ચે અહં અહંકારે રે, કરે પ્રકટમાં શુદ્ધ ત્યારે રે ।।૧૮।।

માટે પ્રકટ પ્રભુ જો ન હોય રે, ન થાય એ નિષ્પાપ કોય રે ।

જાણો પ્રકટમૂર્તિ ભવપાજ રે, સહજે ઉતરવાનો સમાજ રે ।।૧૯।।

જેમ સાગર તરવા નાવ રે, તે વિના બીજો નથી ઉપાય રે ।

માટે કહેવાં પ્રકટનાં ચરિત્ર રે, તેહ વિના ન થાય પવિત્ર રે ।।૨૦।।

પ્રકટમૂર્તિ તે નિર્ગુણ રે, સુખદાયક છે એ સદ્ગુણ રે ।

કહ્યું કૃષ્ણે ઉદ્ધવને એહ રે, એકાદશ ભાગવતે જેહ રે ।।૨૧।।

સત્વગુણમાંહિ તજે તન રે, પામે સ્વર્ગલોક તેહ જન રે ।

રજોગુણમાં તજે શરીર રે, નરલોક પામે તે અચિર રે ।।૨૨।।

તમોગુણમાં છુટે જો દેહ રે, પામે નરકમાં નિવાસ તેહ રે ।

હું પ્રકટ પામી તજે તન રે, તે નિર્ગુણ જાણો મારો જન રે ।।૨૩।।

મૂર્તિ પૂજયે ફળ માગે ત્યાગે રે, તે સાત્ત્વિક કર્મ અનુરાગે રે ।

તુચ્છ સંકલ્પે પૂજે મૂરતિ રે, એ રજોગુણ કર્મની ગતિ રે ।।૨૪।।

હિંસાપ્રાય પ્રતિમા પૂજન રે, તમોગુણી એ કર્મ છે જન રે ।

મને મળી કરે કર્મ જેહ રે, ઇછ્યું અણઇછ્યું નિર્ગુણ તેહ રે ।।૨૫।।

કેવળ જ્ઞાન તે સાત્ત્વિક કહીએ રે, શાસ્ત્રજ્ઞાન તે રાજસી લહીએ રે ।

પ્રાકૃત જ્ઞાન તામસી પ્રમાણો રે, મુંમાં નિષ્ઠા એ નિર્ગુણ જાણો રે ।।૨૬।।

વાસ સાત્ત્વિક તે વનવાસી રે, વાસ ગામની તેહ રાજસી રે ।

દ્યુતવિદ્યા દારુ ચોરી માંસ રે, તિયાં રહેવું એ તામસી વાસ રે ।।૨૭।।

મારા મંદિરમાં જે નિવાસ રે, જાણો નિર્ગુણ વાસ એ દાસ રે ।

જે જેમાં સંબંધ મુજતણો રે, તેતે સર્વે ગુણાતીત ગણો રે ।।૨૮।।

ફળ ન ઇચ્છે કરે જે જગન રે, તેહ સાત્ત્વિક કર્મ પાવન રે ।

કરે યજ્ઞ ઇચ્છે ફળ જેહ રે, કર્મ રાજસી જાણજયો તેહ રે ।।૨૯।।

પૂર્વાપર સ્મૃતિ વિભ્રમ રે, કરે જજ્ઞ એ તામસી કર્મ રે ।

મારે અર્થે કરે જે જગન રે, નિર્ગુણ પુરૂષ એ પાવન રે ।।૩૦।।

અધ્યાત્મશાસ્ત્રે શ્રદ્ધા જેને રે, સાત્ત્વિક શ્રદ્ધા જાણજયો તેને રે ।

કર્મકાંડે  શ્રદ્ધા  જેને  થાય  રે,  તેતો  રાજસી  શ્રદ્ધા  કહેવાય  રે  ।।૩૧।।

શાસ્ત્રવિરોધ જેમાં અધર્મ રે, તેમાં શ્રદ્ધા એ તામસી કર્મ રે ।

હું પ્રત્યક્ષ મૂર્તિમાં પ્રીત રે, જેને શ્રદ્ધા તે ત્રિગુણાતીત રે ।।૩૨।।

ઉદ્યમ વિના જે ઉત્તમ અન્ન રે, તેહ આહાર સાત્ત્વિક ભોજન રે ।

મનવાંછિત  જીહ્વાને  પ્રિય  રે,  આહાર  રાજસી  જાણો  તેય  રે  ।।૩૩।।

અશુદ્ધ દેહને દુઃખદાઈ રે, એવો આહાર તામસી ભાઈ રે ।

મારી પ્રસાદીનું અન્ન જેહ રે, અતિ ઉત્તમ નિર્ગુણ તેહ રે ।।૩૪।।

આત્મલાભ એ સાત્ત્વિક સુખ રે, વિષયસુખ રાજસી રહે ભૂખ રે ।

મોહાધીનપણે સુખ આવે રે, તેતો તામસી સુખજ કાવે રે ।।૩૫।।

હું પ્રત્યક્ષનો આશ્રય જેને રે, નિર્ગુણ સુખ કહિયે તેને રે ।

એમ કહ્યું એકાદશમાંહિ રે, પ્રભુ પ્રત્યક્ષની અધિકાઇ રે ।।૩૬।।

કહ્યું શ્રીકૃષ્ણે ઉદ્ધવ આગે રે, અધ્યે પચિશે ગુણવિભાગે રે ।

કહી કથા અનુપમ ઘણું રે, પ્રત્યક્ષમાં નિર્ગુણ પણું રે ।।૩૭।।

માટે પ્રત્યક્ષનાં જે ચરિત્ર રે, તેજ નિર્ગુણ પરમ પવિત્ર રે ।

જેજે રીત્યે પ્રત્યક્ષનો જોગ રે, તેજ ર્નિિવઘન નિરોગ રે ।।૩૮।।

માટે આ કથા સાંભળ્યા જેવી રે, નથી બીજી કથાઓ આ તેવી રે ।

છે આ ભક્તચિંતામણિ નામ રે, જેજે ચિંતવે તે થાય કામ રે ।।૩૯।।

હેતે ગાય સુણે જે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે ।

સુખ સંપતિ પામે તે જન રે, રાખે આ ગ્રંથ કરી જતન રે ।।૪૦।।

શિખે શિખવે લખે લખાવે રે, તેને ત્રિવિધ તાપ ન આવે રે ।

આવ્યા કષ્ટમાં કથા કરાવે રે, થાય સુખ દુઃખ નેડે નાવે રે ।।૪૧।।

કથા સુણી આપે દાન જેહ રે, અતિ ઉત્તમ ફળ લહે તેહ રે ।

અન્ન વસ્ત્ર વિપ્રને જે ધન રે, એહાદિ સુણી દેશે જે જન રે ।।૪૨।।

તેતો સહજે ભવસિંધુ તરશે રે, હશે નાસ્તિક તે સંશય કરશે રે ।

કુંડ ઢુંઢ ને જુલાહ જેહ રે, તેને ગ્રંથ દેવો નહિ એહ રે ।।૪૩।।

વામી સંપ્રદાઇ ને સંન્યાસી રે, બીજા હોય જે અન્ય ઉપાસી રે ।

તેને આગે આ કથા ન કહેવી રે, અજાણ્યે પણ લખી ન દેવી રે ।।૪૪।।

દંભી ધૂતા ધર્મના જે દ્વેષી રે, લોભી લંપટી ત્રિયા ઉપદેશી રે ।

તેને આપશે આ ગ્રંથ જેહ રે, મહાદુઃખને પામશે તેહ રે ।।૪૫।।

હોય આસ્તિક પ્રકટ ઉપાસી રે, હરિજન મને તે વિશ્વાસી રે ।

ધર્મ નિમમાંહિ દૃઢ અંગ રે, અનન્યભક્ત સાચો સત્સંગ રે ।।૪૬।।

અતિ પ્રકટમાં જેને પ્રીત રે, કહેવો સુણવો ગ્રંથ ત્યાં નિત્ય રે ।

એકાંતિકની વાત છે આમાં રે, બીજા સુણી શત્રુ થાશે સામા રે ।।૪૭।।

માટે બહુ ન કાઢવો બાર રે, આતો છે સતસંગનું સાર રે ।

તેતો સતસંગી આગે કહેવું રે, કુસંગીને સુંણવા ન દેવું રે ।।૪૮।।

એમ લખ્યું છે સમજી વિચારી રે, સતસંગીને છે સુખકારી રે ।

છે તો ઘૃત અમૃત અનુપ રે, પણ કીટને તે દુઃખરૂપ રે ।।૪૯।।

માટે વિમુખ જનને તારી રે, કહેજયો કથા આ સુંદર સારી રે ।

સમજુ હશે તે સમજશે સાને રે, હશે મૂરખ તે નહિ માને રે ।।૫૦।।

ગંગ ઉન્મત્ત તીરે છે ગામ રે, પુર પવિત્ર ગઢડું  નામ રે ।

તિયાં ભાવેશું કથા આ ભણી રે, ભક્તપ્રિય ભક્તચિંતામણિ રે ।।૫૧।।

સંવત્ અઢાર વર્ષ સત્યાશી રે, આસો શુદી સુંદર તેરશિ રે ।

ગુરુવારે કથા પુરી કીધી રે, હરિભક્તને છે સુખનિધિ રે ।।૫૨।।

બીજી કથાતો બહુ સાંભળે રે, પણ આ વાત કયાં થકી મળે રે ।

જેમાં ચર્ણેચર્ણે છે આનંદ રે, પામે જન કહે નિષ્કુળાનંદ રે ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ગ્રંથનું મહાત્મ્ય કહ્યું તથા ગ્રંથની સમાપ્તિ કહી એ નામે એકસો ને ચોસઠ્યમું પ્રકરણમ્ ।।૧૬૪।।

ઇતિ શ્રી નિષ્કુળાનંદમુનિ વિરચિત ભક્તચિંતામણિ ગ્રંથ સમાપ્તઃ