૧૫૮. કાઠી માણસિયો, માવો, ત્રિકમ સથવારો અને હિમશાહ વગેરેને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:51pm

પૂર્વછાયો- વળી પાંચાળ દેશમાં, કાજુ કારીયાણી ગામ ।

અનંત લીળા ત્યાં કરી, હરિએ કર્યું નિજધામ ।।૧।।

તેહ ગામમાં જે વસે, નરનારી આદિજન ।

ભાવાભાવે ભગવાનનાં, સહુને થયાં દર્શન ।।૨।।

સમજુ થયાં સતસંગી, અણસમજુ રહ્યાં એમ ।

પાપી નરે પરમોદિયાં, તે કુસંગ તજશે કેમ ।।૩।।

પણ દર્શન જેને દયાળનું, તે નિષ્ફળ નવ જાય ।

અંતસમે અવશ્ય આવી, શ્રીહરિ કરે છે સહાય ।।૪।।

ચોપાઇ- તેની વાત સાંભળજયો સહુ, થયું જેમ તેમ હવે કહું ।

એક કાઠી કુસંગી અપાર, નામ માણશિયો નિરધાર ।।૫।।

તેતો સાજો શરીરમાં સુખી, લવલેશ દેહ નહિ દુઃખી ।

સહજ સ્વભાવે બેઠો તો બાર, આવ્યા જમ લેવા તેને ચાર ।।૬।।

અતિકાળા ને કરૂર વાણી, જેને જોઇ જીવે નહિ પ્રાણી ।

બહુ ભૂખ્યા ભૂંડા ભયંકર, હાથે પાશ પર્સુ હથિયાર ।।૭।।

બેઠા બે જણા લોહને ગાડે, બીજા બે જણા બેઠા છે પાડે ।

પછી ગાડે પાડેથી ઉતરી, લીધો કાઠિને કબજે કરી ।।૮।।

દઇ માર ને મોર લૈ કિધો, જમે એમનો એમજ લીધો ।

મારે બહુ પાડે બુમરાણ, તોય મેલે નહિ જમરાણ ।।૯।।

કહે કુસંગી કેમ તું રહ્યો, તજી સ્વામી અમારો શું થયો ।

જો તું પડ્યો અમારેજ પાને, તો તું સુખ ઇચ્છે હવે શાને ।।૧૦।।

બોલ્યો માણશિયો તેહ વારે, છે સ્વામીજીનું દર્શન મારે ।

બીજાું તો મેં કાંઇ નવ કર્યું, કર્યું તેમાંતો આવું નિસર્યું ।।૧૧।।

હવે કરે તો કરે સ્વામી વાર, તે વિના બીજો નથી આધાર ।

એમ કહેતાં આવ્યા અવિનાશ, જમ મેલી ભાગ્યા પામી ત્રાસ ।।૧૨।।

પછી આવ્યો માણસિયો ઘેર, કહે નાથે ઉગાર્યો આ વેર ।

એમ કરતાં વીતિ ઘડી ચાર, આવ્યા નવ કૃતાંત તે વાર ।।૧૩।।

તેણે તરત મારી લીધો મોર, પાડે માણશિયો બહુ બકોર ।

જમ કહે રખે ગામ જગાડે, લઇ જાઇએ એને ઉપરવાડે ।।૧૪।।

ત્યારે બીજો કહે જાશું ભાગોળે, એક કહે સંત હશે આગળે ।

એક કહે સંત નથી જો આંહિ, શિદ બીક રાખો મનમાંહિ ।।૧૫।।

પછી લઇ ચાલ્યા ગામ બાર, આવ્યા અલબેલો તેહવાર ।

કરી રીસ કિંકરને કહ્યું, કેમ ફુટ્યું છે મૂરખો હૈયું ।।૧૬।।

આ ગામમાંહિ વસે છે જન, જેને છે મારૂં સંતદર્શન ।

તેને લેવા આવોછો અભાગી, શિદને મોત લીયો છો માગી ।।૧૭।।

જાઓ આ ગામની મેલી આશ, એમ કહે જમને અવિનાશ ।

તે માણશિયે સર્વે સાંભળી, જેવી વીતિ તેવી કહી વળી ।।૧૮।।

સુણિ કહેવા લાગ્યા જન સહુ, આતો પરચો થયો મોટો બહુ ।

વળી એ ગામમાં એક સઇ, નામ માવો તે સતસંગી નઇ ।।૧૯।।

તેના દેહનો આવિયો અંત, કહું તેનું હવે વરતંત ।

તેને લેવા આવ્યા જમ ત્રણ, લીધો જીવ પામિયો મરણ ।।૨૦।।

જયારે જીવ લઇ જમ વળ્યા, ત્યારે સંતરૂપે સ્વામી મળ્યા ।

કહે જમપ્રત્યે જન એમ, એ જીવને લીધો તમે કેમ ।।૨૧।।

કહે જમ એ કુસંગી સઇ, તેને જાશું જમપુરે લઇ ।

ત્યારે સંત કહે નહિ લેવાય, તમે કરશો જો કોટિ ઉપાય ।।૨૨।।

એતો કરેછે કામ અમારું, તેને તેડું ન જોઇએ તમારૂં ।

ત્યારે જમ કહે નથી તમારો,  શીદ એ જીવને લેતાં વારો ।।૨૩।।

એ જે કામ તમારું કરે છે, તેતો કોઇક થકી ડરે છે ।

ત્યારે સંત કહે સાચું કહ્યું, પણ સંતસેવા ફળ ગયું ।।૨૪।।

માટે એ વાતમાં ખોટ્ય મોટી, જાઓ મેલી થાઓ શીદ ખોટી ।

પછી જમ ગયા જખ મારી, સંતે લીધો એ જીવ ઉગારી ।।૨૫।।

આવ્યો દેહમાંહિ માવો જયારે, વીતિ વાત કહી સર્વે ત્યારે ।

પામ્યા આશ્ચર્ય સહુ સાંભળી, થયો પરચો કહે જન મળી ।।૨૬।।

વળી એ ગામમાં સથવારો, નામ ત્રિકમ સતસંગી સારો ।

તેને આવ્યું ટુંટિયું અનાડી, પેશી તનમાં તાણી છે નાડી ।।૨૭।।

હાથ પગ રગ લીધી તાણી, થયો પરવશ બોલી બંધાણી ।

પછી તરત જીવ તેનો કાઢી, ચાલ્યું ટુંટિયું તેહને પાડી ।।૨૮।।

ત્યારે ત્રિકમે કર્યું સ્મરણ, આવો નાથ હું પામિયો મરણ ।

એવું સુણી આવ્યા અવિનાશ, સંગે ભક્ત માંચો વીરદાસ ।।૨૯।।

કહે નાથ ટુંટિયાને એમ, એહ જીવને લિધો તેં કેમ ।

એતો શરણ છે જો અમારે, તેને લેવા ન આવવું તારે ।।૩૦।।

આ ગામમાં તારે ન ગરવું, જો તું ઇચ્છે મનમાં ઉગરવું ।

કાઢ્યું ટુંટિયું તગડી બાર, વાલે કરી છે જનની વાર ।।૩૧।।

મેલી ગયા ત્રિકમને નાથ, તેડી ગયા ડોશી એક સાથ ।

પછી ત્રિકમે તનમાં આવી, કરી વાત સહુને બોલાવી ।।૩૨।।

કહે મારે માથે બહુ થઇ, મને ગયું તું ટુંટિયું લઇ ।

તેને હાથથી નાથે મુકાવી, મને મેલ્યો આ દેહમાં લાવી ।।૩૩।।

મારે સાટે જશે પુરીબાઇ, વાત સાચી માનો મનમાંઇ ।

સુણી સહુ થયાં છે વિસમે, તજયું તન પુરિયે તે સમે ।।૩૪।।

મળી વાત લાગી નહિ વાર, પામ્યાં આશ્ચર્ય સહુ નરનાર ।

કહે થયો પરચો આ મોટો, હશે પાપી તે પરઠશે ખોટો ।।૩૫।।

વળી ગઢડે વણિક એક, તેતો કુળે સહિત નાસ્તિક ।

કહે કર્મવડે સર્વ થાય, એવું સમજી રાખ્યું મનમાંય ।।૩૬।।

રામ કૃષ્ણ આદિક અવતાર, તેનો પણ નહિ તેને ભાર ।

એવો ઢુંઢિયે ઢાબરી પાડ્યો, મોક્ષમારગ કર્મે દેખાડ્યો ।।૩૭।।

કર્યું પાપિએ પાપિનું કામ, ટાળી નાખ્યું બિચારાનું ઠામ ।

ત્યાંતો આવિયો દેહનો કાળ, આવ્યા તેડવા જમ વિકરાળ ।।૩૮।।

આવી ઘેરી લીધો ઘરમાંઇ, મોટા મુદગર છે કરમાંઇ ।

મારોમારો કરે મુખવાણ, કાઢો બારે કહે જમરાણ ।।૩૯।।

પછી હીમે હૈયામાં વિચારી, જોયા ઢુંઢિયા સર્વે સંભારી ।

પણ કોઇથી કાજ ન સર્યું, તેમતેમ જમે જોર કર્યું ।।૪૦।।

ત્યારે થયો નિરાશી અત્યંત, પછી સંભાર્યા સ્વામી ને સંત ।

કરતાં ચિંતવણી ચિત્તમાંઇ, આવ્યા સંત ને મહારાજ ત્યાંઇ ।।૪૧।।

લાવ્યા લોહની ગેડિયો હાથે, આવી મારિયો જમને માથે ।

પાડી રાડ્ય ભાગ્યા જમરાણ, દિઠા હીમે તે પ્રકટ પ્રમાણ ।।૪૨।।

પામ્યો આશ્ચર્ય પરચો થયો, કેને ન કહ્યું સમજી રહ્યો ।

થયું સુખ શરીરમાં જયારે, કરી વાત વિસ્તારી તે ત્યારે ।।૪૩।।

કહે પામ્યો હું પરચો મોટો, આપણો મત માનજયો ખોટો ।

જો ન કરે સ્વામી સંત વાર, તો હું મરત ખાઇખાઇ માર ।।૪૪।।

મેં દિઠું નજરે મોત મારું, પામ્યો દુઃખ હું શું શું સંભારૂં ।

આપણામાં કાંઇ ન ઉઘડ્યું, ખરા ખોટાનું પારખ્યું પડ્યું ।।૪૫।।

હવે જયાં લગી રહેશે આ તન, કરીશ મહારાજનું ભજન ।

એમ પર્ચાનો નહિ આવે પાર, થાય હમેશ હજારો હજાર ।।૪૬।।

કેતાં કેતાં કિયાં લગી કહીએ, અપરમનો પાર ન લહીયે ।

આગે પરચા કવિએ કહ્યા, તેતો ઠીક એટલાજ થયા ।।૪૭।।

પણ આજનો અંત ન આવે, મર કોટી કવિ મળી ગાવે ।

મેં કહ્યું વિચારી મનમાંઇ, નથી કરતો હું વાત વડાઇ ।।૪૮।।

જેમ છે તેમ કહ્યું મેં જન, સત્ય માનજયો મારૂં વચન ।

હશે સત્યવાદી સંત જેહ, સત્ય માનશે મનમાં તેહ ।।૪૯।।

હશે દુષ્ટ દંભી ને નાસ્તિક, કહેશે ખોટી ખાંચ્યો ખોળી છેક ।

તેતો ભોગવશે ફળ તેનું, નથી નિષ્કુળાનંદને એનું ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસો ને અઠાવનમું પ્રકરણમ્ ।।૧૫૮।।